Abtak Media Google News

6 એપ્રિલ ,1980 ના દિવસે રાયગઢમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતિ ઇન્દિરા ગાંધીનું હેલીકોપ્ટર ઉતર્યુ.અવસર હતો છત્રપતિ શિવાજી મહારાજની 300 મી પૂણ્યતિથીની ઉજવણી.ભારતવર્ષમાં ઔરંઝેબના મોગલશાસન દરમ્યાન ઇસ 1630 થી 1680 ના કાલખંડમાં જેમણે જયેષ્ઠ સુદ તેરસના દિવસે એકમાત્ર હિન્દવી સ્વરાજયની સ્થાપના કરિ આદર્શ શાસન વ્યવસ્થાનું સમાજ સન્મુખ જે ઉદાહરણ પુરુ પાડયુ એવા ’ ધ ગ્રેટેસ્ટ ’ શિવાજી મહારાજ વિષે બોલતા શ્રીમતિ ગાંધી એ કહ્યુ : ’ મારા વિચારથી શિવાજી મહારાજની ગણના સંસારના મહાનત્તમ વ્યકિતઓમાં થવી જોઇએ.આપણું રાષ્ટ્ર ગુલામીની બેડીઓમાં જકડાયેલુ હતુ ત્યારે ગમે તેટલુ મહાન કાર્ય કરવા છતા એ મહાપુરુષોની ઇતિહાસે ઉપેક્ષા કરિ.આ સ્થાને શિવાજી મહારાજ જો કોઇ યુરોપિયન દેશમાં જનમ્યા હોત તો તેમની કિર્તિના વખાણ આકાશને આંબતા હોત.સંસારના પ્રત્યેક ખુણામાં એની જય-જયકાર થઇ હોત.એવુ પણ કહેવાયુ હોત કે અંધકારમાં ડુબેલી સમગ્ર માનવજાતને પ્રકાશમાન કરિ.(સંદર્ભ-લોકરાજય,એપ્રિલ 1985).સમર્થ સ્વામી રામદાસના પરમશિષ્ય એવા ચક્રવર્તિ રાજા શિવાજી મહારાજના શાસન એમના વ્યકિતત્વ એમના વ્યવહાર એમના રાજધર્મની એવી શું વિશિષ્ટતા હતી કે 300 વર્ષ પછી શ્રીમતિ ગાંધીના મુખમાંથી એમના માટે આ શબ્દો નિકળ્યા ? આજે 342 વર્ષ પછી પણ આપણે હરવર્ષે હર્ષ-ઉલ્લાસથી એમના રાજયારોહણ દિવસને ’હિન્દુ સામ્રાજય દિવસ ’ તરિકે આજે પણ ઉજવીએ છીએ ? જયારે આપણા પૂર્વજ તરિકે એમના નામના સ્મરણ માત્રથી દરેક ભારતીયનું સર ગૌરવથી ઉન્નત થઇ જાય છે ? નસોમાં એક નવો રકતસંચાર થાય છે ?.

રાજ્યારોહણ પછી વિરક્તભાવે ગાદી પર વિરાજેલા શિવાજી મહારાજ એમના પરાક્રમ , કુટનીતિ , દુરંદેશી ,પ્રજ પ્રતિ એમનો સ્નેહભાવ એમની ન્યાય વ્યવસ્થા, સમાજના પ્રત્યેક ઘટક પ્રત્યે એમનો સમતા ભાવ , સામાજીક સુધારનો એમનો દ્રષ્ટીકોણ જેવી વિશિષ્ટતાઓના કારણે તેમના સમકાલીન શાસકોમાં સદા અગ્રેસર રહ્યા.એક રાજા તરિકે ભેદભાવ રહિત આદર્શ ન્યાય વ્યવસ્થાનો આદર્શ સમાજ સન્મુખ સ્થાપિત કર્યો.એનુ જવલં ઉદાહરણ એટલે એમના મોટાપુત્ર સંભાજીનાં સંદર્ભે એમણે લીધેલી ભૂમિકા.સંભાજી હંમેશા એમની અનઉપસ્થિતીમાં અષ્ટપ્રધાનમંડળ સાથે વિવાદો ઉભા કરતા ઉપરાંત એક પ્રમુખ બ્રાહ્મણ દરબારિ અણ્ણાજી દત્રેની પુત્રીને મળવા માટે ગઢ ઉતરીને જતા.લોકચર્ચા મુજબ એમની સાથે સંભાજીના અનૈતિક સંબેધો હોવાનું કહેવાતુ.આ વાત શિવાજીના ધ્યાને આવતા જ તેમણે યુવરાજ સંભાજીને સજ્જનગઢ ગુરુ રામદાસ પાસે મોકલી આપ્યા હતા.1678 મા રાજયશત્રુ દિલેરખાનને ત્યાં પત્ની યેસુબાઇ સાથે આશ્રય લીધો એ બાબત દેશદ્રોહ સમાન હતી.

