જુનાગઢ સમાચાર
ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર એક તરફ ભારે માનવ મહેરામણ ઉમટીઓ છે. તો બીજી બાજુ અન્ન ક્ષેત્રો, ઉતારા મંડળો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોની ભારે સેવા ચાકરી કરવામાં આવી રહી છે. ભવનાથ ક્ષેત્ર સહિત પરિક્રમાના રૂટ ઉપર ઠેર ઠેર અનશેત્રો ઉભા કરાયા છે અને ભાવિકોને ચા, નાસ્તા, ગરમાગરમ ગાંઠિયા મરચાના નાસ્તા સાથે ભાત ભાતના ભોજન પ્રસાદ, ગરમ શીરા તથા મીઠાઈ સાથે પીરસવામાં આવી રહ્યા છે. આ અન્નક્ષેત્રોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક સેવાભાવી લોકો તથા યુવાન દીકરા – દીકરીઓ સેવા આપી રહ્યા છે અને ભોજન તૈયાર કરી ભાવિકોને ભાવથી પીરસી રહ્યા છે.
ગિરનાર પરિક્રમા દરમિયાન ગઈકાલે સવારે ૭ વાગ્યે નળ પાણીની ઘોડી પાસેથી એક ૫૫ વર્ષીય અજાણ્યા પુરુષોનો મૃતદેહ મળી આવતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાં તેમની પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કે, હજુ સુધી મરણ જનાર પુરુષોની ઓળખ ન થયેલ હોવાથી મરણ જનારનાં મૃતદેહને જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા મરણ જનારની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરાય છે.
આ સાથે પરિક્રમાના રૂટ ઉપર વયોવૃદ્ધ વ્યક્તિઓ પડી જતા ઘાયલ થયેલ હોવાના તથા અમુક ભાવિકોને વીંછી કરડવાના અને છાતીમાં દુખાવા, શ્વાસ ચડવાની તથા જાડા ઉલટીની સમસ્યાઓ સર્જાતા તેમને પરિક્રમા રૂટ ઉપર ઉભા કરવામાં આવેલ સારવાર કેન્દ્ર ઉપર સારવાર આપવામાં આવી હતી. અને અમુક દર્દીઓને વધુ સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.જ્યારે પરિક્રમા રૂટ ઉપર બે ભાવિકો ને કાર્ડિયાક તકલીફ થતા પોલીસ વિભાગના જવાનો દ્વારા સીપીઆર સારવાર આપી તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
જુનાગઢ પોલીસે આ વખતે પરિક્રમાના માહોલમાં જંગી મેદની વચ્ચે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખૂબ સુંદર સતર્કતા દાખવી છે. અને એ રાઉન્ડ ધી પેટ્રોલિંગ શરૂ રખાયું છે. તે સાથે પોલીસે કુલ ૨૫૫ ઇસમો સામે કાર્યવાહી કરી હોવાની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
જુનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતાના જણાવ્યા અનુસાર પરિક્રમા માટે ૩૦૦૦ જેટલાં પોલીસ અધિકારીઓ અને પોલીસે કર્મીઓને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે. તે સાથે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, ડીવાયએસપી કોડીયાતર, એલસીબી. એસોજી. સહિતની ટીમ દ્વારા એ રાઉન્ડ ક્લોક બાજ નજર રાખવામાં આવી રહી છે. તે દરમિયાન શંકાસ્પદ જણાતા ૧૨૧ જેટલા ઇસકોને ચેક કરી તેમની સાથે કાર્યવાહી હાથ ધરાય છે, તથા ૪ જેટલા પ્રોહિબિશનના કેસ નોંધાયા છે.