Abtak Media Google News

સૌરાષ્ટ્રના અગ્રગણ્ય એવા બેડી સ્થિત રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોની સુવિધા માટે ગઇકાલથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુકા મરચા સિવાયની તમામ જણસીઓ હવે 24 કલાક સ્વિકારવામાં આવશે. હાલ દૈનિક જેટલો માલ આવે છે.

Advertisement

તેની ખપત થઇ જતી હોવાના કારણે ખેડૂતોને માલ લઇને આપવા માટે રાહ ન જોવી પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણસીની હરાજી સમયે છ થી સાત કલાક નવો માલ ન સ્વિકારવાની જૂની પ્રથા બંધ: ખેડૂતોની સુવિધા માટે હવે નવી વ્યવસ્થા

આ અંગે યાર્ડના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર હાલ ખરીફ પાકની સિઝન પૂર્ણતાના આરે છે અને રવિ પાકની નવી સિઝન શરૂ થવાના આડે ત્રણથી ચાર મહિનાનો સમય બાકી છે. છેલ્લા એકાદ સપ્તાહથી તમામ પ્રકારની જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. આવામાં ખેડૂતોની સુવિધા માટે ગઇકાલથી સુકા મરચા સિવાયની તમામ પ્રકારની જણસીનો હવે 24 કલાક સ્વીકારવામાં આવશે. ખેડૂતો અડધી રાતે પણ માલ લઇને આવશે તો યાર્ડના દરવાજા ખૂલ્લા હશે.

હાલ કપાસની દૈનિક 22 થી 23 હજાર ગુણીની આવક થઇ રહી છે. જ્યારે મગફળીની 10 હજાર ગુણીની આવક થઇ રહી છે. સુકા મરચાની આવક પ્રમાણમાં ખૂબ સારી છે. યાર્ડમાં માલની ઉતરાય માટે જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી ખેડૂતોને માલ લાવવા માટે રોકવામાં આવશે નહી અગાઉ 17 થી 18 કલાક સુધી માલની ઉતરાય કરવામાં દેવામાં આવતી હતી. માલની હરાજી થાય ત્યારે ઉતરાય બંધ કરી દેવામાં આવતી હતી. આ સિસ્ટમ ગઇકાલથી બંધ કરી દેવામાં આવી છે. હવે સૌરાષ્ટ્રભરના ખેડૂતો 24 કલાકમાં ગમે ત્યારે માલ લાવી શકશે.

નવી વ્યવસ્થા સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ ઉતરાય માટે પુરતી જગ્યા હોવાના કારણે સુકા મરચા સિવાયની તમામ જણસી 24 કલાક સ્વીકારવામાં આવી રહી છે. જો માલની આવકમાં વધારો થશે તો વ્યવસ્થા જાળવવા માટે સમયમાં ફેરફાર પણ કરવામાં આવશે.

દિવાળીના તહેવાર બાદ કપાસ અને મગફળીની આવકમાં વધારો થતો હોવાના કારણે કેટલાક દિવસો માટે આવક સ્વિકારવામાં આવતી ન હતી. જેના કારણે ખેડૂતોએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.