Abtak Media Google News

કેશોદની બેઠક માટે સૌથી વધુ ફોમ ઉપડયા

જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ  ઉપાડવામાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 266 ફોર્મ ઉપડ્યા છે અને 23 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જો કે આજે હજુ ફોર્મ ભરાવશે અને 15 તારીખે ફોર્મની ચકાસણી થશે, બાદમાં 17 નવેમ્બરે ફોર્મ ખેંચવાનો દિવસ હોય, ત્યારે 17 નવેમ્બરે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

જુનાગઢ જિલ્લાની જુનાગઢ, માણાવદર,  વિસાવદર, કેશોદ અને માંગરોળ એમ પાંચ વિધાનસભાની બેઠકો આવેલા છે. જે માટે 5 નવેમ્બરથી ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ હતી. તે દરમિયાન જૂનાગઢની બેઠક માટે 63, માણાવદરની બેઠક માટે 48, વિસાવદરની બેઠક માટે 39, કેશોદની બેઠક માટે 64, અને માંગરોળ ની બેઠક માટે 52 મળી કુલ 266 ફોર્મ શનિવાર સાંજ સુધીમાં ઉપડ્યા હતા. જે પૈકી જુનાગઢની સીટ માટે પ ફોર્મ, માણાવદરની સીટ માટે પ ફોર્મ, વિસાવદરની સીટ માટે 6 ફોર્મ, કેશોદની સીટ માટે 4 ફોર્મ અને માંગરોળની સીટ માટે પ મળી કુલક 23 ફોર્મ ભરાયા હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.

આજે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે જુનાગઢ જિલ્લાની પ વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસના પાંચેય ઉમેદવારો ફોર્મ ભરશે. આ સાથે ભાજપના માંગરોળ અને માણાવદરના ઉમેદવારો પણ ફોર્મ ભરવાના છે. ત્યારે આજે અપક્ષો અને અન્ય રાજકીય પક્ષો દ્વારા વધુ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ રાજકીય પંડિતો દ્વારા વર્તાઈ રહી છે, જોકે 15 નવેમ્બર ફોર્મ ચકાસણીનો દિવસ રાખવામાં આવ્યો છે, અને 17 નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાનો દિવસ મુકરાર કરાયો છે. ત્યારે આગામી 17 નવેમ્બરે જુનાગઢ જિલ્લાની પાંચ સીટો માટેનું ચિત્ર સ્પષ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.