Abtak Media Google News

માત્ર એમ્બ્યુલન્સ કે અન્ય મેડિકલ સેવા માટે જ અવર-જવર થઈ શકશે: સુરત અંગે પણ સાંજ સુધીમાં લેવાશે નિર્ણય

અમદાવાદમાં જેટ ગતિએ વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તેઓએ અમદાવાદ-રાજકોટ વચ્ચે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. માત્ર એમ્બ્યુલન્સ કે અન્ય મેડિકલ સેવા માટે જ પરિવહનને છુટ આપવામાં આવી છે. વધુમાં કલેકટર દ્વારા સુરત અંગે પણ આ રીતે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવ્યો રહ્યો છે. તેમાં પણ અમદાવાદમાં દિન પ્રતિદિન કેસોની સંખ્યા ખુબજ ઝડપથી વધી રહી છે. જે સમગ્ર રાજ્ય માટે ખતરાની ઘંટડી સાબીત થાય તેવું સ્પષ્ટપણે જણાય રહ્યું છે. રાજકોટમાં પણ છેલ્લા ઘણા દિવસોથી જંગલેશ્ર્વર સીવાયના એક પણ વિસ્તારમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યો ન હતો. જેથી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો પરંતુ અચાનક અમદાવાદથી આવેલા એક વ્યક્તિને કોરોના પોઝીટીવ હોવાનું ધ્યાને આવતા સમગ્ર શહેર પર જોખમ વધ્યું છે. આમ અમદાવાદ રાજકોટ શહેર માટે જોખમ ન બને તે માટે આજે બપોરે જિલ્લા કલેકટર રેમ્યા મોહને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં તેઓએ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ વચ્ચે અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.

તેઓએ જાહેર કર્યું છે કે, એમ્બ્યુલન્સ અને અન્ય મેડિકલ સેવા માટે જ અવર-જવરને છુટ આપવામાં આવશે. બાકી કોઈ કારણોસર રાજકોટ-અમદાવાદ વચ્ચે અવર-જવર થઈ શકશે નહીં. વધુમાં મળતી માહિતી પ્રમાણે જિલ્લા કલેકટર દ્વારા સુરત અંગે પણ સાંજ સુધીમાં આવો જ નિર્ણય લેવામાં આવે તેવી પુરેપુરી શકયતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થયેલો કોરોના વિસ્ફોટ રાજકોટને ન ભરખે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.