Abtak Media Google News

રાજકોટના જાળીયા ગામે મળેલા હાડપિંજરનો ભેદ ઉકેલાયો

રાજકોટના જોળિયા ગામેથી થોડા દિવસ પહેલા મળેલા યુવાનના હાડપિંજરનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. જેમાં પત્ની પર નજર બગાડનાર યુવાનને પતિએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રતનપર નજીકના જાળિયા ગામના વોંકળાના કાંઠે અવાવરૂ જગ્યાએથી ગત શુક્રવારે સાંજના યુવાનનું હાડપિંજર મળી આવ્યું હતું. બનાવના પગલે કુવાડવા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ હાડપિંજરનું પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. દરમિયાન રિપોર્ટ આવતા યુવાનની હત્યા થઇ હોવાનું સ્પષ્ટ થયું હતું.

જોધપુરથી સસરાની અસ્થિ પધરાવવા આવેલા યુવાનને મોતને ઘાટ ઉતારનાર હત્યારો ઝડપાયો

ત્યાર બાદ યુવાનની ઓળખ મૂળ જારીયા ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના જોધપુર સ્થાયી થયેલા સુરેશ દેવીપુજક તરીકે થઈ હતી. બીજી પોલીસ તપાસમાં આ હત્યા જાળિયા ગામમાં જ રહેતા પરેશ તળસી સોલંકીએ કરી હોવાનું માલુમ પડતા પોલીસે તેની ઉઠાવી લીધો હતો. જેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, “સુરેશે તારી પત્ની સાથે સુવા દે કહેતા હું ઉશ્કેરાયો હતો અને તેના ગુપ્તભાગે લાતો મારી પતાવી દીધો હતો.”

મૃતક સુરેશ જાળિયા રાજસ્થાનના જોધપુરમાં રહેતો હતો. થોડા સમય પહેલા જ સસરાની અસ્થી પધરાવવા જાળિયા ગામે આવ્યો હતો. ત્યારબાદ પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થતા તેની પત્ની સહિતના સાસરીયા પક્ષના સભ્યો જોધપુર જતા રહ્યા હતા. જ્યારે સુરેશ જાળિયા ગામમાં રોકાય ગયો હતો. બાદમાં ગામમાં જ રહેતા પરેશ તળસી સોલંકીને કહ્યું હતું કે, તારી પત્ની સાથે મને સુવા દે. આથી પરેશ ઉશ્કેરાયો હતો અને સુરેશને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

નદી કાંઠેથી હાડપિંજર જેવી હાલતમાં લાશ મળી આવ્યા બાદ ગામના સરપંચ અને વિનોદભાઇનો ભાઇ મહેશ પરેશને મળ્યા હતા. ત્યારે પરેશે પોતાનાથી ખોટું થઇ ગયું છે. સુરેશે પોતાની બાયડી સાથે સુવાની વાત કરતા મેં જ મોતને ઘાટ ઉતારી દીધો હોવાની વાત કરી હતી. એટલું જ નહિ પરેશની ચાર દિવસ પહેલા પણ સુરેશ વિશે પૂછપરછ કરી હતી. ત્યારે પરેશે સુરેશ વિશે કંઇ જાણતો ન હોવાનું કહી જતો રહ્યો હતો.

ત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટના રતનપર નજીક જાળિયા ગામના વોંકળાના કાંઠે અવાવરૂ જગ્યાએ હાડપિંજરની દુર્ગંધ આવતી હોવાથી સરપંચને જાણ થતા પોલીસને જાણ કરી હતી. આથી એસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સાયન્ટિફિક ઓફિસરને પણ સ્થળ પર બોલાવી લેવાયા હતા. મામલતદારની હાજરીમાં પંચનામું કરાવ્યું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડના સ્ટાફે ખાસ કીટમાં હાડપિંજરને સિવિલના પોસ્ટમોર્ટમ રૂમે ખસેડ્યું હતું. બાદમાં સુરેશ રણછોડભાઈ દેવીપુજકનું હાડપિંજર હોવાનું ખુલ્યું હતું.

હત્યાની ઘટના અંગે મૃતક સુરેશના પિતરાઇ ભાઈ વિનોદ બીજલભાઈએ કુવાડવા પોલીસ મથકમાં પરેશ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતરાઇ ભાઇ સુરેશે આરોપી પરેશને તેની પત્ની સાથે સુવાની વાત કહી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. બાદમાં આરોપી પરેશે ઉશ્કેરાય સુરેશને ગુપ્તભાગે તથા પેટના ભાગે લાતો મારી જીવલેણ ઇજા પહોંચાડતા મોત થયું હતું. ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધાયો છે. આ અંગે વધુ તપાસ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી.એમ. ઝણકાટની રાહબરીમાં રાઇટર હિતેશભાઇ ગઢવી તથા સ્ટાફ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.