Abtak Media Google News

વ્યક્તિ પોતે પોતાના આનંદ માટે સમય આપતા ભૂલી જાય છે જેને આપણે મી ટાઈમ કહેવામાં આવે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં મી ટાઈમ અંગેની અગત્યતા સુચવતો એક લેખ તૈયાર કર્યો

વ્યક્તિનો પોતાની જાત માટેનો સમય કાઢવો અનિવાર્ય, જેમાં તેના પોતાના આનંદ માટે કંઈક કરવું. જે વ્યક્તિ પોતાના આનંદ માટે સમય નથી કાઢતી તે યંત્રવત બની જતી હોય છે અને ધીરેધીરે ભાવો ઘટવા લાગતા હોય છે.

એકલા રહેવું અને એકલતા ન અનુભવવી એ એક કળા છે જે દરેકને શીખવાની જરૂર છે. આજે બાળક થી લઈને વૃદ્ધો બધા જ કોઇ ને કોઈ બાબત માટે દોડી રહ્યા છે. કોઈ પોતાના ભણતરમાં તો કોઈ પોતે પૈસા કમાવવામાં તો કોઈ નામ બનાવવામાં તો કોઈ સંબંધો સાચવવામાં મોટા ભાગના લોકો પોતાનો સમય આ બધી બાબતોમાં જ ઉપયોગ કરે છે અને આ દરમિયાન વ્યક્તિ પોતે પોતાના આનંદ માટે સમય આપતા ભૂલી જાય છે જેને આપણે મી ટાઈમ કહીએ છીએ. આ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં મી ટાઈમ અંગેની અગત્યતા સુચવતો એક લેખ તૈયાર કર્યો.

મી ટાઈમ’નો અર્થ એ નથી કે એકલા સમય વિતાવવો, કેટલીકવાર, તેનો અર્થ એવો પણ થાય છે કે એકાંતમાં મળતી શાંતિ અનુભવવા સમય વિતાવવો અને પોતાના વ્યક્તિગત આત્માને પોષવું અને પોતાને આંનંદ આપતી પ્રવૃત્તિ કરવી.

આનો અર્થ એ નથી કે વ્યક્તિએ ઘર છોડવું પડશે અને ક્યાંક જવું પડશે – ટેબલ પર બેસીને એક કપ કોફી પીને જાતને સમય આપી શકાય અથવા પુસ્તક  વાંચી શકાય.

આરામની આ નાની ક્ષણો વ્યક્તિને આરામ કરવામાં અને તાજગીમાં પાછા આવવામાં મદદ કરશે. સંશોધન દર્શાવે છે કે એકલા સમય પસાર કરવાનું પસંદ કરવાથી વ્યક્તિ માં આત્મસન્માન, સ્વતંત્રતા, સર્જનાત્મકતા, આત્મીયતા અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવામાં મદદ કરી શકે છે.

મી ટાઈમનું મહત્વ: આપણી એકંદર સુખાકારીને જાળવવા માટે સ્વ-સંભાળ માટે થોડો “મી ટાઈમ” કાઢવો જરૂરી છે. મનોવૈજ્ઞાનિકોએ દર્શાવ્યું છે કે થોડો સમય એકલો ગળવાથી આપણા મગજને રીબૂટ કરવામાં મદદ મળે છે, લાંબા ગાળે આપણી એકાગ્રતા અને કાર્ય માં સુધારો થાય છે. જેથી બાળક શાળામાં તથા અન્ય કોઈ વ્યક્તિ પોતાની નોકરી કે વ્યવસાયમાં તથા અન્ય સંબંધોમાં સારી રીતે સમાયોજન સાધી શકે છે અને પોતાના જીવનમાં સુખ શાંતિથી રહી શકે છે.દુનિયામાંથી થોડી વખત ટાઈમ પ્લીઝ કરીને મી ટાઈમ કાઢીને આપણે આપણા ઉંડા વિચારો વિશે જાણી શકીએ છીએ અને સ્વ શોધ માટે આપણને સમય મળી રહે છે જે આપણી કારકિર્દીથી લઈને સંબંધો જાળવવા સુધીના જીવનના વિવિધ ભાગોની વિધાયક બનાવે છે જેનાથી વ્યક્તિમાં તણાવ સિવાય અન્ય ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને આત્મસન્માન અને વ્યક્તિગત આનંદની અનુભૂતિમાં વધારો થાય છે આ રીતે આનંદના વધારાથી  અને તણાવ ઘટાડવાથી  અદ્ભુત શારીરિક લાભો થઈ શકે છે. ઘણા અભ્યાસોએ સૂચવ્યું છે કે તણાવ વૃદ્ધત્વની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે, આવશ્યક ઊંઘની પેટર્નને નુકસાન પહોંચાડે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને  ડિપ્રેશન જેવી સમસ્યા થઈ શકે છે.  ગુણવત્તાયુક્ત મી ટાઈમ આવી નકારાત્મક બાબતોને બનતા અટકાવવામાં મદદ કરી શકે છે.

