Abtak Media Google News

વૈશ્વિક સ્તરે તાપમાનમાં વધારો, દરિયાકિનારા મોટા શહેરો ડૂબમાં જવા, નવા-નવા નામધારી કુદરતી તોફાનો, હિમાલયના બરફનું પીગલન- આ બધું શેને લીધે છે? નાનું છોકરૂં પણ કહેશે કે આ બધા માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જના આ કપરા સમયમાં નાગરિકોને હવામાનલક્ષી બાબતો અંગે સજાગ કરવા માટે સમગ્ર વિશ્વમાં ૨૩ માર્ચના દિવસે  વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

૧૮૭૩માં ઇન્ટરનેશનલ મીટીરીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના કરવામાં આવી હતી, જેના પરથી પ્રેરણા લઇને ૧૯૫૦માં વર્લ્ડય મીટીરીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના થઇ, જેનું વડું મથક સ્વીટઝર્લેન્ડના જિનીવા ખાતે આવેલું છે.

આ સંસ્થાને સંયુકત રાષ્ટ્રસંઘની ખાસ શાખા તરીકે સ્થાપિત કરવામાં આવી છે.

વર્લ્ડ મીટીરીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય હેતુ હવામાન શાસ્ર (મીટીરીયોલોજી), જલ શાસ્ત્ર (હાઇડ્રોલોજી) અને ભૂ-ભૌતિક શાસ્ત્ર (જીયોફીઝીકસ) અંગે આમ જનતાને માહિતગાર કરવાનો છે. ૨૩ માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં હવામાન અંગે થતા ફેરફારો, લાંબા ગાળે જોવા મળતા પ્રાદેશિક લક્ષણો અને તેને સંબંધિત માહિતીનો પ્રચાર-પ્રસાર થાય, તે અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષના વિશ્વ હવામાન દિવસની ઉજવણીનું થીમ છે-વાતાવરણ અને પાણી. આજના સમયમાં વાતાવરણ તેમજ જળ પ્રદૂષણની સમસ્યા વિશ્વભરના દેશોને ગભરાવી રહી છે.

1.Monday 2 1

આબોહવાકીય નિરીક્ષણ સ્થળોની સ્થાપના માટે વૈશ્વિક સહકાર સાધવો, જલશાસ્ત્રીય અને ભૂ-ભૌતિકીય નિરીક્ષણ સ્થળોના વિકાસ, જાળવણી અને તેમને આધુનિક સાધનોથી સજ્જ બનાવવા અંગેની કાર્યવાહી કરવી,  આબોહવાકીય માહિતીની ત્વરિત આપ-લેની વ્યવસ્થા ગોઠવવી, હવાઇ પરિવહન, વહાણવટા, કૃષિ વગેરે ક્ષેત્રોમાં હવામાનની અગત્યતા પ્રસ્થાપિત કરવી, જલશાસ્ત્ર  અને હવામાનશાસ્ત્ર વચ્ચેના ગાઢ સંબંધો વિશે સંશોધન કરવું, હવામાનલક્ષી ફેરફારો વિશે આંતરરાષ્ટ્રીય સહકાર સ્થાપવાના પ્રયત્નો કરવા, હવામાનમાં થનારા પરિવર્તનોથી ખલાસીઓ, પ્રવાસીઓ અને અન્ય સંબંધિતોને માહિતગાર કરવા, જેથી જાન-માલની હાનિ નિવારી શકાય, વગેરેને લગતા કાર્યક્રમો  વિશ્વ હવામાન દિવસના રોજ યોજવામાં આવે છે.

પ્રદૂષણએ મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. ફેક્ટરીઓ, કાર, વિમાન અને વીજળીમાં અશ્મિભૂત બળતણ સળગાવવાથી થતા વાયુ પ્રદૂષણને લીધે શ્વાસની તકલીફ, અસ્થમા જેવા રોગમાં વધારો, અને જન્મજાત ખામી જેવી આરોગ્ય સમસ્યાઓ થાય છે.

ઉદ્યોગો અને વ્યક્તિઓ દ્વારા ફેલાવાતા રસાયણોના કચરાથી પૃથ્વીની માટી અને પાણી પણ પ્રદૂષિત થાય છે. આ પ્રદૂષણ પ્રકૃતિચક્રને નુકસાન પહોંચાડે છે, છોડ અને ઝાડને નકારાત્મક અસર કરે છે, અને આપણા પીવાના પાણીને દૂષિત કરે છે. આ જ કારણથી આજકાલ પાણીજન્ય અને શ્વાસના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.

જેમ જેમ પ્રદૂષણથી નુકસાન વધી રહ્યું છે તેમ તેમ દરેક દેશ પૃથ્વી પરના વધુ નુકસાનને રોકવા માટે નૈસર્ગિક વિકલ્પોની શોધમાં છે. સૌર અને પવન ઉર્જા અને બિન-ઝેરી ઉત્પાદનો પૃથ્વીને બચાવવા માટે વધુને વધુ ઉપયોગમાં લેવામાં આવી રહયા છે. જ્યારે આ પહેલ વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના આંકડા અનુસાર, વાતાવરણીય વાયુ પ્રદૂષણથી દર વર્ષે ૪.૨ મિલિયન લોકો મૃત્યુ પામે છે. તેમજ વિશ્વની ૯૧% વસ્તી એવા સ્થળોએ રહે છે જ્યાં હવાની ગુણવત્તા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દિશાનિર્દેશોની મર્યાદાથી વધુ છે.

હવામાન અંગેની જાગૃતિ બાબતે ગુજરાત રાજય અન્ય રાજયો કરતાં એક ડગલું આગળ છે. ગ્લો્બલ વોર્મિંગને ધ્યાદને લઇને ગુજરાત સરકારે કલાઇમેટ ચેઇન્જર નામનું નવું ડીપાર્ટમેન્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારનું ડીપાર્ટમેન્ટ શરૂ કરનારૂં ગુજરાત રાજય દેશનું પ્રથમ રાજય છે. સીમાચિહ્નરૂપ બની રહેનારા આ નવા ડીપાર્ટમેન્ટમાં વિશ્વને પ્રદૂષણમુકત બનાવવા માટે કમ્પ્રેેસ્ડ નેચરલ ગેસ (સી.એન.જી.) નો મહત્તમ વપરાશ, સરેરાશ ૩૨૫ દિવસ સીધો સુર્યપ્રકાશ મળવાનો ફાયદો ઉઠાવીને સોલાર એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ, બિન-પરંપરાગત ઉર્જાનો ઉપયોગ કરતી સાધન-પ્રણાલિની શરૂઆત, પવનચક્કીઓના માધ્યમથી વીજ-ઉત્પાદન વગેરે જેવા કાર્યક્રમો લાગુ કરવામાં આવશે. સોલાર રૂફ ટોપ પણ આમ જુઓ તો કલાઇમેટ ચેન્જનું આડકતરૂં અને પરોક્ષ પરિણામ જ છે, જેનાથી સમજુ નાગરિકો એક કાંકરે બે પક્ષીઓ મારી રહયા છે. પ્રદૂષણ નિવારણ અને પૈસાની બચત….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.