Abtak Media Google News

જીટીયુના દરેક વિદ્યાર્થી અને ઈનોવેટર્સ દરેક ક્ષેત્રમાં સંશોધન કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

જીટીયુના ૧૩મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

કુલ બે લાખ ૬૦ હજારથી વધુ લોકો આ ઓનલાઇન ઉજવણી અને વેબિનારમાં જોડાયા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ ) દ્વારા તેના ૧૩મા સ્થાપના દિવસની ઓનલાઈન ઉજવણી  વેબેક્સ અને ફેસબુક જેવા ડિજિટલ માધ્યમ  “નયે ભારત કે લિયે બૌદ્ધિક સંપદા થીમ પર દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય  શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતાં.  આ ઉપરાંત  એમએચઆરડી મંત્રાલયના ઈનોવેશન સેલના ડાયરેક્ટર ડો. મોહિત ગંભીરે પણ ઓનલાઈન હાજરી આપી હતી. આ પ્રસંગે  જીટીયુના કુલસચિવ ડો. કે.એન.ખેર દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધન કરીને સમગ્ર જીટીયુના સ્ટાફગણને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

જીટીયુના કુલપતિ પ્રો.ડો. નવીન શેઠે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારી અને લોકડાઉનને અનુલક્ષીને આ વર્ષે જીટીયુના સ્થાપના દિવસની ઉજવણી ઓનલાઈન કરવામાં આવી રહી છે. જેના સફળ આયોજન બદલ જીટીયુના સ્ટાફને ધન્યવાદ ૧૨ વર્ષના ટૂંકાગાળામાં જીટીયુએ વિવિધ આયામો પર મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પ્રસંગે કુલપતી, એ જીટીયુના ભૂતપૂર્વ કુલપતીઓના કાર્યને બિરદાવતા તેમનો પણ આભાર માન્યો હતો. તેઓએ કોવિડ-૧૯ના સમયમાં જીટીયુના ટેક્નોક્રેટ્સ દ્વારા નિર્માણ પામેલ સેનિટાઈઝર, સેનિટાઈઝર ચેમ્બર , સેનિટાઈઝર ટેસ્ટીંગ, ૩ડી માસ્ક અને ડિજીટલ ડ્રોનના જેવા સમાજ ઉપયોગી સંશોધન બદલ અભિનંદન પાઠવવ્યા હતાં.  તાજેતરમાં જ જીટીયુ આયોજીત ઓનલાઈન મોક ટેસ્ટની અભૂતપૂર્વ સફળતાને દર્શાવતાં જણાવ્યું કે, ભારતના વિવિધ રાજ્યો તેમજ વિદેશના જે વિદ્યાર્થીઓ જીટીયુમાં અભ્યાસ કરે છે તેઓએ પણ આ ઓનલાઈન મોક ટેસ્ટ આપ્યો છે. આગામી દિવસોમાં પણ જીટીયુ આપદાને અવસરમાં બદલવા માટે સતત કાર્યરત રહશે.

ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે, જીટીયુ  સ્થાપના દિવસની ઓનલાઈન ઉજવણી કરતી વિશ્વની સૌપ્રથમ યુનિવર્સિટી છે.  ગુજરાતમાં ટેક્નિકલ શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુસર વર્ષ -૨૦૦૭માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને  અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જીટીયુની સ્થાપના કરવામાં આવી હતી. જીટીયુ દ્વારા એન્જિનિયરિંગ, ફાર્મસી, બિઝનેસ મેનેજમેન્ટ, કોમ્પ્યુટર એપ્લીકેશન અને આર્કિટેક્ચર જેવી વિવિધ શાખાઓમાં ડિપ્લોમાથી લઈને ડોક્ટરેટ સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ૪૦૦થી પણ વધારે સંલગ્ન કોલેજો અને ૪ લાખથી પણ વધારે ટેકનિકલ શિક્ષણ મેળવતા વિધાર્થીઓ ધરાવતી આ યુનિવર્સિટી માત્ર ૧૩ વર્ષના ટૂંકાગાળામાં વટવૃક્ષ બનીને ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશના વિકાસમાં ફાળો આપી રહી છે. ઇનોવેશન સેલ, એસએસઆઈપી, ઈન્ક્યુબેશન સેન્ટર, સેન્ટર ઓફ એકસલન્સ અને ડિઝાઇન ઈનોવેશન સેન્ટર જેવા વિવિધ મોર્ડન ઈન્ફાસ્ટ્રક્ચરના આયામો જીટીયુ દ્વારા કાર્યરત છે. આ ઉપરાંત સ્ટડી ઈન ગુજરાત પ્રોજેક્ટ હેઠળ જીટીયુમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. યુનિરેન્ક અને જીએસઆઈઆરએફ દ્વારા પણ જીટીયુને દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. જે જીટીયુની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની યશ કલગીમાં વધારો કરે છે. ભારતના સૌથી વધુ ૭૬% સ્ટાર્ટઅપ ગુજરાતમાં છે. ઇનોવેશન, એન્ટર પ્રિન્યોરશીપ અને સ્ટાર્ટઅપના વિષયને લઈને જીટીયુ હંમેશા અગ્રેસર છે.  રાજ્ય સરકાર દ્વારા પણ જીટીયુને ૧૦૦ એકર જમીનની ફાળવણી કરી છે. જ્યાં આગામી દિવસોમાં જીટીયુનું મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્વરૂપ આપણને જોવા મળશે.  જેનો લાભ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતાં દેશ- વિદેશના વિદ્યાર્થીઓ મેળવશે.

Img 20200517 Wa0015

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જીટીયુ હવે બાલ્યાવસ્થાથી આગળ વધીને તરૂણાવસ્થામાં પ્રવેશી રહી છે. તેની સાથે-સાથે દેશ વિકાસના કાર્યોમાં તેની જવાબદારી પણ વધશે.”નયે ભારત કે લિયે બૌદ્ધિક સંપદાની થીમ પર તેમણે જણાવ્યું કે, કોવિડ-૧૯ની મહામારીને કારણે દેશના દરેક ક્ષેત્રો પ્રભાવિત છે.

જ્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જીટીયુને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, “નયે ભારત કે લિયે બૌદ્ધિક સંપદાની થીમ ગુજરાત અને ભારતના યુવાનોને અનુલક્ષીને છે. ૬૫% યુવા વસ્તી  ધરાવતો ભારત સમગ્ર વિશ્વમાં સૌથી  યુવા દેશ છે. આ યુવાનો જ આપણા  દેશની સૌથી મોટી બૌદ્ધિક સંપદા છે. જીટીયુના યુવા વિદ્યાર્થીઓએ મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ઇનોવેશન ઇન્ડિયા જેવા અભિયાનોને પ્રોત્સાહન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નયા ભારતના સ્વપ્નને વધુ બળ આપ્યું છે. વડાપ્રધાનએ પણ કોરોનાના જંગમાં લોકડાઉનની સ્થિતિ પછી દેશને વધુ આત્મનિર્ભર બનાવવા નાગરિકોને વોકલ ફોર લોકલ અને લોકલથી ગ્લોબલનો મંત્ર આપ્યો છે. આ મંત્રને જીટીયુના યુવા ઇજનેરો આઇ.પી.આર.ના માધ્યમથી આગળ વધારશે, તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. વડાપ્રધાનના સ્ટાર્ટઅપ અભિયાનમાં જીટીયુનું ખૂબ મોટું પ્રદાન છે. જીટીયુ દ્વારા અંદાજે ૪પ૦ થી વધુ આઈ.પી.આર સંબંધિત વિવિધ વર્કશોપ યોજીને ગુજરાત અને સમગ્ર દેશમાં આ ક્ષેત્રે જાગૃતિ લાવી છે. આ પ્રયાસ દેશની ઇકોનોમીને વધુ સમદ્ધ બનાવવા, સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરીને ગુજરાત અને દેશમાં નવી રોજગારી-નોકરીનું સર્જન કરવામાં મદદરૂપ થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.