Abtak Media Google News

અબતક, રાજકોટ

‘આયો, આયો, દિવાલી ત્યોહાર, લક્ષ્મી મૈયા તેરો જય જય કાર’ વિક્રમ સંવત 2077ના વર્ષનો આજે પ્રથમ દિવસ એટલે નુતનવર્ષ. હિન્દુ ધર્મના પંચ વર્ષ સમા દિવાળી તહેવારને આવકારવા, વધાવવા ઉત્સવપ્રેમિઓ, ભક્તજનો, ભાવિકો, અબાલ વૃદ્ધો સૌની આતુરતાનો અંત. વેપારીઓ માટે લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન કરવાનો અનેરો અવસર આજથી  શરૂ થનાર સંવત-2078ના નવા વર્ષથી જીવનના નવા અધ્યાયની શુભ શરૂઆત થશે.

હિન્દુ ધર્મ પરંપરા મુજબ આજે ‘પ્રકાશનું પર્વ દીપાવલી’ એટલે કે, ‘આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનન માં નેહ’, આજે નાના-મોટા, ગરીબ કે તવંગર સૌ માટે આનંદનો દિવસ એટલે દિવાળીને આધ્યાત્મિક રીતે વણી લેવામાં આવે તો ગત વર્ષ દરમિયાન કરેલા કાર્યો (કર્મો)નું સરવૈયું કાઢવાનો આ દિવસ કહી શકાય… એટલે જ કોઈ કવીએ પોતાની કવિતામાં ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ’ શિર્ષક સાથે લખ્યું છે કે, વર્ષનો અંતિમ દિવસ. એ કક્ષાનો દિવસ છે જેથી આજે ક્ષમા માગવાની શરૂઆત હું કરૂ, ક્ષમા આપવાની શરૂઆત આપ કરો, થોડું હું જતું કરૂ, થોડુ આપ જતુ કરો. આનાથી વિશેષ શું કરૂ. આ પંક્તિઓમાં સમગ્ર જીવનનો સાર સમજાવવાની પુરી કોશિષ કરવામાં આવી છે. ખેર… આજે આનંદના પર્વે સવારથી જ દેવમંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. જ્યારે શહેરની બજારોમાં દીપાવલીની શુકનવંતી ખરીદી કરવા માટે લોકો ટોળે વળ્યા છે. મુહૂર્ત પ્રમાણે અમૂક ધાર્મિક સ્થળોમાં શ્રધ્ધા અને આસ્થાપૂર્વક આજે સમૂહ વિક્રમી પૂજન, ચોપડા પૂજનનો કાર્યક્રમોના આયોજનો થયા છે.

દીપાવલીને રાત્રે આકાશમાં વિવિધ જાતના ફટાકડાઓના પ્રકાશથી જાણે કે ‘રંગોળી’ બનાવી હોય તેવા દ્રશ્યો સર્જાશે. ચારેબાજુ આનંદ-ઉમંગ, આસ્થા અને ભક્તિના દર્શન કરાવતો દિવાળીનો આ દિવસ અને રાત્રી શક્તિની ભક્તિ-અનુષ્ઠાનનું પણ એટલું જ મહત્વ ધરાવે છે. વિક્રમ સંવત-2078નું નવું વર્ષથી જીવનના નવા અધ્યાયની શુભ શરૂઆત થશે. આ દિવસે એક-મેકને નવા વર્ષની શુભકામનાઓ સાથે દેવ મંદિરોમાં અન્નકુટ, વિશેષ પૂજાનું પણ મહત્વ છે.

જ્યારે ભાઈ-બીજ એટલે ભાઈ અને બહેનના નિતરતા પ્રેમના પ્રતિકની કથા ખૂબજ પ્રચલિત છે. વૈષ્ણવો માટે ભાઈબીજે યમુનામાં સ્નાનનું ખાસ્સુ મહત્વ છે. જેથી ભાઈબીજે મથુરામાં ભાવિકોનો મેળો જામશે અને યમુનાજીમાં સ્નાન કરી ધન્ય થયાનો ભક્તજનો અહેસાસ અનુભવશે.

