Abtak Media Google News

સિહોર-ભડલી રોડ પર સવારના સુમારે ભડલી ગામના યુવકનો માથા તથા મોંઢાના ભાગે ઇજા થયેલી હાલતે મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. બનાવને લઇ મૃતકના ભાઇએ ગામના જ શખ્સ સામે શંકા વ્યક્ત કરી તેણે મૃતકની હત્યા કરી હોવાની સિંહોર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે, હત્યાનું કારણ અકબંધ રહ્યું છે. બનાવને લઇ ભારે ચકચાર મચી છે.

બનાવ અંગેની વિગત એવી છે કે, સિહોરના ભડલી રોડ પર આવેલા એક વાડી પાસે ઝાડી ઝાંખરા વચ્ચે એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ સિહોર પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહનો કબ્જો લઇ પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ પોલીસે મૃતકની ઓળખ વિધી માટે તપાસ શરૂ કરી હતી.

જેમાં મૃતક યુવક સિહોના ભડલી ગામે રહેતા રણજીતસિંહ કુંવરૂંભા ગોહિ (ઉ.વ.આશરે 40) હોવાનું ખૂલ્યું હતું. મૃતકના માથાના ભાગે ઇજાના નિશાન જણાતા પોલીસે યુવકની હત્યા થઇ હોવાની આશંકાએ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં મૃતકના ભાઇ સહદેવસિંહ કુંવરૂંભા ગોહિલે સિહોર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઇ રણજીતસિંહને રાત્રિના સમયે કોઇ અજાણી વ્યક્તિએ માથા અને મોંઢાના ભાગે હથિયાર વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા નિપજાવી હતી.

જ્યારે મૃતકની હત્યા ગામમાં જ રહેતા એક શખ્સે કરી હોવાની પણ મૃતકના ભાઇએ પોલીસ ફરિયાદમાં નામજોગ શંકા વ્યક્ત કરી હતી. બનાવ અંગે સિહોર પોલીસે શકમંદ સહિત અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે હત્યાનું કારણ મોડે સુધી અકબંધ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતક રણજીતસિંહ ત્રણ ભાઇઓમાં બીજા નંબરના ભાઇ હોવાનું જાણવા મળેલ છે. જ્યારે બનાવને લઇ નાના એવા ગામમાં ભારે ચકચાર મચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.