Abtak Media Google News

પ્રથમવાર એવું બન્યું કે એ ગ્રુપ કરતાં બી ગ્રુપનું પરિણામ 10.56 ટકા ઓછું આવ્યું: ત્રણ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા સૌથી વધુ 17.90 જોવા મળી

છેલ્લા દશકામાં સૌથી ઝડપી પરિણામ જાહેર થયું તો દશકાનું સૌથી ઓછું પરિણામ પણ આ વર્ષે આવ્યું

ગુજરાત ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  લેવાયેલ ધો.1ર વિજ્ઞાનન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા કેટલીક વાતો તેના પૃથ્થકરણમાં જાણવા મળી હતની. સૌ પ્રથમ તો સમગ્ર રાજયમાં 1,10,042 છાત્રાએ પરિક્ષા આપી હતી. તે પૈકી 38,063 છાત્રો નાપાસ થયા હતા. એ ગ્રુપનું પરિણામ 72.27 ટકા ને બી ગ્રુપનું પરિણામ 61.71 ટકા આવ્યું હતું. છેલ્લા દશ વર્ષમાં આ વર્ષનું પરિણામ સૌથી ટુંકા ગાળામાં જાહેર કરાયું હતું. તો તેની સામે છેલ્લા દશ વર્ષમાં સૌથી નીચું પરિણામ પણ આ વર્ષે આવ્યું હતું.

પરિણામ બાબતે વધુ વિગતો જણાવતા સ્કુલ ઓફ સાયન્સના સંચાલક વિપુલ પાનેલિયાએ અબતકને વધુમાં જણાવ્યું કે પ્રથમવાર એવું બન્યું કે એ ગ્રુપ કરતાં બી ગ્રુપનું પરિણામ 10.56 ટકા ઓછું આવ્યું છે. એ ગ્રુપ મેથેમેટીક ગ્રુપમાં 40,352 છાત્રો પૈકી 11,217 વિદ્યાર્થીઓ નાપાસ થતા એ ગ્રુપનું પરિણામ 72.27 ટકા આવેલ હતું.

બી ગ્રુપના બાયોલોજીમાં 69,820 છાત્રોએ પરીક્ષા આપી તી જે પૈકી 26,834 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ને પરિણામ 61.71 ટકા આવેલ હતું. આ બન્ને વચ્ચે તફાવત જોતા પ્રથમવાર એવું બન્યું કે એ ગ્રુપ કરતાં બી ગ્રુપનું પરિણામ 10.56 ટકા જેટલું ઓછું આવ્યું. તેમ શિક્ષણ શાસ્ત્રી વિપુલ પાનેલિયા એ ‘અબતક’ ને જણાવ્યું હતું. પરિણામની સૌથી રસપ્રદ વાતમાં પરીક્ષા આપનાર કુલ છાત્રોમાંથી 38,063 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, જેમાં એક વિષયમાં 490, બે વિષયમાં 9,401, ત્રણ વિષયમાં 17,902, ચાર વિષયમાં 7,925 અને પાંચ વિષયમાં 2,032 જેટલા છાત્રો નાપાસ થયા હતા. રોચક વાતમાં જાણવા મળ્યું કે ત્રણ વિષયમાં સૌથી વધુ 17,902 છાત્રો નાપાસ થયા હતા.

નબળા પરિણામ માટેના જવાબદાર છે આ કારણો

  • વિદ્યાર્થી અને વાલીઓ ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમથી વિમુખ થઈ રહ્યા છે. દેખાદેખીમાં સ્કૂલોનું મહત્વ ખૂબ ઘટાડી દેવામાં આવ્યું છે.
  • મોટાપાયે કોમ્પિટીટીવ એક્ઝામ જેવી કે જેઇઇ અને નીટ નું માર્કેટિંગ કરવામાં આવે છે. તમામ પોતાના દીકરા દીકરીને ડોક્ટર બનાવાય ઈચ્છે છે અથવા આઇઆઇટી માં જ પ્રવેશ મેળવવા ની ઈચ્છા રાખે છે.
  • જે તે વિષયનું પાયાનું જ્ઞાન મેળવ્યા સિવાય સીધું જ વિદ્યાર્થીઓને ખઈચ ની પ્રેક્ટિસ પર ચડાવી દેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીની વિગતવાર મુદ્દાસર લખાણ લખવાની આવડત પર ભયંકર ક્ષતિ પહોંચી છે.
  • હોશિયાર વિદ્યાર્થી પણ ભાષા અને કોમ્પ્યુટર તથા પ્રેક્ટીકલ જેવા વિષયને નજર અંદાજ કરે છે જેથી જેથી આ વર્ષે માત્ર 61 જેટલા વિદ્યાર્થીઓ જ અ1 ગ્રેડ સાથે અને 1523 વિદ્યાર્થીઓ જ અ2 ગ્રેડ એટલે કે 80%કરતાં વધુ માર્કસ સાથે ઉત્તીર્ણ થવા પામ્યા છે.
  • જેઇઇ અને નીટ જેવી પરીક્ષાઓનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12 બંનેનો હોવાથી આ પરીક્ષાઓની ચિંતામાં ધોરણ 12 ના અભ્યાસક્રમ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી.
  • પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીને પાયાથી તૈયારી કરાવવાના બદલે મોટા મોટા સપના બતાવી મસ્ મોટી ફીઓ વસૂલીને આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પરિણામ બાદ છૂટી પડે છે અને વિદ્યાર્થી અને વાલી નો ઘાટ બાવાના બેઉ બગડ્યા જેવો થાય છે.
  • જો તમામ વિષયનું પાયાનું જ્ઞાન શાળાકીય સ્તરે યોગ્ય રીતે આપવામાં આવે તો વિદ્યાર્થી કોઈપણ પ્રકારના  પ્રશ્નોનો જવાબ આપી કોઈપણ કોમ્પિટીટીવ એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરે જ, જે હાલના તબક્કે થતું નથી.
  • જેઇઇ અને નીટ જેવી પરીક્ષાઓની તૈયારી ક્યારેય બોર્ડના ભોગે ન જ થાય. ધોરણ 12 ની બોર્ડની માર્કશીટ આજીવન અગત્યની છે, એટલી સાદી વાત વિદ્યાર્થીઓ અને વાલીઓ સમજી શકતા નથી.
  • આઇએએસ – આઇ.પી.એસ. તૈયારી કરનાર વિદ્યાર્થી તલાટી કે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પાસ ન કરી શકે એ આશ્ચર્યજનક ન કહેવાય? એવી જ હાલત ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની થઈ છે.
  • કોમ્પિટીટીવ એક્ઝામ ની તૈયારી બોર્ડની સાથે હોય તેના ભોગે નહીં, એ ઝડપથી સમજવું જ પડશે.
  • તમામ વિદ્યાર્થીઓ ડોક્ટર કે એન્જિનિયર બનવા જ સર્જાયેલ નથી, વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા અન્ય વિષયો પર અને પ્યોર સાયન્સમાં પણ ખૂબ સારી કેરિયર બનાવી શકાય છે, તે બાબત પણ ધ્યાને લેવી જોઈએ. તેમ ‘અબતક’ સાથેની વાતચીતમાં વિપુલ પાનેલિયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.