Abtak Media Google News

ગાંધીધામની તરૂણીને કમળાની સારવાર માટે તબીબ પાસે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવાતા હાલત ગંભીર

આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધામાં ગરકાવ લોકો બાળકીને ભોગ બનાવી રહ્યા છે ત્યારે એકવીસમી સદીમાં પણ અઢારમી સદીની પ્રતીતિ કરાવતો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીધામની તરુણીને કમળો અને પેટનો દુખાવો થતાં પરિવારજનોએ તબીબ પાસે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જતા તેને સળગતી અગરબત્તીના ડામ આપ્યા હતા. બાળકીને ડામ આપતા તેની હાલત વધુ કફોડી થતા આખરે પરિવારજનોએ તરુણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામમાં રહેતા અને ડ્રાઈવિંગનું કામકાજ કરતા રમેશભાઈ રામશીભાઈ મોરવાડિયાની 11 વર્ષની પુત્રી જિજ્ઞાને પેટના ભાગે સળગતી અગરબત્તીના ડામ આપતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગે તરૂણીના પિતા રમેશભાઈએ જણાવ્યા મુજબ જીજ્ઞાને આજથી દસેક દિવસ પહેલા તાવ આવ્યો હતો. જેના કારણે જીજ્ઞાને મંત્રાવવા માટે ભચાઉ ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાંથી આવ્યા બાદ બાળકીને તાવ આવતા દાદી ધમીબેન તેણીને ખેતી કરતા એકભાઈ પાસે બોરીયો કરાવવા લઈ ગયા હતા. જ્યાં અંધશ્રદ્ધામાં ગળાડૂબ પરિવારજનોએ બાળકીને સળગતી અગરબત્તીના ડામ દેવડાવ્યા હતા.

ફૂલ જેવી કોમળ બાળકીને ધગધગતી અગરબત્તીના ડામ આપતા તેણીની હાલત વધુ ગંભીર બની હતી. જેથી ઘરના સભ્યોને આખરે ભાં આવતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ઘટના અંગે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે હાલ જમાનો આધુનિક ટેકનોલોજીના યુગમાં પ્રગતિ સર કરી રહ્યો છે. ત્યારે હજુ ઘણા એવા લોકો છે જે અંધશ્રદ્ધામાં ડૂબીને માસુમ બાળકીને તેનો ભોગ બનાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.