Abtak Media Google News

રાજ્ય સરકારની ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ પહેલ ખરેખર ખૂબ જ અસરકારક નીવડી છે જે થકી અનેક ગામડાઓએ જાગૃતિ દાખવી કોરોનાને મહાત આપી છે. આવું જ એક કચ્છમાં મુન્દ્રા તાલુકાનું વિરાણીયા ગામ કે જેણે કોરોનાને ટક્કર આપી જાગૃતિ અને સમજદારી દાખવી છે.

મુન્દ્રા તાલુકાનું 1000 જેટલી વસ્તી ધરાવતું નાનકડું વિરાણીયા ગામ અને અહીંના યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા કોરોના સામે હંમેશાથી સતર્ક હતા. અનેક પ્રતિબંધ અને મહેનત છતાં કોરોના ગામમાં પ્રવેશ્યો અને એક સમય એવો પણ આવ્યો કે ગામમાં પોઝિટિવ કેસની સંખ્યા 27 જેટલી થઈ ગઈ. ત્યારે સરપંચ, ગ્રામ પંચાયત  અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સતત કોરોનાને નાથવાના પ્રયત્નોમાં લાગી ગયા. આખરે તેમનો આ જુસ્સો, જહેમત અને જનભાગીદારીએ રંગ રાખ્યો અને ટૂંક જ સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયુ.

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું અને સરકાર દ્વારા આપવામાં આવતી તમામ ગાઇડ લાઇનનું પણ ચુસ્ત પણે પાલન કરાવાયું. ગામમાં લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર તેમજ ગામમાં કોઇપણ ફેરિયાઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા. આ ઉપરાંત ગામના લોકોનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો. ગ્રામ પંચાયત દ્વારા પણ અવારનવાર માસ્ક વિતરણ, સેનેટાઈઝ કરવું, ઉકાળાનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.