Abtak Media Google News

પાણી સમસ્યાના સરળ ઉકેલ માટે દેશનું સૌથી મોટું, સર્વશ્રેષ્ઠ અને અભૂતપૂર્વ જળસંચય અભિયાન જનઆંદોલનમાં પલટાયું તે અનોખી, ઐતિહાસિક સિદ્ધિ છે

ગુજરાત સ્થાપના દિનથી ગુજરાતભરમાં રાજ્ય સરકાર અને પ્રજાની સંયુક્ત ભાગીદારીમાં શરૂ થયેલું એક માસનું સુજલામ સુફલામ જળસંચય અભિયાન પૂર્ણાહુતિના આરે પહોંચ્યું છે ત્યારે ભાજપના અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે તેને દેશનું સૌથી મોટું, અનોખું અને અભૂતપૂર્વ જળસંચય અભિયાન ગણાવ્યું છે. એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે, લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દૂરંદેશીભર્યા આયોજન, નિરીક્ષણ તેમજ સીધા માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ મહા જળસંચય અભિયાનને ગુજરાતભરની પ્રજાએ અભૂતપૂર્વ આવકાર આપ્યો છે એટલું જ નહીં, સાચા અર્થમાં રાજ્યના દરેક વર્ગના લોકોએ આ વિરાટ કાર્યને વધાવી લઇ તન, મન, ધનથી સહયોગ આપ્યો છે. સરકારનું કોઈપણ કાર્ય વિરાટ જન આંદોલનમાં પલટાઈ જાય ત્યારે કેવું સુખદ પરિણામ આપે છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતે જળસંચય અભિયાન દ્વારા પૂરું પાડ્યું છે અને સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે.

ધ્રુવે જણાવ્યું છે કે, દુનિયાભરમાં મીઠા પાણીના સ્ત્રોતો ઝડપભેર ખૂટી રહ્યા છે ત્યારે પાણીના એક એક ટીપાને ઈશ્વરનો પ્રસાદ ગણવાની વેળાં આવી છે. પાણીનું એક ટીપું પણ વેડફાય નહિ તે માટે સતત સભાન અને સક્રિય થવાના આ સમયમાં વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ કરવા અને ભાવિ પેઢીને જળ સમૃધ્ધિનો વારસો આપવાની સહુકોઈની જવાબદારી છે ત્યારે ગુજરાતની પાણીદાર સરકાર આયોજિત આ જળસંચય અભિયાનને સફળ બનાવીને લોકોએ પરિપક્વ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ મહાઅભિયાનમાં સમાજના શ્રેષ્ઠીઓ, ધંધાર્થીઓ અને ઉદ્યોગપતિઓએ આર્થિક સહયોગ આપ્યો; સ્વૈચ્છિક, સામાજિક, ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આયોજનમાં સક્રિયપણે સહભાગી થઈ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સહિત સમાજના દરેક વર્ગના લોકોએ નિ:સ્વાર્થભાવે શ્રમદાન કર્યું છે. લોકશક્તિના પરસેવાના બુંદ સાથે મેઘરાજાની મહેર ભળશે એટલે ગુજરાતભરમાં વિરાટ જળરાશી હિલ્લોળા લેતી જોવા મળશે તેમાં હવે શંકાને કોઈ સ્થાન રહ્યું નથી.

જળસંચય અભિયાન હેઠળ, રાજ્યભરમાં નદી, નાળાં, તળાવો, સરોવરો અને કૂવાઓની સફાઈ તેમજ ઊંડા ઉતારવાનો ભગીરથ પુરુષાર્થ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ કાર્ય માટે ઉદાર હાથે નાણાકીય ફાળવણી કરી એટલું જ નહિ, ઠેકઠેકાણે ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી સહિતના જરૂરી તમામ સાધન-સરંજામ પૂરાં પાડવામાં કોઈ કસર છોડી નથી. આના પરિણામે, આગામી ચોમાસામાં ગુજરાતમાં ૧૧૦ કરોડ ઘનફૂટથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ થશે. પારસમણી જેવા આ જળસંચય અભિયાન થકી ગુજરાતભરમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળ ભૂતકાળની બીના બની જશે. જળસંચય અભિયાન સાચા અર્થમાં ગુજરાતને પાણીદાર, નમૂનેદાર અને શક્તિશાળી રાજ્ય બનાવવાનું અભિયાન બની રહેશે તેવો વિશ્વાસ શ્રી રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કર્યો છે.

