Abtak Media Google News

હેલ્થવર્કર, ફ્રંટલાઈન વર્કર અને મોટીવયના લોકો બાદ હવે, 18 વર્ષથી ઉપરના તમામને રસીના ડોઝ અપાશે 

કેસ વધતા મોદી સરકાર એકશનમાં; રસીકરણનો ત્રીજો તબકકો 1લી મેથી શરૂ 

કોરોનાના વધતા જતા ભરડાને નથી ફરી પહેલા જેવી સામાન્ય સ્થિતિ કરવા વિશ્વભરના દેશો મથામણ કરી રહ્યા છે. ટચુકડા એવા આ વાઇરસનો અંત લાવી વૈશ્વિક મહામારીમાંથી ઉગારવા ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ છે. એવામાં ભારત કોરોનાની બીજી લહેરમાં સપડાતા કેસ ફરી ખતરનાક ઝડપે વધી રહ્યા છે. વાયરસના આ ઘમાસાણને અટકાવવા મોદી સરકાર ફરી એક્શનમાં આવી ગઈ છે. અને હવે આ વાયરસને નાથવાનો એક જ ઉપાય”રસીકરણ” હોય તેમ મહત્વનો નિર્ણય લીધો છે. ગઈકાલે મોદી સરકારે વિશ્વના સૌથી મોટા રસીકરણના મહાઅભિયાનના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે જેમાં હવે હેલ્થવર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 45 વર્ષથી વધુ વયના લોકોને રસી અપાયા બાદ હવે દરેક “પુખ્ત”ને રસીનું કવચ મળી જશે.

ત્રીજા તબકકાના રસીકરણ માટે હવે રાજયો રસીના ડોઝ સીધા જ ઉત્પાદકો પાસેથી પણ મંગાવી શકશે

18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને રસી આપવાનો તબક્કો 1 મેથી શરૂ થશે. કેન્દ્ સરકારે જાહેરાત કરી છે કે દેશમાં રસીકરણ વ્યૂહરચના વધુ ઉદાર બનશે. કારણ કે કોરોના વાયરસની બીજી તીવ્ર તરંગની વચ્ચે આ ખૂબ જરૂરી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે દેશના ટોચના ડોકટરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક મળ્યા બાદ લેવાયો છે. 1લી મે થી શરૂ થનાર આ તબક્કામાં માત્ર 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને જ રસીકરણનો નહીં પરંતુ આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા અન્ય મહત્વના નિર્ણય પણ લેવાયા છે. જે મુજબ હવે, રાજ્યો ડાયરેકટ રસીના ડોઝ ઉત્પાદકો પાસેથી પણ મેળવી શકશે. ત્રીજા તબક્કાના રસીકરણ માટે કેન્દ્ર તરફથી તો રસીનો જથ્થો મળશે જ પણ આ સાથે જો રાજ્યને વધુ જથ્થાની જરૂર હશે તો તે સીધા જ કંપનીઓને ઓર્ડર પણ આપી શકશે.

આ ઉપરાંત રસી ઉત્પાદક કંપનીઓ એક માસમાં ઉત્પાદન થયેલા ડોઝના 50% જથ્થો કેન્દ્ર સરકારને આપવાનો રહેશે જ્યારે બાકીના પચાસ ટકામાંથી રાજ્ય સરકારો અથવા ઓપન માર્કેટમાં વેચી શકશે. સરકારી કેન્દ્રોમાં રસીના ડોઝ પહેલાની જેમ ની:શુલ્ક જ ચાલુ રહેશે. હાલ હેલ્થ કેર વર્કર્સ (એચસીડબલ્યુ), ફ્રન્ટ લાઇન વર્કર્સ (એફએલડબ્લ્યુ) અને 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને નિ: શુલ્ક પ્રદાન કરવામાં આવી રહી છે.

 

1લી મેથી શરૂ થનારા રસીકરણ માટેના મહત્વના મુદ્દા 

*18 વર્ષથી વધુ વયના તમામ લોકોને “કોરોના કવચ” મળશે.

*રાજ્યો ઉત્પાદકો પાસેથી સીધી રસી લઈ શકેશે

*રસી ઉત્પાદકો માસિક ઉત્પાદનના 50 ટકા ઉત્પાદન કેન્દ્ર સરકારને આપશે

*બાકીનો 50 ટકા જથ્થો રાજ્યોને અથવા માર્કેટમાં વેચી શકશે

*જો કે, આયાત કરેલી રસીઓ પર 50-50%નો નિયમ લાગુ થશે નહીં

*આયાતી રસીના ઉત્પાદકો સીધા રાજ્યો અને ખાનગી જયન્ટસને વેચી શકશે

*તમામ રસીકરણના તબક્કા (સરકાર અને અન્ય ચેનલો દ્વારા) રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ભાગ જ ગણાશે

*રાજ્યો અને બજારોમાં  50 ટકા પુરવઠો માટે ભાવની અગાઉથી જ ઘોષણા કરાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.