Abtak Media Google News

જામનગર તાલુકાના ઠેબા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા આવેલા શખ્સે મંદિરની ચાવી લઇ દાન પેટી કોઇ હથિયાર વડે તોડીને તેમાંથી રૂા.30 હજારની રોકડની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી અને રણજીતસાગર રોડ પર આવેલા યુવા પાર્ક નજીક એક ટેર્નામેન્ટમાં તથા આવાસના ફલેટમાંથી અને મંદિરમાંથી રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી.

જામનગર શહેરના એસટી ડેપો પાછળ આવેલી મીગ કોલોનીમાંથી રીક્ષામાં આવેલ તસ્કર બે સાઈકલો ચોરી કરી નાશી ગયાના બનાવમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડમાં કૈલાસનગર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલું બાઈક તસ્કરો ચોરી કરી ગયા હતાં.

છેલ્લાં થોડાંક સમયથી જામનગર શહેર-જિલ્લામાં તસ્કરોનો રંઝાળ દિવસને દિવસે વધતો જાય છે. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તથા શહેરના પોશ વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. જિલ્લામાં ચોરીના બનાવો વધી જવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં જ જિલ્લામાં ચોરીના ચાર બનાવો બન્યા છે. જે પૈકીના ત્રણ બનાવોની ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે એક ચોરીના બનાવની ફરિયાદ હજુ સુધી નોંધવામાં આવી નથી. આ બનાવોમાં પ્રથમ બનાવ જામનગર તાલુકાના ઠેબા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં મંગળવારે સવારના પોણા નવ વાગ્યાના અરસામાં આશરે 30 વર્ષનો યુવાન ગોરધનભાઇ પ્રાગડાના ઘરે આવીને માતાજીના દર્શન કરવા છે તેમ કહી મંદિરની ચાવી લઇ ગયો હતો. ત્યારબાદ મંદિર ખોલીને અંદર પ્રવેશી રાખેલી દાનપેટી કોઇ તિક્ષ્ણ હથિયાર વડે તોડી તેમાં રહેલી રૂા.30 હજારની રોકડ રકમની ચોરી કરી નાશી ગયો હતો.

Screenshot 2 6

ત્યારબાદ તસ્કર મંદિર ખુલ્લુ મુકીને પલાયન થઈ ગયો હતો. આ અંગેની જાણ રાજેશ પ્રાગડા નામના વેપારી દ્વારા કરવામાં આવતા પીઆઈ આર.બી. ગઢવી તથા સ્ટાફે સ્થળ પર દોડી ગયા હતાં અને વેપારીના નિવેદનના આધારે એક તસ્કર વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં એસ ટી બસ સ્ટેન્ડ પાછળ આવેલા મીગ કોલોની વિસ્તારમાં રવિવારે રાત્રિના સમયે એક સીએનજી રીક્ષામાં આવેલા તસ્કરે બ્લોક નં.2/7 માં રહેતાં સુમિત હરીશભાઈ ગોસરાણી નામના વિદ્યાર્થીની રૂા.2000 ની કિંમતની કાળા કલરની સાઈકલ તથા કૌશલ બદિયાણી નામના યુવકની કાળા કલરની બે હજારની કિંમતની સાઈકલ ચોરી કરીને રીક્ષામાં નાખી રાત્રિના સમયે પલાયન થઈ ગયો હતો. આ સાઈકલ ચોરીના સીસીટીવી ફૂટેજોના આધારે પોલીસે સુમિતનું નિવેદન નોંધી સાઈકલ ચોરીની ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે સીએનજી રીક્ષાચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ત્રીજો બનાવ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા યુવા પાર્ક પાસેના આવાસમાં તેમજ અન્ય રહેણાંક મકાન તથા એક મંદિરને ગત રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યા હતાં અને આ સ્થળોએથી સામાન વેર વિખેર કરી રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી જતાં રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉપરાંત આ આવાસ કોલોનીમાં તસ્કરોના સીસીટીવી ફૂટેજો વાયરલ થયા છે.

આમ જામનગર શહેર અને જિલ્લામાં ચાર થી વધુ સ્થળોએ ચોરી થયાની ઘટનાઓ બની છે અને બે સ્થળોએ તો ફરિયાદ પણ નોંધાઈ નથી. તસ્કરોને રેઢો પટ્ટ મળી ગયો હોય એમ એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપતા જાય છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચોરીના બનાવની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

ચોથો બનાવ, કાલાવડ ગામમાં આવેલા કૈલાશનગર વિસ્તારમાં રહેતાં બળદેવસિંહ ભોજુભા જાડેજા નામના ખેડૂત આધેેડે તેના ઘર સામે પાર્ક કરેલુ રૂા.15 હજારની કિંમતનું જીજે-03-જેજે-5885 નંબરના બાઈકની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોરીના વધતા જતા બનાવોના પગલે લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે જાણે આવા લુુખ્ખા તત્વોમાં જાણે પોલીસનો ડર રહ્યો જ ન હોય.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.