Abtak Media Google News

આપણા દેશમાં 1984 થી રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાઈ રહ્યો છે, સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ની યાદ માં આ દિવસ ઉજવાય છે. આજે ચોમેર દિશાએ આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે. ર1મી સદીમાં ‘જ્ઞાન’ની સાથે ઇન્ફરમેટીવ નેટ માઘ્યમો થકી સૌ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણા દેશની 140 કરોડની વસ્તીનો સૌથી મોટો વર્ગ લગભગ 60 કરોડ યુવાનો છે, જે દેશની લગભગ 47 ટકા જેટલી વસ્તી છે. એનો ચોકકસ દિશા તરફનો વિકાસ થાય તો જ આપણો દેશ સાચા અર્થમાં વિકાસની  હરણ ફાળ ભરી શકે એમ છે, પણ આપણી કમનશીબી એ છે કે આપણું યુવાધન ભટકી રહ્યું છે. તેનો પથ દર્શક કોણ બનશે? એ ચિંતા અને ચિંતનનો વિષય છે.

1984 થી ભારતમાં આ દિવસ ઉજવાય છે: વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ ભારત છે : પશ્ચિમી સંસ્કૃતિમાં ઓતપ્રોત થયેલો યુવા વર્ગ આપણી સંસ્કૃતિને વિસરી રહ્યો છે

દેશનું યુવા ધન આપણી તાકાત છે, તેના શિક્ષણ-રોજગાર જેવા વિવિધ પ્રશ્ર્નો સાથે તેના મુંઝવતા પ્રશ્ને માર્ગદર્શન પણ મળવું જોઈએ

આઝાદ ભારતમાં વ્યસનોના ગુલામ બની ગયેલા યુવાનોનાં પથ દર્શક કોણ બનશે?

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ યુવા ધન માટે 10 લાઇફ સ્કિલ કે જીવન કૌશલ્યો આપ્યા છે. જેમાં સ્વની ઓખળ, સમસ્યા ઉકેલ, જેવા વિવિધ કૌશલ્યોનો સમાવેશ થાય છે. આજનો યુવા વર્ગ જો આ કૌશલ્યો પ્રાપ્ત કરે તો, તેનો વિકાસ કરી શકે છે. સારા નરસાની પરિભાષા સમજવી આજના યુવાનને ખાસ જરૂર છે. વિદેશી સંસ્કૃતિનાં આંધળા અનુકરણથી તે ભટકી રહ્યો છે. યુવાનોના પરિવારે તેમને સમજવાની સાથે પ્રેમ-હુંફ લાગણી જેવા વર્તાવ બાબતે જાગૃત થવાની જરૂર છે.

તરૂણોને તારૂલ્ય શિક્ષણમાં શાળા સંકુલે માવજત કરીને તેનો ઉછેર કરવાની જરૂર છે. વ્યસનોથી થતી હાની વિશે તે જાગૃત થાય અને તે તેના સર્વાગી વિકાસ બાબતે કાર્યરત થાય તે જરુરી છે. આજે દેશમાં યુવા ધનને સાચે માર્ગે વાળવા માટે કોઇ સાચા કાઉન્સીલર નથી. શિક્ષણની સાથે સહ અભ્યાસિક પ્રવૃતિનું મહત્વ જરુરી છે, કારણ કે લક્ષ્ય આધારીત તેના કાર્યોમાં સમાજનાં દરેક વર્ગે મદદ કરવી પડશે. આજે તેનો આઇકોન, રોલ મોડેલ બની શકે એવો કોઇ હોય તો તે જ તેને સાચે માર્ગે વાળી શકે એમ છે. આજે તો ફિલ્મ સ્ટારો યુવા ધનના આઇકોન છે, અને એ પણ થોડા દિવસ બાદ બદલાય જાય છે.

ભૂતકાળમાં વિવેકાનંદજી જેવા તેજસ્વી યુવાને કેટલાય યુવાનોના જીવન બદલી નાખ્યા હતા. આજે કેટલા યુવાનોનો આઇકોન સ્વામી વિવેકાનંદજી છે !! આજનો યુવાન ટીવી, ફિલ્મ , નેટ સોશ્યલ નેટવર્ક માઘ્યમથી ઘણા આડા રસ્તો ચડી ગયો છે. કેટલાક તો ડ્રગના દુષણમાં સપડાયને જીંદગી બરબાદ કરીને મા-બાપને જીવનભર દુ:ખની ખીણમાં નાખી દીધા છે. ભણ્યા બાદ નોકરી ન મળવાથી આર્થિક મુશ્કેલીમાં આપઘાત પણ યુવાન કરવા લાગ્યો છે. ધો. 10 કે 1ર પછી તેના રસ, રૂચિ, વલણો આધારીત વિવિધ કોર્ષોમાં એડમિશન મળે છે? ફિ કેટલી બધી ભરવી પડે, મા-બાપની ગરીબી જેવી વિવિધ બાબતોથી હતાશ યુવાનને સાંત્વના ન મળતા તે શોર્ટ કટથી પૈસા કમાવવા માટે ગમે તેવા કૃત્યો કરવા તૈયાર થઇ જાય છે.

