Abtak Media Google News

ભાજપ સરકારે દિવસે વીજળી આપતા કિસાનોને રાતના ઉજાગરા નહીં થાય: મનસુખભાઈ ખાચરીયા

રાજકોટ જિલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ અને કિશાન મોરચાના અધ્યક્ષ વિજયભાઈ કોરાટના અધ્યક્ષ સ્થાન જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે કિશાન મોરચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમા ગુજરાત પ્રદેશ ભાજપા કિશાન મોરચાના પ્રભારી લખધીરસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમા જિલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા, હરદેવસિંહ જાડેજા તથા જુનાગઢ જિલ્લા કિશાન મોરચા પ્રભારી વલ્લભભાઈ સેખલીયા, કિશાન મોરચાના જિલ્લા હોદેદાર, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ તથા કિશાન મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમા જિલ્લા અધ્યક્ષ મનસુખભા ખાચરીયાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે તમામ મંડલો ઉપર ભાજપાના તમામ સેલ-મોરચાઓ અને વિભાગોની બેઠકો યોજાઈ છે. આગામી સમયમા થનાર વિવિધ કાર્યક્રમોની કાર્ય યોજનાઓ વિશેની માહિતી આજરોજ કિશાન મોરચાની બેઠકમા ઉપસ્થિત કાર્યકરોને આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમા ગુજરાતની ભાજપા સરકાર દ્વારા સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રના લોકો માટે અનેકવિધ જનકલ્યાણકારી ઐતિહાસિક યોજનાઓ ખાસ કરીને તાજેતરમા ભાજપા સરકારે દિવસે વીજળી આપતા કિશાનોને રાતના ઉજાગરા નહિ થાય. કિશાનોને આવી ક્રાંતિકારી યોજના આપીને આવતા દિવસોમા ગુજરાત કૃષિક્રાંતિના મોડેલ તરીકે ઓળખાશે. જેના લાભો લોકો સુધી પહોચે તે અંગે કાર્યકરોએ જન-જન સુધી પહોચાડવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમા ગુજરાત પ્રદેશ ભાજપા કિશાન મોરચા પ્રભારી લખધીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમા પેજ સમિતિની રચનાનું કાર્ય પુરજોશમા થઇ રહ્યું છે. ત્યારે કિશાન મોરચાના આગેવાનો-કાર્યકર્તાઓ વધુને વધુ કાર્યકરોને પેજ સમિતિમા જોડે અને ભાજપા સંગઠનને વધુમાં વધુ મજબુત બનાવી લોક કલ્યાણકારી કાર્યોમા સૌ કાર્યકર્તાઓ લાગી જાય તેવો અનુરોધ કર્યો હતો.

આ બેઠકમા કિશાન મોરચાના અધ્યક્ષ વિજયભાઈ કોરાટએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમા કિશાન સૂર્યોદય યોજનાની માહિતી આપતા કહ્યું હતું કે, પાણી અને વીજળી માટે ભાજપા સરકાર સનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. ધરતીપુત્રોને રાત્રી દરમ્યાન વિશ્રામ મળી રહે અને દિવસે વીજળી મળે તો ખેતીકામ દિવસ દરમ્યાન કરી શકે તે માટે રાજકોટ જીલ્લાના તમામ ગામડાઓમા આ મહત્વાકાંક્ષી સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરીને ખેડૂતોને હવે દિવસે વીજળી મળતા કડકડતી ઠંડી, ચોમાસામા પડતી તકલીફ, જીવજંતુઓનો ભય અને રાતના ઉજાગરામા પડતી મુશ્કેલીઓમાંથી કાયમ છુટકારો મળશે.

વધુમાં કોરાટએ જણાવ્યું હતું કે, પ્રથમવાર રાજકોટ જિલ્લાના તમામ મંડલો ઉપર કિશાન મોરચા દ્વારા ૯ દિવસ સુધી ખાટલા બેઠકો કરીને સરકારની કલ્યાણકારી યોજનાઓ ખેડૂતોને આપવામાં સફળ રહ્યા હતા. જેની નોંધ ગુજરાત પ્રદેશ ભાજપાએ નોંધ લઈને કેન્દ્રીય ભાજપા દ્વારા સમગ્ર રાષ્ટ્રમા ખાટલા બેઠકનો પ્રારંભ કરાવવામા આવ્યો હતો.

આ બેઠકમા જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ રામમંદિર નિધિ એકત્રિત કેન્દ્ર/રાજ્ય સરકારની યોજનાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કાર્યક્રમોની માહિતી આપી હતી.

કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા હરદેવસિંહ જાડેજાએ કિશાન બીલની સમજણ આપતા કહ્યું હતું કે, એમએસપી બાબતે કોંગ્રેસ ખોટો કકળાટ કરી રહી છે. કોંગ્રેસના શાસનમા ખેડૂતોને ટેકાના પૂરતા ભાવો મળ્યા જ નથી. જયારે ભાજપા શાસનમા ખેડૂતોએ ટેકાના ભાવ પૂરતા આપવામાં આવ્યા છે. જેનાથી ખેડૂતોને બમણી આવક થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.