Abtak Media Google News

માથાકૂટમાં મહિલાને પુત્રની નજર સામે જ આગ ચાંપી’તી: બનાવ હત્યામાં પલટાયો: છ શખ્સો સામે નોંધાતો ગુનો

પાલીતાણામાં ચાર દિવસ પહેલા કુતરાનું નામ રાખવા બાબતે પાડોશીઓએ મહિલાને કેરોસીન છાંટી જીવતી સળગાવ્યા મામલે મહિલાએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલી શક્તિનગરમાં રહેતી નિતાબેન જેન્તિભાઈ સરવૈયા (ઉ.વ.૩૫) નામની ત્રણ સંતાનોની માતાને તેનાં પાડોશમાં રહેતી સોનલ ઉર્ફે સોના સુરા ભરવાડ સાથે ઘરમાં પાળેલા કુતરાના નામને લઈને અવારનવાર માથાકૂટ થતી હતી. તે દરમિયાન ગત તા ૨૧મી ડીસેમ્બરના રોજ સામાન્ય બોલાચાલીના અંતે મામલો ગંભીર બનતા સુરા વાલા, ઘેલા વાલા, રાજુ ભકા, કરણ રાજુભાઇ તથા શાંતુબેન રાજુભાઈ સહિત ૫ થી ૬ વ્યક્તિઓના ટોળાએ મહિલાના ઘરમાં પ્રવેશ કરી તેને માર માર્યો હતો.

તેમજ કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી મહિલાને જીવતી સળગાવી દીધી હતી. ત્યારે ભડભડ સળગી ઉઠેલી પરણીતાને પાડોશીઓએ બચાવી પ્રથમ પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર.ટી હોસ્પિટલના બન્સૅ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.

તે દરમિયાન મહિલાનું શરીર ૮૦ ટકાથી વધુ દાઝી ગયેલી હાલતમાં હોય આમ છતાં તબિબોએ પરણીતાને બચાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. જોકે, તેમ છતાં આજરોજ વહેલી સવારે ભોગગ્રસ્ત પરણીતાએ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.

પાલીતાણા પોલીસે આ મામલે મહિલા સહિત કુલ છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન હાથધર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.