Abtak Media Google News

એઈડસગ્રસ્ત અને માતા-પિતા વિહોણા બાળકો માટે કાર્ય કરતી સુરતની સંસ્થાને તાપીના ફાર્મ હાઉસમાં જગ્યા ફાળવતા સુરતના હિરાના વેપારી મહેશભાઈ સવાણી

પાલનપુરના રેલવે ટ્રેક પરથી એક જીવતી બાળકી મળી આવી હતી. માત્ર ત્રણ માસની નાની બાળકીને મરવા માટે રેલવે ટ્રેક પર છોડી જનાર બીજું કોઈ નહિ એ બાળકીના ખુદના માતા-પિતા હતા. એઇડ્સ ગ્રસ્ત માતા-પિતાને એ કેટલું જીવશે એની ખબર નહોતી. પોતે એઇડ્સના દર્દી હોવાથી સંતાન પણ એઇડ્સગ્રસ્ત હતું આથી પોતાની વિદાય બાદ સંતાન હેરાન થાય એના કરતાં અત્યારે જ સંતાનને મુક્તિ અપાવી દેવાના ઈરાદાથી એને રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવેલી.

માતા-પિતા એઇડ્સ ગ્રસ્ત હોવાથી વારસામાં જ એઇડ્સ લઈને આવતા આવા કેટલાય બાળકોને માતા-પિતાનો પ્રેમ નથી મળતો તો પછી સમાજનો પ્રેમ તો ક્યાંથી મળે ?  આવા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે કામ કરતી સુરતની એક સંસ્થાને બાળકોને રાખવા માટે કોઈ સોસાયટીમાં કોઈ જગ્યા નહોતું આપતું. ભાડે જગ્યા રાખે અને આજુબાજુ વાળાને ખબર પડે એટલે જગ્યા ખાલી કરાવે. બધા બાળકોને લઈને વળી નવી જગ્યા શોધવાની.

સુરતના હીરાના વેપારી  મહેશભાઈ સવાણીને આ વાતની જાણ થઈ. સમાજના પ્રેમથી વંચિત આવા બાળકો માટે કંઈક કરવું છે એવું મહેશભાઈએ નક્કી કર્યું. સુરતમાં તાપી નદીના કાંઠા પર જ કરોડોની કિંમતનું ૬ એકરનું મહેશભાઈનું એક ફાર્મ હતું. મહેશભાઈ દર વર્ષે પિતા વગરની દીકરીઓના પિતા બનીને એમના ધામધૂમથી લગ્ન કરાવે છે જેનાથી બધા પરિચિત છે.(અત્યાર સુધીમાં પિતા વગરની ૩૦૦૦થી વધુ દિકરીઓનું એમણે ક્ધયાદાન કર્યું છે.) આ લગ્ન સહિત વર્ષ દરમ્યાન ચાલતી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિમાં મહેમાન તરીકે આવતા વીવીઆઇપી લોકોને ઉતારો આપવા માટે ૬ એકરના ફાર્મમાં બંગલાઓ તૈયાર કરવાનો મહેશભાઈનું આયોજન હતું.

7537D2F3 18

પરંતુ એઇડ્સગ્રસ્ત બાળકોની આ પીડાની એમને જાણ થઈ એટલે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમણે નિર્ણય કર્યો કે આ બાળકોના પિતા બનીને મારે એમને પ્રેમ આપવો છે. પોતાના ૬ એકરના ક્રીમ લોકેશન પરના ફાર્મમાં એઇડ્સગ્રસ્ત નાની દીકરીઓ માટેની તમામ સુવિધાઓ ઉભી કરવાનો એણે સંકલ્પ કર્યો. વીવીઆઈપી મહેમાનોને તો બીજે ગમે ત્યાં રાખી શકાશે પણ આવા બાળકોને વીવીઆઈપી કરતા વધુ સારી સગવડો સાથેનું આલિશાન સંકુલ તૈયાર થયું જેને “જનની ધામ” નામ આપ્યું.

આજે જનનીધામમાં ઘણી એચઆઇવી ગ્રસ્ત બાળકીઓ રહે છે.મહેશભાઈએ આ દીકરીઓ માટે માત્ર રહેવા જમવાની જ વ્યવસ્થા નથી કરી પણ એક પિતાની જેમ દર અઠવાડિયે એમને મળવા જાય અને આખો દિવસ એમની સાથે વિતાવે. દીકરીઓને સારામાં સારા કપડાં લઈ આપવાના, ફરવા માટે લઇ જવાની, હોટેલમાં જમવા માટે લઇ જવાની, ફિલ્મ જોવા માટે લઈ જવાની એમ એની દરેક ઈચ્છા દિલથી પૂરી કરવાની.

આ દીકરીઓ શારિરીક રીતે સ્વસ્થ થાય તે માટે ડોકટર સહિતની તમામ વ્યવસ્થા રાખી છે અને માનસિક રીતે સ્વસ્થ થાય તે માટે એના અભ્યાસની વ્યવસ્થા પણ કરી છે. વસંતભાઈ ગજેરાની સ્કુલ ’વાત્સલ્ય ધામ’ (વાત્સલ્ય ધામ આદિવાસી બાળકો માટે રહેવા જમવાની સગવડ સાથે વિનામૂલ્યે ચાલતી શાળા છે.)માં દીકરીઓ ભણવા માટે જાય છે.

સંપત્તિ તો ઘણા પાસે કોઈ છે પણ મહેશભાઈ જેવા કોઈ વિરલા પાસે લક્ષ્મી કે મહાલક્ષ્મી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.