Abtak Media Google News

આફતને અવસરમાં પલટાવતી ગુજરાતની ખુમારી

કપરાકાળમાં ૧૦,૭૦૩ કામો પૂર્ણ, ૨૯ લાખ શ્રમિકોને મળી રોજગારી: જળસંગ્રહ ક્ષમતામાં લાખો ધન ફુટનો વધારો

આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતની ખૂમારી આ અભિયાનની તા.૧૦ જૂને પૂર્ણ થયેલી ત્રીજી શ્રુંખલામાં ઝળકી ઉઠી છે. આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના તંત્ર માટે પડકાર રૂપ હતી, કેમ કે કોવિડ-૧૯ની મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં અનેક પડકારોની વચ્ચે આ અભિયાનને આગળ વધારવાનું હતું.  આ સ્થિતિમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સુજલામ સુફલામ જળ અભિયાન  આગળ ધપાવવા વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિનો મહિમા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર તંત્રને પ્રેરિત કર્યું હતું. કોરોનાના સંક્રમણ વચ્ચે જળસંપત્તી, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, વન પર્યાવરણ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. અને સ્થાનિક  જિલ્લા વહીવટીતંત્રએ આ કોવિડ-૧૯ની આફતને અવસરમાં બદલવાનો પડકાર ઝીલી લીધો.

કોવિડ-૧૯ની મહામારીના આ સમયમાં લોકડાઉનની સ્થિતિમાં શ્રમિકોને રોજી-રોટી અને આર્થિક આધાર મેળવવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે વધુમાં વધુ શ્રમિકો સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા યોજનાના કામોમાં જોડાય વહિવટી તંત્ર દ્વારા બહોળા પ્રમાણમાં તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.  કોવિડ-૧૯ની મહામારી સામે લોકડાઉનની સ્થિતિમાં પણ ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યોમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં ૨૯ લાખ માનવદિન રોજગારી નિર્માણનું કાર્ય કર્યું છે. જેમાં એક દિવસમાં જ અંદાજિત ૧.૨૩ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે.  રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે. જેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦,૬૨૮ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. જેમાં આ વર્ષે વિપરિત સંજોગોમાં પણ ૧૭,૦૭૫ લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.

વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સતત જ્વલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા.૨૦ એપ્રિલથી તા.૧૦ જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ત્રીજુ સંસ્કરણ શરૂ કરાવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા સહિતના શ્રમિકોને રોજગારી આપતાં કામો સાથોસાથ જળસંગ્રહ ક્ષમતા વધારવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પૂન: શરૂ કરવા તંત્રને પ્રેરિત કર્યું અને આ કામોમાં ગતિ આવી હતી.  રાજ્યમાં ૨૦ એપ્રિલથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં ૧૦ જૂન સુધી ૧૦,૭૦૩ કામો પૂર્ણ થયા છે.  અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યભરમાં ૪,૧૯૨ તળાવો ઊંડા કરવામાં આવ્યા, ૨,૩૧૭ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ, ૨,૧૯૦ કિ.મી.લંબાઇમાં નહેરોની સફાઇ અને ૧,૮૬૦ કિ.મી.લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવી તેમજ કુલ ૧૭,૦૭૫ લાખ ઘન ફૂટનો વધારો થયો છે.

આ કામગીરીમાં એક જ દિવસમાં સૌથી વધુ મહત્તમ ૨,૮૧૭ જે.સી.બી.મશીન અને ૧૩,૩૩૦ ટ્રેક્ટર ડમ્પરને મળીને કુલ ૧૬,૧૪૭ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મહત્વકાંક્ષી અભિયાનને લોકોનો પણ ખૂબ જ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે અપ્રતિમ સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.