Abtak Media Google News

બંને શખ્સોએ ગાળાગાળી કરી લાકડીથી માર મારી ગિલ્લોરથી પથ્થર વડે હુમલો કર્યો

શહેરના રેલનગર વિસ્તારમાં સાંઢીયા પુલ પાસે ગઈકાલે સાંજના સમયે એક તરુણ પર લઘુશંકા મામલે બે શખ્સોએ લાકડીથી હુમલો કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એટલું જ નહીં આ બંને શખ્સોએ સગીરને ગિલ્લોરથી પથ્થર માર્યો હોવાનુ પણ સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટ પાછળ શહીદ ઉદ્યમ ટાઉનશિપમાં રહેતા અને રેલનગરમાં સાંઢિયા પુલ પાસે પાનની કેબીન ધરાવતા સુરેશભાઈ મહેતાના ૧૫ વર્ષના પુત્ર પ્રિયાંક પર હીરો અને અરજણ નામના શખ્સોએ માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ ધોરણ -૯માં અભ્યાસ કરતા પ્રિયાંક મહેતા ગઇ કાલે સાંજે શાળાએથી છૂટીને પિતાની કેબિન પર ગયો હતો. જ્યાં પોતે આગળ ખુલ્લા મેદાનમાં લઘુશંકા કરવા ગયો હતો. જ્યાં હીરો અને અરજણ નામના શખ્સો આવી જતા તેઓએ લઘુશંકા કરવા મામલે માથાકૂટ કરી લાકડીથી માર માર્યો હતો.

એટલું જ નહીં આ બંને શખ્સોએ ત્યાર બાદ પ્રિયાંકને ગિલ્લોર વડે પથ્થર મારી આસપાસ તોડફોડ કરી હતી. જેમાં ઘવાયેલા તરુણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.