Abtak Media Google News

નવી શિક્ષણનીતીમાં બાળકોના પ્રારંભિક ગાળાને વધુ મહત્વ અપાયું

શિક્ષણમાં બાળકોનો પ્રારંભથી પાયો મજબૂત થવો જોઇએ. ફાઉન્ડેશન જેટલું સબળ તેટલું તેની ઇમારત મજબૂત બને છે. 10+2ની હાલની તરાહમાં 3 થી 6 વયજૂથના બાળકોનો સમાવેશ થતો નથી કારણ કે ધો.1માં પ્રવેશ લેતી વખતે તેણે પાંચ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઇએ. આપણા બંધારણમાં પણ 6 થી 14 વર્ષની વયના બાળકોને મફ્ત, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વાત કરી છે. નવા માળખામાં 3 વર્ષની વયથી જ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો હેતું જ શરૂઆતથી જ બાળકનાં સંર્વાંગી અધ્યયન, વિકાસ સુખાકારીનો છે. 6 થી 8 વર્ષનો ગાળો ધો.1-2નો રહેશે. 8 થી 11નો ગાળો ધો.3 થી 5નો રહેશે. પ્રથમ ત્રણેય માળખાનું શિક્ષણ માતૃભાષામાં જ આપવાનું ફરજીયાત હોવાથી બાળકનો સંર્વાંગી વિકાસ ઝડપથી થશે.

પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો છે. બાળકના મગજનો 85 ટકા 6 વર્ષની ઉંમર સુધીમાં જ થઇ જાય છે. તેનો યોગ્ય વિકાસ તથા શારીરીક વૃધ્ધી માટે શરૂઆતના 6 વર્ષ અતી મહત્વનાં છે. વર્તમાન સમયમાં ખાસ કરીને સામાજીક, આર્થિકરૂપે વંચિત પૃષ્ઠભૂમિ ધરાવતા કરોડો બાળકો માટે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ નથી. એટલે આ પ્રારંભિક બાળ સંભાળ-શિક્ષણ દેશનાં તમામ બાળકોને ઉપલબ્ધ થાય અને ભાવિ નાગરિકોનું શ્રેષ્ઠ ઘડતર થાય. આ સિસ્ટમથી બધા બાળકોને શિક્ષણ વ્યવસ્થામાં ભાગ લેવાનો અને શિક્ષણ સમાનતા સ્થાપિત કરવામાં સૌથી શક્તિશાળી માધ્યમ બની શકે. ભારતનાં દરેક બાળકને મોડામાં મોડું 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ મળી રહે સાથે ધો.1માં પ્રવેશ મેળવતી વખતે બાળક શાળા શિક્ષણ માટે પૂર્ણ રીતે સજ્જ હોય. આજની તરાહમાં ધો.5ના છાત્રોને ગુજરાતી વાંચતા આવડતું નથી, સાંભળીને લખતા નથી આવડતું આ સમસ્યા પ્રારંભિક બાળ સંભાળના પાયામાંથી થતાં કાર્યોને કારણે જોવા મળશે નહીં. આ કારણે પ્રથમ પાંચ વર્ષનો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો તબક્કો બાળકના સંર્વાગી વિકાસ માટે મહત્વનો બની રહેશે.

શેરી ગલીએ ચાલતા બાલમંદિર નવી પોલીસી લાગુ પડતા જ બંધ થઇ જશે, 3 થી 6 વર્ષ હવે સરકારી દાયરામાં આવતા મા-બાપો સંતાનોને સીધા ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ સરકાર માન્ય શાળામાં ભણવા બેસાડી દેશે, 5+3+3+4 ના માળખામાં પ્રથમ પાંચ વર્ષ અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન કે ફાઉન્ડેશ કોર્ષ કે આંગળવાડી, બાળ વાટિકા કે પૂર્વ પ્રાથમિક શાળા કહેવાશે

પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણમાં બહુસ્તરીય, બહુ આયામી, લવચિક, પ્રવૃત્તિ આધારિત, રમતગમત અને શોધ આધારિત શિક્ષણનો સમાવેશ કરાયો છે. જેમકે મૂળાક્ષરો, ભાષા, સંખ્યા અને ગણતરી રંગ અને આકાર, વિવિધ રમતો, ઉખાણા અને તાર્કિક વિચારણા તેમજ સમસ્યા ઉકેલ નીકળા, ચિત્રકામ, વિવિધ હસ્તકલા, નાટક, કઠપૂતળી, સંગીતકલા જેવી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત અન્ય પ્રવૃત્તિમાં સામાજીક કાર્ય, માનવ સંવેદનશીલતા, યોગ્ય વ્યવહાર, શિષ્ટાચાર, નિતિમત્તા, વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા, સમુહ કાર્ય, કરવાની પરસ્પર સહકારની ભાવના વિકસાવવા પર કેન્દ્રીત કરાયું છે.

પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો સમગ્ર ઉદ્ેશ શારીરીક મનોશારીરીક વિકાસ, બોધાત્મક વિકાસ, સામાજીક, સાંવેગીક અને નૈતિક વિકાસ, કલા કૌશલ્યો અને સાંસ્કૃતિક વિકાસ તથા પ્રત્યાયન માટે પ્રારંભિક ભાષા સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનના વિકાસમાં મહત્વનું પરિણામ મેળવવા બદલાવ થનાર છે. નવી એજ્યુકેશન પોલીસી આવતા વર્ષે લાગૂ કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે સૌથી અગત્યનાં આ તબક્કાને પ્રથમ જ આવરી લેવાથી બાદમાં ક્રમીક ઉપર સુધી ફેરફાર કરાશે.

ગઈઊછઢ દ્વારા 8 વર્ષ સુધીના બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેને નેશનલ કરી કુલમ એન્ડ પેડાગોજીકલ ફ્રેમવર્ક ઓફ ચાઇલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન નામ અપાયું છે. આ ફ્રેમવર્કમાં 0 થી 3 બાળકો માટે અને 3 થી 8 વર્ષના બાળકો માટેનું માળખુ તૈયાર કરાયું છે. આપણાં દેશમાં સદીઓથી બાળશિક્ષણના વિકાસમાં સમૃધ્ધ પરંપરાઓ છે. જે સ્થાનિક લેવલે પ્રચલિત છે, જેવી કે કલા, વાર્તા, કવિતા, રમત, ગીત અને આવું ઘણું બધુ ઉપલબ્ધ છે. જેનો સમાવેશ આ માળખામાં કરવામાં આવશે. શિક્ષણનું આ માળખું માતા-પિતાની સાથે આંગણવાડીઓ માટે પણ માર્ગદર્શકના રૂપમાં કાર્ય કરશે.

અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમમાં પહેલાથી જ સારી ચાલી રહેલી આંગણવાડી, પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક સંકુલો, બાલમંદિરના માધ્યમથી એમ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના ક્ષેત્રમાં ખાસ તાલિમ પામેલા શિક્ષકોની નિમણૂંક અપાશે. પાયાથી જ બાળ મનોવિજ્ઞાન ઢબે તેનો સંર્વાગી વિકાસ થાય તે માટે મહત્વની કામગીરી આ ફાઉન્ડેશન કોર્ષમાં થશે. આ શિક્ષણને સાર્વત્રિક રીતે ઉપલબ્ધ બનાવવા માટે આંગણવાડી શ્રેષ્ઠ તાલિમ પામેલા શિક્ષકોથી સજ્જ કરવામાં આવશે.

પ્રારંભિક બાળ સંભાળ શિક્ષણમાં વિવિધ પ્રવૃત્તિઓ, મુલાકાતો, શાળા સમૂહોના કાર્યક્રમોમાં જોડવામાં આવશે. વાલીઓની પણ આ ગાળામાં સામેલગીરી વધારાતા તેના બાળકની પ્રગતિને જોઇ શકશે. પાંચ વર્ષથી ઓછી વયનું દરેક બાળક એક પૂર્વ પ્રાથમિક વર્ગ અથવા બાલવાટીકા (ધો.1 પ્રવેશ પહેલા)માં પ્રવેશ કરશે, જ્યાં તેને બાળ સંભાળ અને શિક્ષણ માટે તાલિમ પામેલા શિક્ષકો અધ્યયન કરાવતા હશે. આ વર્ગોમાં મુખ્યત્વે રમત-ગમત આધારિત શિક્ષણ પર ભાર મુકાશે. કૌશલ્યોના વિકાસમાં ધ્યાન અપાશે. આ સિસ્ટમ માટે 1 વર્ષનો ડિપ્લોમાં કોર્ષ શરૂ કરાશે જેમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો અભ્યાસક્રમ હશે. આ તાલિમબધ્ધ ટીચર જ શિક્ષણ આપી શકશે.

પ્રારંભિક ફાઉન્ડેશન કોર્ષમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની વાત મુખ્ય હશે. તમામ વિદ્યાર્થીઓ વાંચન-લેખન અને ગણન કૌશલ્યો મૂળભૂત રીતે સબળ બને એ અનિવાર્ય પૂર્વશરત છે. આજે દેશમાં 5 કરોડથી વધુ બાળકો વાંચન-લેખન-ગણન જેવી પાયાની સાક્ષરતા ધરાવતા નથી જે એક ગંભીર બાબત છે. નવી શિક્ષણ નીતિમાં આ વસ્તુ પર ભાર મુકીને ધો.3 સુધીમાં મૂળભૂત સાક્ષરતા જેવા કે વાંચન, લેખન, ગણન જરૂરીથી પ્રાપ્ત કરે એ માટે આ સિસ્ટમ બનાવાય છે. 2025 સુધીમાં આ લક્ષ્યાંક સિધ્ધ કરવાની ડેડલાઇન અપાય છે.

