Abtak Media Google News

જન્માષ્ટમી તહેવારોનો લઇ ફરસાણ- મીઠાઇના ભાવ બાંધણું

જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને મોરબી જિલ્લા કલેકટર આર.જે માકડીયાના અધ્યક્ષસ્થાને ફરસાણ અને મીઠાઇના વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં ગાંઠિયા સહિતના ફરસાણના ૧૬૦ રૂપિયા પ્રતિકીલો અને મીઠાઈના ભાવ ૧૨૫ થી ૨૦૦ પ્રતિકીલો રાખવા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરે ગરીબ અને મધ્યમ વર્ગ પણ તહેવારોમાં ફરસાણ-મીઠાઇ ખરીદી શકે તે માટે વેપારીઓ સાથે બેઠક યોજીને ભાવ નકિક કરવામાં આવેલ છે. જેમાં દુધની મીઠાઇનો કિલોગ્રામનો ભાવ રૂા ૨૦૦ બેસનની મીઠાઇ(લાડુ,વગેરે)નો કિલોગ્રામનો ભાવ રૂા ૧૨૫ તેમજ ફરસાણ (ગાઠીયા વિ..) નો કિલોગ્રામનો ભાવ રૂા ૧૬૦ રાખવા સૂચના આપવામાં આવેલ હતી.

આ ઉપરાંત બેઠકમાં મીઠાઈ ફરસાણના વેપારીઓએ ભાવ ના બોર્ડ સુવાચ્ય અક્ષરોમાં તમામ ને દેખાય તે રીતે રાખવા, ફરસાણ-મીઠાઇ ખુલ્લામાં ન રાખતા ઢાંકણા જારીમાં રાખવા, મોટા ચુલા કે સગડીઓ આસપાસ આડસ રાખવા, વપરાયેલ તેલમાં વારંવાર ન તરવા, દુધની મીઠાઇઓ બગડી ન જાય તેની કાળજી લેવા અને બગડેલી મીઠાઇ પશુઓને ન આપતા યોગ્ય રીતે નિકાલ કરવા, ઇલેકટ્રોનીક તથા અન્ય વજન કરવાના સાધનો ચેક કરાવી લેવા ફરસાણ અને મીઠાઇ બનાવવાના સ્થળને સ્વચ્છ રાખવા, ફરસાણ/મીઠાઇની ગુણવત્તા જાળવવા તેમજ તહેવારો દરમ્યાન ૬૦ માઇક્રોની પ્લાસ્ટીકની થેલી વાપરવા ઉપસ્થિત વેપારીઓને સુચના આપવામાં આવી હતી. તેમજ અન્ય વેપારીઓને પણ જાણ કરવા જણાવ્યું હતું.

વધુમાં વાસી, અખાધ્ય કે ભેળસેળ વાળો, ઓછા વજનનો માલ વેચનાર વેપારીની તપાસ માટે નગરપાલીકા, ખોરાક અને ઔષધ નિયામક કચેરી અને તોલમાપ કચેરીના અધિકારીઓને તહેવાર દરમ્યાન ચેકીંગ કરવા કલેકટરે સૂચના આપી હતી.

આ બેઠકમાં પુરવઠા અધિકારી દમંયતિબેન બારોટ, ખોરાક અને ઔષધી નિયમન તંત્રના હર્ષા બી. પટેલ તોલમાપ કચેરીના ડી.સી. માકડીયા સહિત જિલ્લાના મીઠાઇના વેપારીઓ ઉપસ્થિત રહયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.