Abtak Media Google News

ગામના લોકોને પ્રાથમિક સુવિધા નહિ મળતા મોતને ભેટયા

ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર છેલ્લા 12 દિવસથી બંધ હોવાથી ગામના લોકો પ્રાથમિક આરોગ્ય સુવિધા ન મળતા મોતના મુખમાં ધકેલાઈ જતા ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

Advertisement

ગુજરાત સરકાર દિવસે ને દિવસે પ્રજાના આરોગ્યની સુખાકારીની વાતોનો ઢંઢેરા પીટે છે. એક પણ માણસ ઓકિસજનના અભાવે ગુજરાતમાં મોતને ભેટયો નથી એવું રાજયના મુખ્યમંત્રી કહી રહ્યા છે. ત્યારે તાલુકાના સમઢીયાળા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર છેલ્લા 12 દિવસ થી બંધ રહેતા છેલ્લા 10 દિવસમાં પાચં લોકોના મોત થયા છે. ગામના ગરીબ લોકોને શહેરમાં આરોગ્યની સુવિધા મળતી નથી તાવ-ઉધરસ, શરદીના કેસ ગામમાં છેલ્લા એક માસ થયા ઘરે ઘરે જોવા મળી રંહ્યા છે. વૃધ્ધ લોકોને ઓકિસજન લેવલ ઘટવાના બનાવો દિવસે નેદિવસે વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી ગામના લોકો ઉપલેટામાં ઓકિસજન લેવલ મપાવવા માટે મોંઘી ફી આપીને ધકકા ખાઈ રહ્યા છે.

ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્ય પોતાના મળતીયાઓને સુવિધા મળે તેની ગોઠવણમાં લાગ્યા છે. ગ્રામ્ય વિસ્તારની જનતા રામ ભરોસે પીસાઈરહી છે. સમઢીયાળામાં છેલ્લા 10 દિવસોમાં જે મૃત્યુના બનાવો બન્યા છે. તેમાં મોટાભાગના લોકોને શરદી, ઉધરસ, તાવની બીમારીને લીધે ઓકિસજન લેવલ ઘટ્ટી જવાથી પ્રાથમિક સબ આરોગ્ય કેન્દ્રમાં અલીગઢયા તાળા લટકતા હોવાથી લોકોને મોતના મૂખમાં ધકેલાવાનો વારો આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો પ્રાથમિક સબ આરોગ્ય કેન્દ્ર ખોલવામાં નહિ આવે તો ગ્રામ લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.