Abtak Media Google News

છેલ્લા કેટલાય સમયથી જામનગર પંથકને થરથરાવતો કોરોના રાક્ષસ હાંફી રહ્યો હોઇ તેવુ આરોગ્ય વિભાગના આંકડા પરથી લાગી રહ્યું છે. જેની સામે બીજી હક્કિત એ પણ છે કે તંત્ર દ્વારા ટેસ્ટીંગમાં મોટા પાયે ઘટાડો કરાતા કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. કોરોનાને ગોતવા દિનરાત એક કરી હુડીયાપટ્ટી કરતું આરોગ્ય તંત્ર હવે થાકી ગયુ હોઇ તેમ એકાએક ટેસ્ટીંગમાં ઘટાડો કરી દેતા કોરોના પોઝીટીવ કેસોમાં ઘટાડો નોંધાયો છે.ગતા તા.1ના રોજ શહેરમાં 3264 તથા ગ્રામ્યમાં 1631 સહિત કુલ 4895 ટેસ્ટીંગ સામે શહેરમાં 398 અને ગ્રામ્યમાં 353 પોઝીટીવ કેસ નોંધાયા હતા જે 10 દિવસ બાદ તા.10ના રોજ શહેરમાં માત્ર 1729 અને ગ્રામ્યમાં 562 મળી કુલ 2291 ટેસ્ટીંગ સામે 323 અને ગ્રામ્યમાં 222 કેસ સામે આવ્યા હતા. આમ અડધોઅડધ ટેસ્ટીંગ ઘટાડતા કેસમાં ઘટાડો થયો હોવાની હક્કિત ઉઘાડી પડી છે. કોરોનાની બીજી લહેરે જામનગર પંથકમાં માઝા મુકતા દરરોજ મોટી સંખ્યામાં લોકો કોરોના સાણસામાં સલવાઇ રહ્યા હતા. પરંતુ મે માસના પ્રારંભની સાથે જ કોરોના કુણો પડયો હોઇ તેમ દિવસેને દિવસે પોઝીટીવ આંકડામાં રાહતરૂપ કેસો સામે આવી રહ્યા છે. આ આવકારદાયક બાબતની ઉંડાણ પૂર્વક તપાસ કરતા ચિંતાજનક હક્કિત સામે આવી છે. તંત્ર દ્વારા કોઇ પણ કારણસર ટેસ્ટીંગમાં ઘટાડો કરતા કોરોના કહેર ઓસરી રહ્યા હોવાનું ઉઘાડુ પડયું છે. એપ્રિલ માસમાં આકાશમાંથી કોરોનારૂપી અધોગતિ અને આફત વરસવાનું શરૂ રહેતા અસંખ્ય લોકો કોરોનાની ઝપટે ચડયા હતા. કોરોનાએ રાક્ષસી પંજો પ્રસરાવતા પોઝીટીવ કેસ અને મોતના આંકડાઓએ ડરામણું ચિત્ર ઉભુ કર્યુ હતું. આ રાહતરૂપ બાબત ખરેખર ખૂબ જ ડરામણો સાબિત થશે તેવી લોકોમાં ભીતિ સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.