Abtak Media Google News

મંત્રી જગદીશ વિશ્ર્વકર્માના હસ્તે 28.75 કરોડના 493 વિવિધ વિકાસલક્ષી કાર્યો તથા 1,812 લાભાર્થીઓને 2.22 કરોડની યોજનાકીય સહાયના કાર્યક્રમોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા: ગ્રામીણ વિકાસની નેમ સાથેની આ યાત્રા દ્વારા પ્રધાનમંત્રીનાં આત્મનિર્ભર અભિયાનને સાર્થક બનાવવાનો લક્ષ્ય

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ત્રિદિવસીય રાજ્યવ્યાપી “આત્મનિર્ભર ગ્રામ રથ યાત્રા” અન્વયે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી કુટિર ઉદ્યોગ, સહકાર, ક્લાઈમેટ ચેન્જ, વન પર્યાવરણ મંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્માના હસ્તે પ્રારંભ કરાયો હતો. રાજકોટ જિલ્લાના કુલ 28.75 કરોડના 493 વિવિધ વિકાસલક્ષી કાર્યો તથા 1,812 લાભાર્થીઓને કુલ રૂપિયા 2.22 કરોડની યોજનાકીય સહાયના કાર્યક્રમોનું ઈ-લોકાર્પણ કરતા મંત્રી જગદીશભાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરીમાં રાજ્યમાં ખેડૂતો, મહિલાઓ સહીત ગ્રામીણ ક્ષેત્રમાં લોકો વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે.

Advertisement

મંત્રીએ લાભાર્થી મહિલાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ગ્રામીણ મહિલા પ્રગતિ કરે તે માટે અમલી બનાવાયેલી સખીમંડળ, મિશન મંગલમ જેવી યોજનાઓ ખૂબ સફળ થઈ છે. મહિલાઓ રાજ્ય સરકારની ગ્રાન્ટ થકી આત્મનિર્ભર બની રહી છે.

પ્રધાનમંત્રીના અથાક પ્રયત્નોથી મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. “માં” યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. “ઉજ્વલા” યોજના તળે અનેક મહિલાઓને ગેસ કનેક્શન મળ્યા છે. જનધન ખાતાઓ દ્વારા લોકોને બચત અને સહાય સીધી તેમના ખાતા મારફતે મળી રહી છે.  મંત્રીએ યાત્રા અંગે વિશેષ માહિતી પુરી પાડતા જણાવ્યું હતું કે, આ યાત્રા રાજ્યના 18 હજાર જેટલા ગામડાઓમાં પસાર થઈ પ્રજાની વચ્ચે જઈ તેમને મળવાપાત્ર લાભો અંગે જાણકારી પૂરી પાડશે, લોકોના પ્રશ્નોનું સમાધાન કરશે. સ્વચ્છતા અને ગ્રામીણ વિકાસની સરવાણી આગળ ધપાવશે.

આ તકે મંત્રી વિશ્વકર્માએ લાભાર્થીઓને મળેલ સહાય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કાગળ લખી કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપસ્થિતોને ખાસ આહવાન કર્યું હતું.ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે તેમના વક્તવ્યમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે પોષણક્ષમ ભાવો પૂરા પાડવા માટે કરવામાં આવેલ પહેલને આવકારી તેનાથી  ખેડૂતોને થતાં લાભો અંગે વાત કરી રાજ્ય સરકાર હંમેશા ખેડૂતલક્ષી અને તેમના હિત માટે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોના સામે વેક્સિનેશન કામગીરીને બિરદાવી કોરોના સામે લોકોને સુરક્ષિત કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી.

યાત્રા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો થકી પ્રજાલક્ષી કામગીરી જન જન સુધી પહોંચે તે માટે તેઓએ આ યાત્રા સફળ બને તેવી શુભેચ્છા પાઠવી હતી.રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે પ્રાસંગિક પ્રવચનમાં ગામેગામ વેક્સિનેશન કાર્યક્રમ ખૂબ સફળ બને તે માટે વહીવટી તંત્રની સકારાત્મક કામગીરીની સરાહના કરી રહી હતી. લોકો જાગૃત બની કોરોના સામે સુરક્ષિત બને તે માટે તેઓએ ખાસ અપીલ કરી હતી.

કાર્યક્રમમાં સખી મંડળની મહિલાઓએ રાજ્ય સરકાર દ્વારા તેમને મળેલ લોન સહાય અને તેમના થકી મહિલાઓ આત્મનિર્ભર બની હોવાનું આ તકે જણાવ્યું હતું. સ્વાગત પ્રવચન કરતા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ લોકોને યોજનાકીય લાભો સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર સમયબદ્ધ કામગીરી કરી રહ્યું છે.

આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, સાંસદ રામભાઇ મોકરીયા, અગ્રણીઓ સર્વે ડી.કે. સખિયા, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ, મનસુખભાઈ રામાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. પટેલ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.