આવા જ એક દેશદ્રોહના કિસ્સામાં એમણે મરાઠા સરદાર ખંડોજી ખોપડે કે જેમણે શિવાજીના સત્રુ અફઝલખાન સાથે હાથ મિલાવેલા , એ અફઝલખાનનો શિવાજીએ વધ કર્યા પછી જયારે ખંડોજી ખોપડેની દેશદ્રોહિતા વિષે ન્યાય કરવાનો સમયે પોતાના પિતાના પરમમિત્ર અને રાજયને વફાદાર એવા કાહોજી જેધેની વિનંતિથી જીવતદાન તો આપ્યુ પરંતુ જે હાથ મિલાવેલો એ હાથ અને જે પગ ઉપાડેલો એ પગ કાપી નાખેલો.દેશ સાથે ગદ્દારિનું પરિણામ શું હોય શકે ? એ ગમે એટલી ભલામણ પછી પણ જવતદાન આપી વફાદાર પ્રત્યેનું વચન પણ નિભાવ્યુ અને સજા આપી અને ન્યાયનું પણ સન્માન કર્યુ.આજ બાબતનું પાલન એમણે સ્વયંના પુત્ર બાબતે પણ કર્યુ.પોતાની હૈયાતિમાં એમણે પોતાના પુત્રને એમણે માફ પણ ન કર્યો બાદમાં કયારેય રાયગઢમાં પ્રવેશ પણ ન આપ્યો. શિવાજી મહારાજની રાજકીય અને સામાજીક ન્યાય વ્યવસ્થા રાજા અને પ્રજા માટે સમાન હતી.

શિવાજી મહારાજે 8 જાન્યુઆરી ,1675 ના દિવસે શિવ વિનાયકને પત્ર લખેલો. જેમાં શાસન વ્યવસ્થાના તમામ અધીકારિઓ પાસે કઠોર અનુશાસનની અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી.એ પ્રકારની અપેક્ષા એ પોતાના બ્રાહ્મણ અધીકારિઓ પાસે પણ રાખતા ,કારણ એ સમયમાં બ્રાહ્મણોને પ્રત્યેક સજા માંથી મુક્તિ હતી.શિવાજીના સમયમાં એક નિયમ હતો બ્રાહ્મણે ગમે તેવો અપરાધ કર્યો હોય એમને દંડાત્મક કાર્યવાહી માંથી મુક્તિ હતી.એવુ મનાતુ કે બ્રાહ્મણ ઇશ્ર્વરિય શક્તિનાં સંચાલકો છે.બ્રાહ્મણ વ્યક્તિ કેટલો પણ ભ્રષ્ટાચારી હોય પણ તેને શ્રેષ્ઠ સમજવામાં આવે એવી જનસાધારણની ભાવના હતી.પરંતુ શિવાજી મહારાજ આ પરંપરા માં ન્હોતા માનતા.જો સ્વરાજયના કોઇ કાર્યમાં બ્રાહ્મણ બાધાયુક બને તો તેમને સજા આપવાનો નિર્ણય કરવામાં આવેલો.

રાજકીય અને લોકારુઢ એમ બે પ્રકારની ન્યાય વ્યવસ્થા હતી જેનુ સંચાલન પ્રચલિત ધર્મ પરંપરા અનુસાર થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.પ્રમાણ આધારિત ઉપરાંત જયાં પ્રમાણ ઉપલબ્ધ ન હોય ત્યાં ’દિવ્ય ન્યાય પદ્ધતિ’ નો સહારો લેવાતો જેમાં પ્રત્યેક ઘટનાને ઇશ્ર્વર સાક્ષ્યને પ્રમાણ માની અને ન્યાય તોળવામાં આવતો.આ પ્રકારે સામાજીક અને રાજકીય ન્યાય વ્યવસ્થામાં ઇશ્ર્વર એટલે કે સત્ય આધારિત વ્યવસ્થા જેની સન્મુખ બધાને સમાન ન્યાયવ્યવસ્થાનું પરિચાલન હતુ.