સરકારે પણ સ્કીલ બેઇઝ એજયુકેશનનો ઢાંચો બનાવીને દેશની  લગભગ અડધી વસ્તી જેટલા યુવાનોને કામ આપવું જ પડશે, અને જો કામ ન મળે તો નવરો યુવાનો ગમે તેમ કરીને પૈસા કમાવવા ગેરકાનુની કામ કરવા લાગશે. ભણી-ગણીને પણ આજે રોજગારીની સમસ્યા છે, ત્યારે યુવાનોના સાચા વિકાસનાં મસિહા કોણ બનશે? તે એક પક્ષ પ્રશ્ર્ન છે.

‘યે દેશ હે વિર જવાનો કા’ વર્ષો પહેલા આવેલી નયા દૌર ફિલ્મના શબ્દો આજે આપણા દેશના યુવાનો માટે કહેવાયા છે. હસતો, ગાતો, દેશ માટે બલીદાન આપતો યુવાન ખરા અર્થમાં કુટુંબ, પરિવાર માટે મહેનત કરવા તૈયાર જ છે, પણ માર્ગદર્શનના અભાવે તથા કામ ન મળવાનો કારણે હતાશ થઇ જાય છે. આજે કારમી મોંધવારી ને મંદિના માહોલમાં બે ટંકનો રોટલો ભેગો કરવો ઘણું જ કઠિન કાર્ય છે. ત્યારે યુવાનોને કામ આપીને તેનું શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરીને  ભારતનું શ્રેષ્ઠ નિર્માણ કરવાના કાર્યોમાં સરકાર સાથે સમાજમાં તમામ વર્ગે કાર્ય કરવું પડશે.સમાજથી આપણે નથી, આપણાથી સમાજ છે, આ સમાજ ને કેવો બનાવવો તે આપણા હાથમાં છે. યુવા ધન આપણાં દેશની તાકાત છે તેનો વિકાસ એ દેશનો વિકાસ છે. આપણે સૌ એ આપણા યુવાનોના તમામ પ્રશ્ર્ને તેને સાથ સહકાર આપીને હકારાત્મક વિચારો સાથે તેની મુંઝવણમાં સાચુ માર્ગદર્શન આપીને તેનો વિકાસ કરવાનો છે. જો આમા કશી કચાશ રહેશે તો, આપણું યુવાધન ગેર માર્ગે વળી જશે.

આપણા દેશમાં 1ર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાય છે. 1984 થી આ દિવસની ઉજવણી થાય છે આજે 40 વર્ષે પણ યુવાધન સક્ષમ બન્યું છે,ખરું? પ્રશ્ર્નનો જવાબ તમે જ વિચારજો !! આપણા યુવાધન માટે આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ કોણ બનશે, એ ચિંતનનો વિષય છે.

આજના યુવાનો ઘણી સમસ્યાઓ છે, તેમાં થોડી મદદ તેના વિકાસમાં આગળ વધવા મદદરૂપ થાય છે. ઘણા ખરા યુવાનોને માર્ગદર્શન જ મળતું નથી. જો તેને સાચી દિશા બતાવનાર મળી જાય તો તેનામાં તાકાત નો અખુટ ભંડાર છે, જેના દ્વારા તે હિમાલય પણ ચડી શકે છે. એક વાત એ પણ છે કે આજનો યુવાન પોર્તોગ્રાફીના ખરાબ દુષણો, વ્યસનો, ડ્રગ્સ જેવા ભયંકર કાર્યો તરફ વળ્યો છે. તેને સાચે રસ્તે લાવવાની જવાબદારી મા-બાપો, શાળા, કોલેજો અને સમાજ સેવકોની છે.યુવા ધનને ગેર માર્ગે દોરનારા  પણ સમાજમાં છે. યુવા વર્ગને સારા નરસાની પરિભાષા સમજાવીને તેના જીવન કૌશલ્યોનો વિકાસ કરાવીએ તો તે સકારાત્મક વિચારોથી ખરાબ માર્ગે જશે નહીં.

શાળા કોલેજમાં વિવિધ પ્રવૃત્તિથી યુવા વિકાસ

એન.સી.સી., એન.એસ.એસ. જેવી પ્રવૃતિથી શાળા, કોલેજમાં યુવાધન સર્વાગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિ પ્રોજેકટ થાય છે જેમાં તેના ચારિત્ર્ય નિર્માણ સાથે શ્રેષ્ઠ નાગરીક ઘડતરના પાઠો ભણાવીને વિવિધ ગુણોનું સિંચન કરાય છે. સ્કાઉટ ગાઇડ, રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કેમ્પ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં જઇને એક સપ્તાહ સુધી વિવિધ પ્રવૃતિ પ્રોજેકટ કરાય છે. આજનો યુવાન સેવાભાવી હોવો જોઇએ, યુવાન પોતાના જ્ઞાન, કાર્યો થકી શ્રેષ્ઠત્તમ પ્રગતિ કરીને ભારત દેશનું નામ રોશન કરે એ જરુરી છે. જો કે આઇ.ટી. ક્ષેત્રે ભારતીય યુવાનોની વિશ્ર્વભરમાં બોલબાલા છે. ઘણા યુવાનો શાળા, કોલેજમાં દરેક પ્રવૃતિમાં જોડાઇને શ્રેષ્ઠત્તમ દેખાવ કરીને ઇનામો પણ મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.