Abtak Media Google News

સાયલામાં મહાજન પાંજરાપોળમાં ચોકીદાર તરીકે નોકરી કરતા પિતાને બાઈક પર નોકરી પર મુકવા જતાં દિકરાનો રસ્તો આંતરી શખ્સે છરીના પાંચ ઘા ઝીંકી દીધા હતા. પ્રેમ સબંધનો વહેમ રાખી હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઈજાગ્રસ્ત યુવાનને સુરેન્દ્રનગર રિફર કરાયો છે. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

પ્રેમ સંબંધ મામલે  યુવાનનું  બાઈક આંતરી  શખ્સે છરીના ઘા ઝીંકયા

સાયલા મહાજન પાંજરાપોળમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ફરિયાદી રામાભાઇ નગાભાઈ સભાડનો દીકરો ખીમાભાઈ ઉર્ફે મુન્નાભાઈ પિતાને લઈ સાયલા મહાજન પાંજરાપોળ પર નોકરીએ મુકવા જતા હતા. સાંજના આશરે 7:30 કલાકે સાયલા સર્કલથી સુદામડા રોડ ઉપર થોડે આગળ જતા અન્નપૂર્ણા હોટલ સામે રોડ પાસે પહોંચતા તેમની શેરીમાં રહેતો મહેન્દ્ર અશ્વિને મોટરસાયકલ પર પાછળ આવી મોટર સાયકલ ઉભું રાખવાનું કહેતા ખીમાભાઈએ મોટરસાયકલ ઊભું રાખ્યું હતું. તે દરમિયાન મહેન્દ્ર મોટરસાયકલથી નીચે ઉતરી પ્રેમ સંબંધનો શક- વહેમ રાખી ખિસ્સામાંથી છરી કાઢી ખીમાભાઈને ગળાના ભાગે બે ઘા મારી દીધા હતા.

ખીમાભાઈ બચવા જતા શરીર ઉપર અન્ય ત્રણથી ચાર બીજા ઘા મહેન્દ્ર દ્વારા મારવામાં આવ્યા હતા. ત્યારબાદ બૂમાબૂમ થતા મહેન્દ્ર પોતાનું બાઈક મૂકી સુદામડા રોડ તરફ નાશી છૂટયો હતો. ત્યારે 108માં જાણ કરતા પ્રથમ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. વધારે પડતું લોહી નીકળતા વધુ સારવાર જણાતા ખીમાભાઈને સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.ડોક્ટરના જણાવ્યા અનુસાર કુલ પાંચ છરીના ઘા કરી હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.