Abtak Media Google News

વેણુ-ભાદર નદી ગાંડીતુર: મોજ નદીના પાણી ગાધા, ઈશરા, ઉપલેટાના ખેતરોમાં ફરી વળતા ત્રણ હજાર વિઘામાં પાકનો સંપૂર્ણ સફાયો: વળતર આપવા ખેડુતોની માંગ

ઉપલેટા પંથકમાં છેલ્લા ચાર દિવસ થયા સતત વરસાદને પગલે તાલુકાના  મોજ, ભાદર અને વેણુ  ડેમમાં સતત પાણીની આવકને કારણે ગઈકાલે મોજ, ભાદર અને વેણુ કાથાની સીમ જમીનમાં પાણી ફરી વળતા ત્રણ હજાર વિઘા જેટલી જમીનમાં પાક સંપૂર્ણ  ધોવાઈ ગયો છે. તાત્ક્ાલીક  સર્વે કરી  વળતર આપવા  ખેડુતોએ  માંગણી ઉઠાવી છે.ઉપલેટા પંથકમાં આવેલ મોજ અને ભાદર નદીમાં છેલ્લા બે દિવસ થયા ભારે પાણીનો પ્રવાહ કારણે ગઈકાલે ઉપલેટા ઈશરા અને ગાધાની  સીમ જમીનમા ફરી વળતા પાકને ભારે નુકશાની થઈ રહી હતી.

મોજ ડેમમાં તમામ 27 પાટીયા આઠ ફુટ બે દિવસથી ખુલતા અને ભાદર નદીનું પાણી ભારે પ્રવાહને કારણે ગત બપોરે મોજ અને ભાદર નદીનું પાણી બારૈયા  વાડીમાંથી થઈ કોબા વિસ્તારની સીમ જમીનમાં ઘુસી જતા આશરે ત્રણ હજાર વિઘા જમીનમાં ઉભેલા કપાસ,  મગફળી, સોયાબીનના પાક સંપૂર્ણ ફેલ થઈ ગયા છે. ખેતરોમાં કમરબુડ પાણી ભરાઈ જતા ખેડુતોની સીમ જમીન અને ઢોર ઢારને ભારે નુકશાન  થઈ છે. આ તકે ભાદર કાઠા વિસ્તારના ખેડુત આગેવાન દાનભાઈ ચંદ્રવાડીયા, નાથાભાઈ ગંભીરે સરકાર દ્વારા સર્વ કરી ખેડુતોને વળતર આપવા માંગ ઉઠાવી છે.

ભાયાવદરના ધોબીઘાટ અને દરબારગઢના ઘરોમાં પાણી ઘુસ્યા

ભાયાવદર પંથકમાં છેલ્લા ચાર દિવસ થયા સતત વરસાદને લીધે નદીઓ ગાંડીતુર બનતા ઘરોમાં અને ખેતીની જમીનમાં પાણી ઘુસી ગયા હતા. ભાયાવદરમાં આવેલ દરબારગઢ વિસ્તારના આવેલ મકાનોમાં ગોઠણ ડુબ પાણી ભરાઈ જતા લોકોની  ઘર વખરી તેમજ અન્ય ચીજ વસ્તુઓ નુકશાની થવા પામી છે. જયારે ધોબીઘાટ વિસ્તારના આવેલા રબારી, કોળી સહિતના ઘરોમાં ઘુસી ગયા હતા આ પાણી કારડીયા વાસ સુધી પહોચતા લોકોમાં ભય પેસી ગયો હતો જયારે   પડવલા ગામની સીમનું પાણી રૂપાવતી નદીમાં ભળતા રૂપાવતી નદીના કાંઠા વિસ્તારની સીમોમાં પાણી ફરી વળતા પાક ને ભારે નુકશાની થઈ છે.તે અમુક ખેતીમાં ધોવાણ થઈ જતા ખેડુતોને જબરૂ નુકશાન થયેલ છે.

ઉપલેટાની મોજ નદીના પાણી મંદિર, ખેતરો અને ઘરોમાં ઘુસ્યા: મામલતદાર, ટી.ડી.ઓ સ્થળ મુલાકાતે

મોજ ડેમમાં સતત  48 કલાકથી પાણીની આવક જોરદાર  હોવાથી મોજ ડેમના તમામ 27 દરવાજા આઠ ફૂટ ખોલાતા  મોજ નદી ગાંડી થઈ હતી. આ પાણી ઉપલેટામાં મોજ નદીને કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવના મંદિરમાં  તેમજ નદી કાઠાના ખેતરોમાં   અને પાનેલી વિસ્તારના ગામોનાં ઘરમાં ઘુસી ગયા હતા ત્યારે પંથકની જાતમાહિતી માટે મામલતદાર મહેશ ધનવાણીઅને ટીડીઓ  પરમાર, મોટી પાનેલી, ખારચીયા, હાડફોડી, સમઢીયાળા અને તલંગણા ગામે પહોચી ગયા હતા

પ્રથમ તસ્વીરમાં મોજ નદીનાં કાંઠે આવેલ સોમનાથ મહાદેવના મંદિરમાં પાણી ઘુસ્યા બીજી તસ્વીરમાં  મોજ નદી બે કાંઠે જઈ રહી છે.  ત્રીજી તસ્વીરમાં  પાનેલી ગામે પછાત વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ચોથી તસ્વીરમાં  પાનેલી પાસે આવેલ  કુલઝર ડેમ ઓવરફલો  થતા અધિકારીઓ ઘટના સ્થળે  જઈ નિરીક્ષણ  કરેલ હતુ.

ઉપલેટા પંથકને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા જીલ્લા સહકારી આગેવાન ઠુમરની માંગ

ઉપલેટા પંથકમાં છેલ્લા પાંચ દિવસમાં ર0 ઇંચ જેવો ભારે વરસાદ થવાને કારણે સમગ્ર પંથકમાં અતિવૃષ્ટિ ગ્રસ્ત જેવો માહોલ થયો છે ત્યારે આ પંથકને તાત્કાલીક અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવા આર.ડી. બેંકના ડીરેકટર હરિભાઇ ઠુમરે માંગ ઉઠાવી છે. જીલ્લા બેંકના ડિરેકટર અને માકેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હરિભાઇ ઠુમરે જણાવેલ કે ઉપલેટા પંથકમાં છેલ્લા પાંચ દિવસ થયા સતત વરસાદ અને મોજ અને વેણુ તેમજ રુપાવતી નદીના પાણી ભાયાવદરની સીમ ઉપલેટા, ઇશરા, ગાધાની કોબા વાળી સીમમાં ફરી વળતા ખેડુતોને ભારે નુકશાન થયેલ છે.

મોસમનો આશરે 4પ ઇંચ વરસાદ પડવાને કારણે ભાદર કાંઠાના લાઠા, ભિમોરા, મજેઠી, કુઢેચ, સમઢીયાળા, ભાયાવદર પટ્ટીના ગામોમાં કપાસ, મગફળી, સોયાબીનના પાક સંપૂર્ણ બળી ગયા છે. જમીનને અતિ પાણી લાગી જતાં પાક સંપૂર્ણ સાફ થઇ ગયા છે. ત્યારે આ પંથકને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગણી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.