Abtak Media Google News

આણંદ જિલ્લા ખાતે રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેનની અધ્યક્ષતામાં યોગ દિન ઉજવાયો

૨૧ જુન વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ જીલ્લાઓમાં વધુને વધુ લોકો યોગ દિવસની ઉજવણી કરી શકે અને યોગ વિશે માહિતી મેળવી સ્વસ્થ રહી શકે તે માટેનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જેના અનુસંધાને ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમનાં ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આણંદ જીલ્લા ખાતે શાસ્ત્રીનગર વિદ્યાનગર ખાતે મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કલેકટર દિલીપ રાણા, મહેશભાઈ પટેલ, ડો.શીરીષ કુલકર્ણી, ડો.એસ.જી.પટેલ, અમીત પ્રકાશ યાદવ, મકરંદ ચૌહાણ, પી.સી.ઠાકોર સહિતનાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો અને આણંદ જીલ્લાનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શુભ શરૂઆત નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા ઉ૫સ્થિત તમામ મહેમાનોનું અભિવાદન તથા દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સિનીયર સિટીઝન દ્વારા યુનીક યોગા પર્ફોમ કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને જનમેદનીએ ૬૦ મીનીટ સુધી યોગા અભ્યાસ કર્યો હતો. સમગ્ર આયોજન યોગા ફોર હાર્ટકેરને ધ્યાને લઈને કરવામાં આવેલ હોવાથી ઉપસ્થિત લોકોને હાર્ટકેર એટલે કે હૃદયની વધુમાં વધુ સારી રીતે જાળવણી કરી સ્વસ્થ રાખવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

આ તકે પોતાના શાબ્દીક પ્રવચનમાં નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવેલ કે રાજય સરકારનાં પ્રતિનિધિ તરીકે આણંદ જીલ્લામાં સરકાર દ્વારા ઉપસ્થિત રહેવાની જવાબદારી સોંપવામાં આવી જેનું મને ગૌરવ છે. આણંદની ઐતિહાસિક ધરતી પરથી ઉપસ્થિત સર્વે લોકોને વંદન કરી યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ખુબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આણંદ જીલ્લાના લોકોએ યોગ પ્રત્યે પોતાની જાગૃતી અને ઉત્સાહ સાબિત કરી આપ્યું હતું. જેથી યોગના મહત્વને એક અનોખું બળ પ્રાપ્ત થયેલ હતું.

વધુમાં તેઓએ જણાવેલ કે દરરોજ નિયમિતપણે યોગ કરવાથી કોઈપણ પ્રકારના ચડાવ ઉતારના સમયે પણ સ્વસ્થ જીવન જીવવાની કળા શીખવા મળે છે. ભારતભરમાં દર ૨૧ જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. આપણા ગુજરાતને જયારે સંવેદનશીલ અને પ્રજાવાત્સલ્ય એવા વિજયભાઈ રૂપાણી મળ્યા છે ત્યારે તેઓનાં માર્ગદર્શન નીચે આ ઉજવણી થઈ રહી છે. આ વર્ષે યોગા ફોર હાર્ટકેરને ધ્યાને લઈને સમગ્ર ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. આજના દિવસે સમગ્ર ગુજરાતમાં ૫૦,૦૦૦થી પણ વધારે જગ્યાઓ પર આશરે દોઢ કરોડથી વધારે લોકો સામુહિક યોગ મહોત્સવમાં જોડાયા છે. આજના પ્રસંગથી ગુજરાતનાં ઈતિહાસમાં સુવર્ણ પાનું ઉમેરાયું છે. તેમજ સમગ્ર ગુજરાતમાં ૧૫૦ જેટલા વિવિધ ધાર્મિક સ્થળોએ અને પ્રવાસન સ્થળોએ પણ યોગ દિવસ ઉજવાય રહ્યો છે. જેમાં સાધુ સંતો-મહંતો પણ જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.