બાળકોના અભ્યાસક્રમમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ઉપર વિશેષ ધ્યાન અપાશે. જેમાં ખાસ કરીને વાંચન, લેખન, કથન, ગણતરી અંકગણિત અને ગાણિતિક વિચારોનો સમાવેશ કરાયો છે. જેના માટે એક ચોક્કસ વાર્ષિક આયોજન નિયત કલાકો, નિયત પ્રવૃત્તિઓ સાથે વર્ષના વિવિધ કાર્યક્રમનું ફોરમેટ ટીચરને એડવાન્સમાં જ અપાશે. અહિં દ્રશ્યશ્રાવ્ય સાધનોનો પણ ઉપયોગ કરાશે કારણ કે બાળક જોઇને વધુ શીખે છે, યાદ રાખી શકે છે. આ તમામ સિસ્ટમથી ડ્રોપ આઉટ ઘટાડવો અને તમામ સ્તરે શિક્ષણનું સાર્વત્રીકરણ કરવાની સરકારની યોજના છે.

આગામી વર્ષોમાં 3 થી 8 ને 8 થી 18 વર્ષના તમામ છાત્રોને ગુણવત્તાસભરને જરૂરી તમામ ભૌતિક સુવિધા સાથે અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શ્રેષ્ઠ શિક્ષણ મળશે. સરકાર તો બાળકોની ચિંતા કરે છે પણ મા-બાપે પણ બાળકોનાં સંર્વાગી વિકાસમાં રસ લઇને તેનો વિકાસ કરવા જરૂરી તમામ પ્રોત્સાહન આપવું એટલું જ જરૂરી છે. આગામી વર્ષો શિક્ષણનાં જ છે, તેનું જ મહત્વ છે, તેના લીધા વગર ચાલશે જ નહી માટે થઇ જાવ તૈયાર તમારા બાળકોના વિકાસ કાર્યમાં મદદ કરવા.

જૂન-2022થી શરૂ થતાં સત્રથી જ પાયાના શિક્ષણ ઉપર ભાર મુકાશે

નવી શિક્ષણ નીતિ-2020 નવા શૈક્ષણિક સત્રથી લાગુ પડવા જઇ રહી છે ત્યારે પાયાના શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવશે. વાંચન, ગણન, લેખન કૌશલ્યનાં વિકાસ માટે તમામ સ્તરે પ્રયત્નો થનાર છે. બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સાથે વય-કક્ષા મુજબની ક્ષમતા સિધ્ધીને પ્રાયોરીટી અપાશે. નવી નીતિમાં પ્રથમ પાંચ વર્ષના ગાળાને વિશેષ ગાળો ગણીને શિક્ષણ અપાતા ધો.3ના બીજા 3 વર્ષના માળખામાં બાળક સંપૂર્ણ વિકાસ કરી શકશે. બાળકોના અભ્યાસક્રમમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ઉપર વિશેષ ભાર મુકાયો છે. ગણતરી, અંક ગણિત અને ગાણિતિક વિચારોના સમાવેશ સાથે એક ચોક્કસ વાર્ષિક આયોજન, નિયત કલાકો, નિયત પ્રવૃત્તિ સાથે વર્ષના વિવિધ કાર્યક્રમનું ફોરમેટ શિક્ષકને એડવાન્સમાં જ આપી દેવાશે. હવે ધો.3 સુધીમાં દરેક બાળક મૂળભૂત સાક્ષરતા પ્રાપ્ત કરી લેશે. બાળ સંભાળ અને શિક્ષણ માટે શિક્ષકોને વિવિધ તાલિમથી સજ્જ કરાશે. મુખ્યત્વે રમત-ગમત આધારિત શિક્ષણ પર ભાર મુકાશે, અને કૌશલ્યોનો વિકાસમાં ધ્યાન અપાશે. આ સિસ્ટમ માટે 1 વર્ષનો ડિપ્લોમાં કોર્ષ પણ શરૂ કરવામાં આવશે. જેમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો અભ્યાસક્રમ હશે. હવે આ નવી શિક્ષણ નીતિમાં તાલિમબધ્ધ ટીચર જ શિક્ષણ આપી શકશે. નાના બાળકોને ભગવદ્ ગીતાનું શ્રવણ પણ કરાવાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.