વિક્રમ સંવત-2078 ઇસ 2021-2022માં કઇ રાશીને શનિનો પનોતી તથા રાહુ રહેશે તે જાણીએ

તા.24/1/20ના શની ગ્રહ મકર રાશીમાં પ્રવેશ કરેલ. આ દિવસે ચંદ્ર પણ મકર રાશીમાં હતો તે પ્રમાણે જોઇએ તો હાલ કઇ રાશીને શનિની પનોતી ચાલે છે.

– મિથુન રાશિ (ક.છ.ઘ) નાની પનોતી લોઢાના પાયે શ્રમદાયક છે. હનુમાનજીની પુજા ઉપાસના કરવી જેથી રાહત મળે.

– તુલા રાશિ (ર.ત) નાની પનોતી લોઢાના પાયે પીડાદાયક છે. શનિદેવ તથા હનુમાનજીની ઉપાસના કરવી.

– ધન રાશિ (ભ.ફ.ધ.ઢ) મોટી પનોતી ચાંદીના પાયે પગેથી પસાર થાય લક્ષ્મીદાય છે તો પણ ગુરૂમંત્રના જપ કરવા.

– મકર રાશિ (ખ.જ) મોટી પનોતી છાતીએથી પસાર થાય છે. સોનાના પાયે ચિંતાદાયક છે. કુળદેવી તથા હનુમાનજીની ઉપાસના કરવી.

– કુંભ રાશિ (ગ.શ.સ) મોટી પનોતી માથેથી પસાર થાય છે. લોઢાના પાયે સવચેત રહેવું. જીવનના અગત્યના નિર્ણયો સાવચેતી પૂર્વક લેવા હનુમાનજીની ઉપાસના કરવી.

:- તારીખ 29/4/22ના શનિગ્રહ મહા કુંભ રાશિમાં પ્રવેશ કરશે તે સમયે ચંદ્ર મીન રાશિમાં છે. આમ તા.29/4/22 થી 12/7/22 સુધી જે રાશિને પનોતી રહેશે તેની વિગત

– કર્ક રાશિ (ડ.હ) નાની પનોતી રૂપાની પાયે લક્ષ્મીદાયક છે.

– વૃશ્ર્વિક રાશિ (ન.ય) નાની પનોતી રૂપાની પાયે લક્ષ્મીદાયક છે.

– મકર રાશિ (ખ.જ) મોટી પનોતી પગેથી પસાર થાય ત્રાંબાના પાયે લક્ષ્મીદાયક છે.

– કુંભ રાશિ (ગ.શ.સ) મોટી પનોતી રૂપાને પાયે લક્ષ્મીદાયક છે.

– મીન રાશિ (દ.ચ.ઝ.થ) મોટી પનોતી સોનાને પાયે માથેથી પસાર થાય ચિંતાદાયક છે.

:- શનિ મહારાજ વ્રક્રગતિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. તા.12/7/22ના દિવસે પ્રવેશ કરશે તે સમયે ચંદ્ર ધન રાશિમાં છે.

– તુલા રાશિ (ર.ત) નાની પનોતી ત્રાંબાના પાયે લક્ષ્મીદાયક છે.

– ધન રાશિ (ભ.ફ.ધ.ઢ) મોટી પનોતી પગેથી પસાર થાય સોનાના પાયે ચિંતાદાયક છે.

– મકર રાશિ (ખ.જ.) મોટી પનોતી છાતીએથી પસાર થાય લોઢાના પાયે શ્રમદાયક છે.

– કુંભ રાશિ (ગ.શ.સ) મોટી પનોતી સોનાના પાયે માથેથી પસાર થાય ચિંતા દાયક છે.

ખાસ કરીને શનિની પનોતીમાં હનુમાનજીની ઉપાસના કરવી શનિ દેવના મંત્ર જપ કરવા, અળદનું દાન દેવું, ચંપલનું દાન દેવુ, હનુમાનજીને સરસવના તેલનો દિવો કરવો, શનિના જપ કરવા, શનિવારના એકટાણા રહેવાથી રાહત થાય છે તથા જીવનના નિર્ણયો એકદમ શાંતિથી લેવા જરૂરી છે. પનોતીથી ડરવાની જરૂરી નથી, શાંતિથી સમય પસાર કરવો.

