Abtak Media Google News
ઢાંકી પમ્પીંગ સ્ટેશન પર વીજ પૂરવઠો ખોરવાઇ જવાના કારણે રાજકોટને 9 કલાક સુધી નર્મદાના નીર ન મળતાં વોર્ડ નં.1, 2, 8, 9, 10, 11 અને 13માં વિતરણ ત્રણથી પાંચ કલાક મોડું

મેઘરાજાએ મહેર ઉતારતા રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયો હાલ ઓવરફ્લો થઇ રહ્યા છે. છતાં રાજકોટવાસીઓના નશીબમાં પાણીનું સુખ લખાયું ન હોય તેવું લાગી રહ્યું છે. ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે ગઇકાલે રાત્રે વિજપુરવઠો ખોરવાઇ જવાના કારણે રાજકોટને સતત 9 કલાક સુધી નર્મદાના નીર ન મળવાના કારણે આજે શહેરના 7 વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી હતી. અનેક વિસ્તારોમાં 3 થી લઇ 5 કલાક સુધી પાણી વિતરણ મોડું કરવામાં આવતા ગૃહિણીઓમાં જબ્બરો દેકારો બોલી ગયો હતો. 25 એમએલડી નર્મદા નીરની ઘટ્ટ પડવાના કારણે આજ સાંજ સુધીમાં ઘટ્ટ પુરી કરવા વોટર વર્ક્સના ઇજનેરો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. દરમિયાન આવતીકાલે પણ સવારના સમયે વિતરણ વ્યવસ્થા ખોરવાઇ તેવી ભિતી વર્તાઇ રહી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઇકાલે રાત્રે ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે 220 કેવી સબ સ્ટેશનમાં ટેકનીકલ ફોલ્ટ સર્જાવાને કારણે વીજ પૂરવઠો ખોરવાઇ ગયો હતો. જેથી રાજકોટને રાત્રે 10 વાગ્યાથી રૈયાધાર પમ્પીંગ સ્ટેશન ખાતે નર્મદાના નીર મળવાનું બંધ થઇ ગયું હતું. આજે સવારે સાત વાગ્યાથી ફરી નર્મદાનું પાણી શરૂ થયું હતું. રૈયાધાર પર દૈનિક 50 એમએલડી નર્મદાનું પાણી આપવામાં આવે છે.

નવ કલાક પાણી બંધ રહેવાના કારણે 25 એમએલડીની ઘટ્ટ પડી હતી. આ ઉપરાંત ન્યારી ડેમથી રૈયાધાર સુધી પાણી પહોંચાડતી એક્સપ્રેસ ફિડર લાઇનમાં પણ ન્યૂ રીંગ રોડ પર ભંગાણ સર્જાયું હતું. નર્મદાના પાણી નવ કલાક બંધ રહેવાના કારણે આજે રૈયાધાર પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.1, વોર્ડ નં.2, વોર્ડ નં.9 અને વોર્ડ નં.10માં નિર્ધારિત સમય કરતા અંદાજે પાંચ કલાક મોડું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સોજીત્રાનગર ઇએસઆર-જીએસઆર હેઠળ આવતા વોર્ડ નં.2 અને વોર્ડ નં.3ના વિસ્તારોમાં પણ પાંચ કલાક પાણી વિતરણ મોડું કરાયું હતું. જ્યારે ચંદ્રેશનગર ઇએસઆર-જીએસઆર હેઠળના વોર્ડ નં.11 અને વોર્ડ નં.13ના વિસ્તારોમાં 3 કલાક મોડું પાણી વિતરણ કરવામાં આવતા ભારે દેકારો બોલી ગયો હતો.

હાલ આજી અને ન્યારી ડેમ છલોછલ ભરેલા છે અને પાણી ઓવરફ્લો થઇ નદીમાં વહી રહ્યું છે. આવામાં ડેમમાંથી વધુ પાણી ઉપાડી પાણીના ટાંકાના લેવલ કરી જે વિસ્તારોમાં વિતરણ ખોરવાયું છે ત્યાં વહેલા-મોડું પાણી આપવામાં આવી રહ્યું છે. મોડી રાત સુધીમાં બધું થાળે પાડી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ 25 એમએલડીની ઘટ્ટ પડી હોય આવતીકાલે પણ રૈયાધાર ઝોન હેઠળ આવતા ચાર વોર્ડમાં વિતરણ વ્યવસ્થા પર થોડી અસર પડે તેવી સંભાવના નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.