Abtak Media Google News

25.10 ફૂટે ઓવરફ્લો થતા ન્યારી-1 ડેમની સપાટી 23.62 ફૂટે પહોંચતા બે દરવાજા બે ફૂટ ખોલી પાણી છોડાયું

રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. શહેરની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય ત્રણ જળાશયો પૈકી ન્યારી-1 ડેમ છલોછલ ભરાઇ ગયો છે. રૂલ લેવલ જાળવી રાખવા માટે આજે બપોરે 12:10 મિનિટે ડેમના 11 પૈકી બે દરવાજા બે ફૂટ સુધી ખોલી નાંખવામાં આવ્યા હતા. ડેમનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હોય લોકોને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જળાશયોનો જળ વૈભવ વધી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર સહિતના 21 ડેમમાં નવા નીરની આવક થવા પામી હતી. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે ન્યૂ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેવા પામી હતી.

દરમિયાન સિંચાઇ વિભાગના નિયમ અનુસાર 31મી ઓગસ્ટ સુધી રૂલ લેવલ 104 મીટર જાળવી રાખવું પડે તેમ હોય આ લેવલથી જળ સપાટી વધી જવાની સંભાવના જણાતા બપોરે 12:10 કલાકે ડેમના 11 પૈકી બે દરવાજા બે ફૂટ સુધી ખોલી નાંખવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ પાણીની આવકમાં ઘટાડો થતા ડેમનો એક દરવાજો ફરી બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે એક દરવાજો હાલ એક ફૂટ સુધી ખુલ્લો છે. 25.10 ફૂટે ઓવરફ્લો થતા ન્યારી-1 ડેમની સપાટી હાલ 23.62 એમસીએફટીએ પહોંચી જવા પામી છે અને ડેમમાં 1100 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ આગામી 31મી ડિસેમ્બર સુધી ચાલે તેમ છે. ડેમ રૂલ લેવલ સુધી ભરાઇ ગયો હોય ગમે ત્યારે દરવાજા ખોલવા પડે તેવી સંભાવના રહેલી છે.

આવામાં સાવચેતીના ભાગરૂપે હેઠવાસના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આજે ન્યારી ડેમ છલોછલ ભરાઇ જવાની માહિતી મળતાની સાથે જ શહેરીજનો મોટી સંખ્યામાં ડેમ સાઇટ પર ઉમટી પડ્યા હતા. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ભાદર ડેમમાં પણ પાણીની માતબર આવક થવા પામી છે.

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ભાદર સહિત 21 જળાશયોમાં છેલ્લા 24 કલાક દરમિયાન 8। ફૂટ પાણીની આવક થવા પામી છે. અનેક જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. છતાં પાણીની આવક ચાલુ રહેતા રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના દરવાજા ખોલી નદી પાણી છોડવામાં આવી રહ્યું છે. હેઠવાસના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું 0.56 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી 26.60 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફ્લો થવામાં 7.40 ફૂટ બાકી છે. ડેમમાં હાલ 3258 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

આ ઉપરાંત જિલ્લાના ડોંડી ડેમમાં નવું 0.33 ફૂટ, ગોંડલીમાં 1.31 ફૂટ, છાપરવાડી-1માં 1.64 ફૂટ, છાપરવાડી-2માં 1.64 ફૂટ, ઇશ્ર્વરિયામાં 0.33 ફૂટ, ભાદર-2માં 2.79 ફૂટ, કર્ણુકીમાં 3.28 ફૂટ, ઘેલો સોમનાથમાં 0.10 ફૂટ, માલગઢમાં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના 27 જળાશયોમાં 67.67 ટકા પાણી સંગ્રહિત છે. મોજ ડેમનો એક દરવાજો, વેણું-2 ડેમના બે દરવાજા, આજી-2 ડેમનો એક દરવાજો, ન્યારી-2 ડેમના બે દરવાજા અને ભાદર-2 ડેમના 6 દરવાજા હાલ ખૂલ્લા રાખવામાં આવ્યા છે. પાણી નદીના પટ્ટમાં છોડવામાં આવી રહ્યું હોય અનેક ગામોના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ફોફણ ડેમ, સોડવદર ઓવરફ્લો થઇ રહ્યા છે. મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.13 ફૂટ પાણી આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.10 ફૂટ, વર્તું-2 ડેમમાં 0.33 ફૂટ, વેરાડી-1માં 0.49 ફૂટ પાણીની આવક થવા પામી છે. વઢવાણ, ભોગાવો-1 (નાયકા)માં 0.49 ફૂટ, વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા)માં 0.10 ફૂટ, લીંબડી ભોગાવો-1માં 1 ફૂટ, નીંભણીમાં 1.97 ફૂટ અને ધારી ડેમમાં 8.20 ફૂટ પાણીની આવક થવા પામી છે. પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં 0.52 ફૂટ નવું પાણી આવ્યું છે. સતત વરસાદના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોના જળવૈભવમાં વધારો થયો છે.

43 જળાશયો હાઈએલર્ટ અને 18 ડેમ એલર્ટ પર

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-   ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર  દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં  છેલ્લા 24 કલાક દરમ્યાન રાજયમાં થયેલ વરસાદની માહીતી  આપતા આઈએમડીનાના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં  આજથી ત્રણ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારી  ઘ્વારા જળાશયો વિશે માહિતી આ5તા જણાવ્યું હતું કે, રાજયમાં 206 જળાશયો પૈકી 43 જળાશય હાઈ એલર્ટ, 18 જળાશય એલર્ટ અને 19 જળાશય વોર્નિંગ પર છે.

કૃષિ વિભાગના અધિકારી  દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે 71.31% વાવેતર થયું છે.

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.