:- રાહુ ગ્રહનું ફળ કથન

હાલ રાહુ ગ્રહ વૃષભ રાશિમાં પસાર થઇ રહેલ છે જે તા.12/4/22 થી મેષ રાશિમાં પ્રવેશ કરશે.

હાલ મિથુન રાશિના જાતકોને 12ને રાહુ તુલા રાશિના જાતકોને આઠમે રાહુ તથા કુંભ રાશિના જાતકોને ચોથે રાહુ ચાલી રહેલ છે. આથી આ રાશિના જાતકો એ પણ જીવનના નિર્ણયો શાંતિપૂર્વક લેવા ઝગડા કરવા નહિં, ઝગડામાં પડવુ નહિં, સટ્ટો રમવો નહિ તથા મહાદેવજીની ઉપાસના કરવી.

તારીખ 12/4/22 થી રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરશે. આથી વૃષભ, ક્ધયા, મકર રાશિના જાતકોએ સાવચેતી રાખવી મહાદેવની ઉપાસના કરવી.

– શાસ્ત્રી રાજદીપ જોષી

વિક્રમ સંવત-2078માં શનિ તથા રાહુનું ફળકથન

આજે  પ્રમાદી નામના સંવતથી નવા વર્ષનો પ્રારંભ

સંવત 2078 કારતક શુદ એકમને શુક્રવારે તા.5.11 વિક્રમ સંવત 2078થી નવા વર્ષનો પ્રારંભ થશે.આ નવુ વર્ષ 355 દિવસનું છે. જે તા. 25.10 સુધી ચાલશે આવતા વષે તા.25.10.22 દિવસે દિવાળી છે.

નવા વર્ષનાં પ્રવેશ સમયે ગુરૂ તથા શની મકર રાશીમાં છે. જયારે સૂર્ય, મંગળ, બુધ, તુલા રાશીમાં છે રાહુ વૃષભ રાશીમા છે.કેતુ વૃશ્ર્ચિક રાશીમા છે. શુક્ર ધન રાશીમાં છે. બધા જ ગ્રહોનું અવલોકન કરતા મોઘવારીમાં હજુ વધારો થાય તથા સાથે આર્થીક વિકાસ પણ વધે ગૂરૂનો નીચ ભંગ થયો હોવાથી વિદ્યા-અભ્યાસ ક્ષેત્રે પ્રગતી રહેશે.

જમીન મકાનના ભાવમાં વધારો નોંધાય.

ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે.

કોરોનાની બીમારી એકદમ ધીમી પડી શકે છે.

લોકોમાં ધાર્મીક ભાવના વધે રાજકારણમાં ગરમાવો રહેશે. માર્ચ મહિના સુધી મોઘવારી ધીમી ગતીએ વધતી રહેશે. ત્યારબાદ બધા ભાવોમાં સ્થીરતા આવે ફુગાવાનો દર ઉચ્ચો રહેશે.

નવ વર્ષે શ્રી કૃષ્ણ ભગવાનને અન્નકુટ ધરાવાનું મહત્વ છે.

નવા વર્ષે વ્યાપારના ચોપડામાં મીતીપુરી અને શરૂઆત કરી શકાય છે. શુભ મૂહૂર્ત તા.5.11 શુક્રવારે સવારે ચલ, લાભ, અમૃત 6.54 થી 11.06 બપોરે શુભ 12.30 થી 1.54 મીતી દિવાર નાખવા નવા વ્યાપારનો પ્રારંભ કરવો.

ભાઈબીજ

કારતક શુદ બીજને તા.6.11ને શનિવારે ભાઈબીજ છે. આ દિવસે સૌ પ્રથમ ઘરના બધા જ સભ્યોએ યમુના જળગ્રહણ કરી અને પોતાના ભાઈઓને જમાળવા ત્યારબાદ પોતે ભોજન ગ્રહણ કરવું.

કારતક શુક પાંચમને તા.9 મંગળવારે લાભ પાંચમ છે.

– શાસ્ત્રી રાજદીપ જોષી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.