પતિના અવસાન પછી તેમની પાછળ સ્વેચ્છાએ પત્ની અગ્નિ સમર્પિત થઇ અને પોતાના પ્રાણોની અહુતિ આપતી જે સતિપ્રથા તરીકે ઓળખાઇ.કોઇ રાજા-મહારાજા કેશ્ન્ય પુરુષની એક થી વધારે પત્નિ હોય ત્યારે સતિ થવા માટે સ્પર્ધા પણ રહેતી.સમાજનાં કયા વર્ગમાં આ પ્રથા અમલમા હતી એ વિષે ઇતિહાસવિદોમાં મતમતાંતર છે.જો કે પ્રદેશ અનુસાર રાજસ્થાનમાં આ પ્રથા વધારે પ્રચલીત હતી.માતા જીજાબાઇએ પણ પતિ શહાજી મહારાજના અવસાન બાદ સતિ થવા માગતા હતા.પરંતુ શિવાજી મહારાજે તેમને આમ કરતા રોકયા હતા.આમ કરીને શિવાજી મહારાજે સ્વયંના ઘરથી જ એક ક્રાંતિકારી પહેલ કરિ.શિવાજી પોતાના સમયથી કેટલા આગળ હતા એ સજવા માટે આપણે એ જાણવુ જોઇએ કે અંગ્રેજોએ સતિપ્રથા નિર્મુલન કરવા માટે જયારે કાયદો બનાવ્યો ત્યારે સાલ હતી 1861.લગભગ શિવાજી મહારાજ પછી 180 વર્ષે કાયદેસરનો કાનુન આવ્યો.

ઘર્મ-સુત્ર અનુસાર કોઇ શુદ્ર બ્રાહ્મણને અપશબ્દો કહે તો તેમની જીભ કાપી લેવામાં આવે.જો શુદ્ર્ શેષ ત્રણ જાતિઓ સાથે બરાબરી કરવાની ચેષ્ટા કરે તો એમને પીટવામાં આવે.આજ રીતે વેદ શ્રવણનો કે મંત્રોચ્ચારનો અધીકાર નહી.જાવલી ને પરાજીત કર્યા બાદ ભોરપાના પર્વત પર એક કિલ્લો બનાવડાવ્યો , પ્રતાપગઢ. જયાં એમણે કુળદેવી માં ભવાનીનું મંદિર બંધાવ્યુ.માતાની સ્થાપના પૂજા કરવા ત્યાં પહોંચ્યા ત્યારે જોયુ કે નિચી જાતિના લોકો ઘણા દુર ઉભા હતા.પુછતાછ કરતા ખબરપડી કે એ મૂર્તિકારો અછુત લોકો હતા.પરંતુ આ તો યુગપ્રવર્તક શિવાજી મહારાજ હતા તેમણે બધાને બોલાવી અને તેમના હાથે પુજા કરવાનો આદેશ આપ્યો.પુજારીનાં વિરોધ સામે પડીને પણ એમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધી અછુતોના હસ્તે જ સંપન્ન કરાવી.ઉપસ્થિત ગણમાન્યો ને સવાલ કર્યો કે જયારે આ લોકો મૂર્તિ નિર્માણ કરિ શકે તો મૂર્તિની પુજા કેમ ન કરિ શકે ??

શિવાજી એ પ્રત્યેક મનુષ્યનું મનુષ્ય ના સ્વરુપમાં જ દર્શન કર્યુ એની જાતિને એમણે કોઇ મહત્વ ન આપ્યુ.છુઆછુતના વાડાઓ નીચે દબાયેલા તત્કાલીન સમાજમા વ્યાપ્ત ઉચ-નિચ જેવી જાતિ વ્યવસ્થાને જ એમણે નકારી કાઢી આ એક રાજા માટે અસાધારણ પગલુ હતુ.અને એ પણ એમણે પોતાના વ્યક્તિગત આચરણ અને વ્યવહાર થી જ સંભવ કરિ દેખાડયુ.એમના વ્યક્તિગત સેવક,મદારી એક મેહતર જાતિના હતા તો અફઝલખાનના વધ સમયે અંગરક્ષક જીવા મહાલા એક વાળંદ જાતિના હતા.આ ઉપરાંત દુશ્મનોને ચકમો આપવા નકલી શિવાજી બનેલા શિવા કાશિદ પણ એક વાળંદ હતા.મનુષ્ય – મનુષ્ય વચ્ચે સમાનતા ના અદભુત સમર્થક ના રુપમા શિવાજી સદા ઉપસ્થિત રહેતા.આ માટે માનવતા , સાહસ , દુરદર્શિતા વગેરે આવશ્યક ગુણો એમનામાં હતા.જો કે આધુનિક સમયમાં આ સમજવુ થોડુ કઠીન છે.જે સમયે બ્રાહ્મણવાદ અતિ પ્રભાવી હતો એનો શિકંજો કેટલો મજબુત હતો એ એક શ્ર્લોક પરથી સમજી શકાય છે :

