Abtak Media Google News

જસદણ ખાતે ૪ જિલ્લાઓ માટે ૧૯ પશુ સારવાર એમ્બ્યુલન્સ વાહનોનું લોકાર્પણ: પશુઓને ઘરઆંગણે વિનામુલ્યે સારવાર

રાજયના પશુધનને ઘરઆંગણે પશુ તબીબની સારવાર વીનામુલ્યે ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે તેમ પશુપાલન મંત્રી કુંવજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતુ. જસદણ  ખાતેથી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ચાર જિલ્લાની ૧૯ જેટલી તાત્કાલીક પશુ સારવાર માટેની ફરતી એમ્બયુલન્સ વાહનોનું લોકાર્પણ ઝંડી ફરકાવી કર્યુ હતું.

બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સંવેદનશીલ અને નિર્ણાયક રાજય સરકાર દ્વારા  રાજયના પશુપાલકોને પશુ સારવાર માટે તાલુકા કક્ષાએ કે અન્ય સ્થળોએ જવું ન પડે અને પશુઓને ઘર આંગણેજ ધનિષ્ઠ સારાવાર તજજ્ઞ તબીબો દ્વારા મળી રહે તે માટે સુચારૂ આયોજન કર્યુ છે. રાજય સરકારે ઈએમઆરઈ સાથે સંકલીત એવી ૧૦૮ જેવીજ ફરતી પશુ સારવાર એમ્બ્યુલન્સ વાનની યોજના અમલી બનાવી છે. પશુ સારવાર એમ્બ્યુલન્સની સેવા રાજયના તમામ ગ્રામ્ય કક્ષા સુધી વસતા પશુપાલકોને આ સેવા પહોંચતી કરવા આ યોજના અન્વયે દર દસ ગામ દીઠ એક એમ્બ્યુલન્સ એવી કુલ રાજયમાં ૪૬૦ એમ્બ્યુલન્સ વાન ઉપલબ્ધ કરાવાશે.

25 1

મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રીના સીધા મોનીટરીંગ હેઠળ જી.પી.એસ. સીસ્ટમ તથા તમામ પશુ ચિકિત્સાના સાધનોથી સજજ આ વાન સપ્તાહ દરમીયાન નિશ્ચીત રૂટ પરના ગામોની મુલાકાત લઇને ઘર આંગણે જ  સવારે થી સાંજ સુધી સારવાર આપશે. આ ઉપરાંત ઇમરજન્સીમાં હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ડાયલ કરવાથી ઝોન અંતર્ગત ફાળવાયેલી પશુચિકિત્સા વાન પશુપાલકના ઘરેઆંગણે પહોંચીને તત્કાળ સારવાર કરવા આવી પહોંચશે.

આ પ્રસંગે પ્રાંત અધિકારી પી.એચ.ગલચર, નાયબ પશુપાલન નિયામક અશ્વીન ડઢાણીયા, આસીસ્ટન્ટ ડાયરેકટર વી.વી.રાખોલીયા, ધનીષ્ઠ પશુ સુધારણા અધિકારી એચ.બી.રાણપરીયા, ઇ.એમ.આર.આઇ.ના ઓપરેશનલ હેડ સતીષ પટેલ તથા મીલન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મનસુખ જાદવ, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઇ રાજપરા જિલ્લા પંચાયત સદસ્યો મનુભાઇ ભોજાણી તથા રામભાઇ સાંકળીયા સહિત તાલુકા પંચાયતના સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.