Abtak Media Google News

જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. આ હિંગોળગઢમાં હરણોનું અભયારણ્ય આવેલું છે. જયાં યાયાવર પક્ષીઓ પણ આવે છે. સૌરાષ્ટ્રનું કુદરતી ધામ હિંગોળગઢ અને શિવધામ ઘેલા સોમનાથ એકબીજાથી નજીકમાં આવેલા છે. ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૂતિક સૌદર્ય જોવું એ પણ એક જીવનનો લહાવો છે.

ઉન્મત ગંગા (ઘેલો)નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન ઉર્ફે મુઝફફરશાહની આણ પ્રવર્તતી હતી. જુનાગઢની ગાદીએ ચુડાસમા રા’નું શાસન હતું. ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રા’ની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હિરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રદ્ધાપૂર્વક પૂજા કરતી હતી.મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હિરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રદ્ધાપૂર્વક પૂજા કરતી હતી. અલાઉદીન ખિલજીના સરદારના આક્રમણથી તુટેલા સોમનાથ મંદીરનો ર્જીણોધાર થયો હતો. મંદિરે તેની મુળ પ્રતિષ્ઠા પુન: પ્રાપ્ત કરી હતી. તેવા સમયે ઝફરખાને મંદીરની કિર્તી સાંભળી અને તેના મનમાં સોમનાથ મંદીર ઉપર ચડાઉ કરવાની ઇચ્છા થઇ. જુનાગઢના રા’ને આ વાતની પોતાના ગુપ્તચરો મારફત જાણ થતા સોમનાથ રક્ષણ માટે ક્ષત્રિયને આહવાન આપ્યું. ઝફરખાન સામેના એ ઇતિહાસ પ્રસિધ્ધ યુધ્ધમાં ક્ષત્રિય અને શુરવીર યોધ્ધાઓએ અપ્રતિમ શૌર્ય દાખવી શિવલીંગની રક્ષા કરી. એ સૌમાં શિરમોર રહ્યા અરઠીલાના હમીરજી ગોહિલ. સૌરાષ્ટ્રની રોળાઇ ગયેલી રાજપુતીને તેમણે નવું જોમ આપ્યુ. તે સમયે દેવળના પ્રાંગણમાં છેલ્લું યુધ્ધ ખેલાઇ રહ્યુ છે. સોમૈયાના એક એક રખવાળ જીવતી દિવાલ બનીને ઝફરખાનના સૈન્ય સામે અડીખમ ઉભા છે. પણ ઝાઝા બાળ સામે રાજપૂતો વઢાતા જાય છે. બચવાની કોઇ આશા ન રહી ત્યારે કેટલાક રાજપૂતોએ શિવલીંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નકકી કર્યુ. પાલખીમાં તેને પધરાવી સાથે મીનળદેવીને બેસાડી સોમનાથનાં મંદીર સામે છેલ્લી નજર કરી સૌ ચાલી નીકળ્યા.

આમ ચાલતા ચાલતા પાંચાળ પ્રદેશમાં પાલખી આવી પહોંચી ઘેલા સોમનાથ જે સ્થળે આજે ઉભું છે તે અનુકુળ જણાતા ત્યાં શિવલીંગની પ્રતિષ્ઠા કરવામા આવી. સોમનાથમાં ઝફરખાનનાં બાકી રહેલા સૈનયને શિવલીંગની સ્થાપના બીજે થયાની અને મીનળદેવી તેની પુજા કરે છે એ હકકીતની જાણ થઇ. સૌનિકોએ હલ્લો કર્યો પણ સંગઠીત બળ સામે ન ફાવ્યા અને પાછા હઠવું પડ્યું. મીનળદેવીને પોતાના ઉપર સુલતાનમાં સૌનિકોની નજર પડી એટલે જીવવા કરતા મોતને વહાલું ગણ્યું ને ઘેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી જઇ ત્યાં સમાધિ લીધી.

આમ સોમનાથ મંદીરેથી લાવીને આ શિવલીંગની સ્થાપના થઇ છે. જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે. જેમાં ઘણા ક્ષત્રિય શુરવીરોની બલીદાનની ગાથા વણાયેલી છે. આજે પણ સામેની ટેકરી ઉપર મીનળદેવીની નાની દેરી આવેલી છે. મંદીરના દર્શને આવનાર યાત્રિકો દેરીને પણ જુહારે છે. આ ઘેલા સોમનાથનાં મંદીરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક છે. સમયની સાથે આ મંદિરનો વિકાસ થતો જાય છે. યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ આવેલી છે. મંદીરની બાજુમાં ગૌશાળા છે, જેમાં ગાયોનો નિભાવ થાય છે. ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદો ઘેલા સોમનાથની નજીકમાં આવેલી છે.  શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરદાદાનાં દર્શને લોકોનો ઘણો મોટો સમુદાય અહીં એકત્ર થાય છે. તે દરિમયાન અહીં મેળો પણ ભરાય છે. ટેકરી પરથી ચોટીલાનો ડુંગર દૂરથી દેખાય છે. આમ ઘેલા સોમનાથ ગુજરાતનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.