Abtak Media Google News

બોર્ડ દ્વારા જાહેર કરેલી બ્લ્યુ પ્રીન્ટ પ્રમાણે વિદ્યાર્થીઓને પેપરમાં હેતુલક્ષી પ્રશ્નો, અતિ ટૂંકા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો વગેરેનો સમાવેશ થશે

ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના બોર્ડના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા ધોરણ 10 અને 12 કોમર્સની ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ડીસેમ્બર હતી. જેની હવે મુદત વધારવામાં આવી છે અને ફોર્મ ભરવાની તારીખ 26 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે અને 27 ડિસેમ્બરથી લેટ ફી લેવામાં આવશે.

ગુજરાત બોર્ડમાં ધોરણ 10ની બોર્ડનું ફોર્મ અને ફી ભરવાની તારીખ 21 ડિસેમ્બર સુધીની હતી. જે તારીખ હવે લંબાવવામાં આવી છે અને 26 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફોર્મ અને ફી ભરવાની મુદત રાખવામાં આવી છે. 27 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં લેટ ફી ભરીને ફોર્મ ભરી શકશે. પ્રથમ તબક્કો 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો હશે. જેમાં 250 રૂપિયા લેટ ફી, બીજો તબક્કો 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી જેમાં 300 રૂપિયા લેટ ફી અને ત્રીજો તબક્કો 11 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી રહેશે. જેમાં 350 લેટ ફી ભરવાની રહેશે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ થતાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રણમાં હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. ગત વર્ષે 12 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં. જયારે આ વર્ષે હજુ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં છે. હજી ત્રણેક લાખની આસપાસ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે. એટલે કુલ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેવી શક્યતાઓ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધો.10 અને 12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા માટેનું પરિરૂપ જાહેર કર્યું છે. બોર્ડે પોતાની વેબસાઇટ પર વિષયદીઠ પેપરની સ્ટાઇલ અને ગુણભાર સાથેનું પરિરૂપ રજૂ કર્યું છે. તૈયાર કરેલા પરિરૂપ પ્રમાણે વર્ષ 2021-22ની બોર્ડની પરીક્ષા લેવાશે. બોર્ડે પરિરૂપની સાથે જ વિષયોના કોડ પણ શિક્ષકો અને અધિકારીઓ માટે જાહેર કર્યા છે. પ્રશ્નો, અતિ ટૂંકા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો વગેરેનો સમાવેશ થશે.

આ ઉપરાંત પરિરૂપમાં ભાષાના પેપરમાં કાવ્ય અને પાઠનો કેટલો ગુણભાર રહેશે તેની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. તજજ્ઞોના મતે, વિદ્યાર્થીઓ બ્લ્યુ પ્રિન્ટને આધારે પરીક્ષાની તૈયારી કરે તો ઓછી મહેનતે વધારે ગુણ મેળવી શકે છે. કારણ કે વિદ્યાર્થીને ખ્યાલ રહેશે કે ક્યાં વિભાગમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી તમામ પેપરનું પરિરૂપ જોઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.