Abtak Media Google News

કચ્છના નાના રણમાં કમોસમી વરસાદ બાદ નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બની ગયા હતા. જેમાં ખારાગોઢાના રણમા દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી,  અંબિકા સહકારીમાં મળીને આશરે 500 જેટલા પાટામાં કેનાલનું ચિક્કાર પાણી ફરી વળતા મીઠું પકવતા અગરિયાઓને ભરશિયાળે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. એમાંય આખા સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને પુરૂ પાડી શકે એટલું નર્મદાનું નીર રણમાં બેરોકટોક વેડફાય છે.

હાલમાં રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 2,000થી વધુ અગરીયાઓએ પોતાના પરિવારોજનો સાથે “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરું કામ કરવા રણમાં ધામા નાખ્યા હતા. ત્યારે પહેલા કચ્છના નાના રણમાં આવેલા ખારાગોઢા રણના રણ વિસ્તારમા સર્વે સેટલમેન્ટમા નામ હોય તેમને જ પ્રવેશનો વિકટ પ્રશ્ન સામે આવ્યો હતો. બાદમાં રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ હજી પોતાના મીઠાના પાટાઓ ભરીને તૈયાર કર્યા હતા, ત્યાં રણમાં કમોસમી વરસાદી માવઠું થતાં મીઠું પકવતા ગરીબ અને પછાત અગરીયા પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો.

આ અંગે ખારાઘોડા અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામાએ જણાવ્યું કે, આ વર્ષ અગરીયા સમુદાય માટે એક પછી એક આફતનો પહાડ લઈને આવ્યું છે. સીઝનની શરૂઆતમાં ખારાગોઢા રણના રણ વિસ્તારમા સર્વે સેટલમેન્ટમા નામ હોય તેમને જ પ્રવેશ બાદ રણમાં ઝીંકાયેલું કમોસમી વરસાદી માવઠું અને ત્યાર બાદ ખારાગોઢાના રણમા વિવિધ સહકારી મંડળીના અંદાજે 500 જેટલા પાટામા કેનાલનું પાણી ફરી વળતા ગરીબ અને પછાત અગરીયા પરિવારો પર વધુ એક વખત આફતનો પહાડ તૂટી પડ્યો હતો.

રણમાં અઠવાડિયા અગાઉ પડેલા કમોસમી વરસાદના પગલે રણમાં પાણીના ટેન્કર જવા અશક્ય હોવાથી અગરિયા સમુદાયને ભરશિયાળે તરસ્યા રહેવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. જ્યારે બીજી બાજુ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે નર્મદાના લાખો ગેલન પાણીનો બેરોકટોક વ્યય થતો જોવા મળ્યો છે. ત્યારે રણમાં એકબાજુ નર્મદાના પાણીનો વેડફાટને બીજી બાજુ અગરિયાઓ તરસ્યા હોવાનું સામે આવ્યું છે.

આખા સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને પુરૂ પાડી શકે એટલું નર્મદાનું નીર રણમાં વેડફાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.