મી ટાઈમ શું છે?:  સામાન્ય રીતે કહી શકાય કે આપણે  માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય થવા માટે થોડો સમય કાઢીને પોતાના આનંદ માટે જે સભાન પ્રયાસ કરીએ છીએ તે મી ટાઈમ છે. તેનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે અને જે વ્યક્તિગત રીતે અલગ અલગ હોય શકે છે. મૂળભૂત રીતે,વ્યક્તિ પોતાના માટે અને ફક્ત પોતાના માટે જ સમય ફાળવે છે. તે આ ઓછા સમયમાં પોતાનું ગમતું કામ કરે છે. પુસ્તક વાંચવું, સંગીત સાંભળવું અને તેના પર નૃત્ય કરવું, સ્વાદિષ્ટ ભોજન બનાવવું , તાજી હવામાં ફરવા જવું વગેરે . જ્યાં સુધી વ્યક્તિ પોતાના વિચારો સાથે એકલા હોય અને માઇન્ડફુલ રહે, તે જ મી ટાઈમ નું મહત્વ છે.

કાઉન્સીલમાં આવેલા તારણો

  • કાઉન્સેલિંગમાં આવતા કિસ્સાઓ પરથી જાણવા મળ્યું કે અંદાજીત 71.12% લોકો પોતાને સમય ફાળવવા ઈચ્છે છે પણ જવાબદારીઓને કારણે નથી ફાળવી શકતા.
  • મી ટાઈમ ન મળવાને લીધે 55.65% મહિલાઓ તણાવ
  • 77.34% મહિલાઓ ચિંતા
  • 51.12% મહિલાઓ આક્રમકતા અને 32.12% મહિલાઓ ડિપ્રેશન અનુભવે છે.717 મહિલાઓના કાઉન્સેલિંગના કેસ અને વિદ્યાર્થીની બહેનો સાથે થયેલ મુલાકાત આધારે

મી ટાઈમ બધા માટે કેમ સરળ નથી હોતો ?

એકલા સમય કેટલાક લોકો માટે વિવિધ કારણોસર પડકારરૂપ બની શકે છે. કારણ કે ઘણા લોકો પોતાના વિચારો સાથે એકલા બેસી રહેવાને બદલે પોતાને પીડાદાયક આંચકા આપવાનું પસંદ કરે છે. એટલે કે આ સમય દરમિયાન વ્યક્તિ પોતાના જીવન ની નિષેધક બાબતો ને યાદ કરે છે. તેથી આ સમય વ્યક્તિ માટે પીડાદાયક બની શકે છે. આ ઉપરાંત ઘણા કારણો છે જે વ્યક્તિ માટે અવરોધરૂપ બને છે :જેમકે એકલા રહેવાના અનુભવનો અભાવ, દુ:ખદાયક વિચારો અને લાગણીઓ પર જ ધ્યાન આપવું એકલા રહેવા પ્રત્યેના નકારાત્મક વલણ, એકલતા અને એકાંત વચ્ચેના તફાવત ન સમજવો.

મી ટાઈમ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો :

1) કોઈ સમય નક્કી કરવો

2) માઈન્ડફૂલનેસ પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ નક્કી કરવી

3) જીવનની વિધાયક ઘટનાઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું

4) નિષેધક બાબતોથી દૂર રહેવું

5) પોતાને ગમતી પ્રવૃત્તિઓની શ્રેણી બનાવવી

6) મી ટાઈમ એ સ્વાર્થ વૃત્તિ ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.