દેવાધીનામ જગત્ સર્વમ્ મંત્રાધિનામ તું દેવતા , તં મંત્રમ્ બ્રાહ્મણાધિનામ બ્રાહ્મણ નામ દેવતા.અર્થાત : વિશ્ર્વ નિર્માણ કરતા દેવ જે મંત્ર થી પ્રભાવીત થાય છે , એ બ્રાહ્મણોના નિયંત્રણમા છે માટે બ્રાહ્મણોને ઇશ્ર્વર તુલ્ય સમજવા.અફજલખાનનાં વધ સમયે એનો સાથ આપી શિવાજી ઉપર વાર કરનાર કૃષ્ણા ભાસ્કરનું પણ એમણે કામ તમામ કર્યુ હતુ.ઇતિહાસમાં બ્રાહ્મણ વધની કદાચ આ સર્વપ્રથમ ઘટના હશે. આજ પ્રકારે એ સમયમાં બાળક ઉલ્ટુ જન્મે તો અશુભ મનાતુ.રાજારામ મહારાજનો જન્મ આજ રીતે થયેલો આ સમયે બધાના ચહેરા ફિક્કા પડી ગયેલા. પુત્ર જન્મનો આનંદ કોઇએ ન મનાવ્યો.શિવાજી મહારાજને આ વાતની ખબર પડી એમણે કહ્યુ ઇશ્ર્વરિય સંકેતને સમજો , પુત્ર ઉલ્ટો જનમ્યો એનો અર્થ એકવાર એ દિલ્હી સલ્તનતને ઉલ્ટાવી દેશે.આ સાંભળી બધાના ચહેરા પર આનંદ છવાઇ ગયો.અંધશ્રદધા દુર થઇ લોકોએ આનંદ મનાવ્યો.

આજે 2022 મા ભારતમાં સ્વચ્છતા પ્રતિ જબરદસ્ત જાગરુકતા જોવા મળે છે.સ્થાન સ્થાન પર શૌચાલયોનુ નિર્માણ , કચરાના સુચારુ નિકાલ , ઉકરડાઓ નિર્મુલન વગેરે.ત્યારે એ સમયમાં શિવાજી મહારાજે પોતાના કિલ્લામાં શૌચ-કુવાઓનું નિર્માણ ખુબ સજબુઝ થી કરાવ્યુ હતુ.રાજગઢ ,પ્રતાપગઢ અને સિંધુદુર્ગ ના કિલ્લાઓમા શૌચકુવાઓનું નિર્માણ કરાવેલુ.મલનિકાસી માટે એવી વ્યવસ્થા કે ગંદકી સિધી પહાડીની તળેટીમા જ નિકાલ જેથી ચોટી પર રહેલા કિલ્લામા દુર્ગંધ કે અસવચ્છતા નિર્માણ ન થાય.વર્તમાનમા વેસ્ટર્ન ટાઇપના ટોઇલેટોનું એ સમયે પણ શિવાજીએ નિર્માણ કરાવેલુ જેની ગંદકી સિધી શોષખાડાઓ માં જમા થતિ અને તેને તુરંત માટીથી પુરવામાં આવતા.જેથી અસ્વચ્છતા ન ફેલાય. પોતાના સમયથી દરેક ક્ષેત્રે ભવિષ્યનુ વિચારનારા શિવાજી મહારાજ માટે સમાનતા -ન્યાય અને ભેદરહિત સમાજ નિર્માણ એ એના ઉન્નત,બલશાલી ,એક સ્વાભીમાની રાષ્ટ્રનિર્માણ માટેની પ્રાથમીકતા હતી .આથી જ એમના 1680 મા નિધન થયે લગભગ 342 વર્ષ પછી પણ એમની હિન્દુ પદપાદશાહીની સ્થાપના દિવસને હિન્દુ સામ્રાજય દિન તરીકે દેશભરમા મનાવાય છે. વર્તમાન પેઢીના યુવાઓ પણ એમાંથી પ્રેરણા લે એવા હતા ’ધ ગ્રેટેસ્ટ શિવાજી મહારાજ ’.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.