ભાજપ અગ્રણીના નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીશ્રીએ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો  ગત પહેલી મેના રોજ પ્રારંભ કરાવ્યો ત્યારે ૫૨૭ જેસીબી, ૨૦૦૦ ટ્રેક્ટરો-ડમ્પરો, ૫૨૫ સ્વૈચ્છિક સંસ્થાઓ અને ૨૭૦૦ શ્રમિકો સાથે કામગીરી શરૂ થઇ હતી તેની સામે આજે ૪,૫૦૦ જેસીબી, ૧૪ હજાર ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર, ૨૬૦૦ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સવા ત્રણ લાખ શ્રમિકો કામ કરી રહ્યા છે તે આ મહાઅભિયાનની સફળતા અને પ્રજાએ સરકારની નિષ્ઠા ઉપર મૂકેલા ભરોસાના પ્રમાણરૂપ છે. પાણીસંગ્રહની નેમ સાથે સેંકડો માનવદિન રોજગારી પણ પૂરી પાડવામાં આવી રહી છે તે આ અભિયાનની વિશેષતા છે.

ધરતી આપણી માતા છે અને નદીઓ આપણી લોકમાતા છે. આપણે સૌ તેનાં સંતાનો છીએ ત્યારે મા-ભોમ અને લોક્માતાઓને જળથી તૃપ્ત કરવાની જવાબદારી સરકારની સાથે રાજ્યભરની જનતાએ પણ સુપેરે ઉપાડી લીધી છે. ગામેગામ નદીઓના ઓવારા સાફ કરવામાં આવી રહ્યા છે અને શુધ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે. ૧૩ હજાર જેટલા ચેકડેમો, તળાવો ઊંડાં કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર આ જળસંચય અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી દર ચોમાસા પહેલાં જરૂર જણાય તે દરેક સ્થળે લોક-સહયોગ સાથે હાથ ધરવાની છે.

શ્રી રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, જળ એ જ જીવન છે અને વિકાસ માટે પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે તેથી તેને રાજ્ય સરકારે સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. સરકારના સહયોગમાં ગુજરાતની પ્રજાએ કમર કસીને જળસંચય ક્ષેત્રે અદભૂત કાર્ય કરી દેખાડ્યું છે. સમગ્ર ગુજરાતમાં જય શ્રી કૃષ્ણની સાથે જળ શ્રી કૃષ્ણની સુખદ વિભાવના આગળ ધપી રહી છે. પ્રત્યેક ગુજરાતી નાગરિક આજે પાણી મુદ્દે સજાગ, સભાન અને સક્રિય બની ગયો છે ત્યારે સમગ્ર ગુજરાત જાણે જળસંચયના મિશન મોડ પર આવી ગયું હોય એવો માહોલ સર્જાયો છે અને એક સુખદ ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, ગુજરાતની પ્રજાના પાણી પ્રશ્નના કાયમી ઉકેલ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા યોજના, સૌની યોજના સહિત અનેકવિધ યોજનાઓ હાથ ધરી અને પૂર્ણતાના આરે પહોંચાડી હતી તેના અનુસંધાને વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નિર્ણાયક અને ફાસ્ટ-ટ્રેક સરકારે જળસંચય માટે પરિણામલક્ષી નિર્ણય લીધા અને ત્વરિત અમલ કર્યો છે. પરિણામ-સ્વરૂપ, આજે ગુજરાતમાં ન ભૂતો, ન ભવિષ્યતિ એવી જનચેતના જાગી છે.

રાજ્યભરમાં અત્યાર સુધીમાં જળસંચયના ૫,૬૬૮ કાર્યો પૂર્ણ થઇ ગયા છે અને ૧૧,૪૫૦ કાર્યો પૂર્ણતાના આરે છે એટલે કે, આખા ગુજરાતમાં ૧૭,૧૫૯ જળસંચય કાર્યો સંપન્ન થનાર છે. આટલા મોટા ફલક પર રાજ્યભરમાં જળસંચયના કાર્યો એ ખુદ એક મોટી સિદ્ધિ છે; ફળસ્વરૂપે ગુજરાતમાં આ વખતનું ચોમાસું સાચા અર્થમાં સુજલામ સુફલામ બની રહેવાનું છે. એક અંદાજ મુજબ, ગુજરાતમાં હવે બે કરોડ ઘનમીટર વિસ્તારમાં ૧૯૩૮ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે જે રાજ્યની સિકલ બદલવામાં સિંહફાળો આપશે તેમ શ્રી રાજુભાઈ ધ્રુવે નિવેદનના અંતમાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.