Abtak Media Google News

 

આજકાલ શાળા ખોલવી કે ન ખોલવી તેવી ચિંતામાં વાલીઓને પણ આ ત્રીજી લહેરમાં સંતાનોને મોકલતા ડર લાગે છે: ધો.1 થી 5 તો હજી શરૂ જ નથી થઇ ત્યારે ‘ઓનલાઇન’ એક જ આશરો છે: શિક્ષણમાં વર્ગખંડ જેવી અસરકારકતા ક્યારેય ન આવી શકે તેવું હવે સૌ માનવા લાગ્યા છે

 

 

અર્જુન જેવી વિદ્યા ગુરૂની સામે લાઇવ એટલે કે વર્ગખંડમાં જ આવી શકે: નાના બાળકોને ઓનલાઇન કેમ ભણાવવા તે સૌથી મોટો પ્રશ્ર્ન છે: શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આદાનપ્રદાનથી જ શિક્ષણમાં સક્રિયતા આવે છે

આજકાલ સમગ્ર દેશના રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે શાળા ખોલવી કે ન ખોલવી તેવી ચર્ચા અને ચિંતન થઇ રહ્યું છે. અમુક નિવેદનો એવા આવ્યા કે કોરોના અને શાળા બંધને કાંઇ સંબંધ નથી. શાળાઓ ખોલી નાખીને કોરોનાના કેસો વધતા ફરી બંધ કરવી પડી. ધો.1 થી 5ની અને બાલમંદિરો તો હજી ખૂલ્યા જ નથી. માર્ચ-2019થી શિક્ષણમાં આ સમસ્યાને કારણે છેલ્લા બે વર્ષથી સૌથી મોટી અસર શિક્ષણ ઉપર પડી છે. બે માસ બાદ પરીક્ષા આવી રહી છે ત્યારે કોર્ષ ટૂંકાવીને મૂલ્યાંકન કરવાની વાત અત્યારથી જ થવા લાગી છે. શિક્ષણ શાસ્ત્રીઓ ઓનલાઇન કે ઓફલાઇન બંને સિસ્ટમમાંથી ‘ઓફલાઇન’ને વિશેષ મહત્વ આપી રહ્યા છે જે શાળા ખુલે તો જ શક્ય બને તેમ છે.

વિદ્યાર્થીના રસ-રૂચિ-વલણો વર્ગખંડમાં જળવાતા હોવાથી એક્ટીવીટી બેઝ લર્નિંગથી છાત્રોનો વિકાસ થઇ શકે છે. ઓમીક્રોનની ત્રીજી લહેર વચ્ચે બાપો હજી પોતાના સંતાનોને શાળાએ મુક્તા ડરી રહ્યા છે. સરકાર પણ 50 ટકાથી ઓફલાઇન આવતા અઠવાડીયાથી શરૂ કરવા વિચારી રહી છે. નવી શિક્ષણ નીતી-2020 લાગુ કરવામાં પણ આ કારણે જ વિલંબ થઇ રહ્યો છે. સાડા ત્રણ વર્ષે હવે વિધિવત પ્રારંભિક શિક્ષણનો પ્રથમ પાંચ વર્ષનો તબક્કો આગામી જુન-2022થી શરૂ થાય એવું લાગી રહ્યું છે. કોરોનાની આમને આમ બે-ત્રણ માસ અસર વર્તાશે અને શાળા ખૂલશે નહીં તો ફરી આ વર્ષે પણ માસ-પ્રમોશનનો આશરો લેવો પડશે, અથવા તો જેટલું ભણ્યા તેમાંથી જ મૂલ્યાંકન ટેસ્ટ લેવાશે.

મૂર્તિ સામે જેમ એકલવ્ય ભણ્યા તેમ મોબાઇલમાં ગુરૂ અન્મુખ ઓનલાઇન શિક્ષણની અસરકારતા ન આવી શકે. અર્જુન જેવી વિદ્યા તો ગુરૂની સામે લાઇવ એટલે કે વર્ગખંડમાં જ આવી શકે છે. શિક્ષણમાં વર્ગખંડ જેવી અસરકારતા બીજે ક્યાંય ન આવી શકે. ચાર દિવાલો વચ્ચે સુંદર બેઠક વ્યવસ્થા સાથે ચોક, બ્લેક બોર્ડ, ડસ્ટર, પુસ્તકો અને વિવિધ શૈક્ષણિક રમકડા સાથેના પ્રત્યથી શિક્ષણની ધારી અસર પડે છે. શિક્ષક વિદ્યાર્થી સાથે એક ફિક્સ સમય સુધી જોડાયેલ રહે અને આદાન-પ્રદાનની પ્રક્રિયા સાથે પૂરી એકાગ્રતા અને ઇફેક્ટીવ કોમ્યુનિકેશન સાથે ભણાવે છે અને બાળકોને ભણતા કરે છે.

શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા સાથે તેની સજ્જતા, વિષય પરત્વેનું જ્ઞાન સાથે ભૌતિક સુવિધાથી સજ્જ ક્લાસરૂમ અને તેની સાથેના વિવિધ શૈક્ષણિક સાધનો, દ્રશ્ય શ્રાવ્ય સાધનો, ટીચીંગ મટીરીયલ્સ અને વિવિધ એજ્યુકેશન ટોયસ વિવિધ શિક્ષણ ટેકનિકમાં સમયાંતરે બદલાવથી બાળકોનો વિકાસ વર્ગખંડમાં શ્રેષ્ઠ થઇ શકે છે. ઓનલાઇનમાં ક્યારેય ભણી જ ના શકાય આતો કોરોનાએ પેદા કરેલું ગતકડું છે બાકી તો બધાને ખબર છે કે આપણું બાળક કેવું ઓનલાઇન ભણે છે. ઓનલાઇનને કારણે છાત્રો બીજા રવાડે ચડી ગયા જે અતિ ગંભીર બાબત સમાજમાં જોવા મળી રહી છે.

ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયો આપણાં સૌરાષ્ટ્ર વાળાને અઘરા લાગતા હોય છે એવું એવરેજ તારણ જોવા મળે છે ત્યારે વર્ગખંડની તાસ પધ્ધતિમાં નિયત સમયના પિરિયડને કારણે ભણાવતા વિષયોમાં છાત્રોના રસ, રૂચિ, વલણો જળવાય છે. બાળક એકાગ્રતા સાથે એક વિષય ઉપર અડધી કલાકથી વધુ આમેય ન ભણી શકે તે વાત આજે ક્યાં કોઇ સમજે છે.

શાળા સંકુલો ફરી ધમધમતા થયાને બાકી ફી આવવા લાગી કે આવી જશે તેવા માહોલ વચ્ચે ફક્ત આગામી બે માસમાં વર્ગખંડ અસરકારકતા સાથે બાળકોનું વાર્ષિક મૂલ્યાંકન કેવું થશે એ તો સમજાણે, પણ કોર્ષ ઘટાડા સાથે ધો.10-12ના છાત્રોમાં જે હોંશિયાર છાત્ર છે તેને અન્યાય ન થાય તેને જોવાની શાળા સંકુલ અને શિક્ષણ વિભાગની જવાબદારી છે.

આજે મારે કોરોનાને કારણે જે ઓનલાઇન ભણવું પડ્યું તેની સામે મળેલા પરિણામો અને લાઇવ (જીવંત) વર્ગખંડમાં ભણતા બાળકોની અસરકારકતાની વાત કરવી છે. વર્ગખંડમાં બાળકો અને શિક્ષકો બંને લાઇવ હોવાથી શિક્ષણમાં અસરકારકતા આવે છે, બાળકો વર્ગખંડમાં થતી દરેક પ્રવૃત્તિમાં જોડાય અને તે પ્રમાણે વ્યસ્ત રહેતા હોવાથી તેની શિખવાની પ્રક્રિયા ઝડપી બને છે. વર્ગખંડનો સંપૂર્ણ કંટ્રોલ ટીચરના હાથમાં હોવાથી દરેક બાળકો ઉપર વ્યવસ્થિત ધ્યાન આપી શકે છે. બાળકોએ કરેલ કાર્યો ચેક પણ કરી શકેને બાળકોને ન સમજાય તો તરત જ તે ટીચરને પૂછી શકે છે. આવી અસરકારકતા ‘ઓનલાઇન’ શિક્ષણમાં ન આવી શકે જે બેમત છે.

વર્ગખંડના વાતાવરણમાં બાળકોમાં શિસ્ત સાથેનું નિયમોનું પાલન, શ્રવણ-કથન અને લેખન કૌશલ્યો ખૂબ જ વિકસે છે. ભણવા કે ભણાવવાની પ્રક્રિયામાં શિક્ષક બાળક સાથે બાળક શિક્ષક સાથે જોડાય શકે છે.

આમાં સૌથી અગત્યની બાબત એ છે કે બાળક કેન્દ્ર સ્થાને છે જે શિક્ષક સામે લાઇવ બેસીને અધ્યયન કે સ્વઅધ્યયન કરે છે. વર્ગખંડમાં જ શિક્ષણની અલગ-અલગ પધ્ધતીઓથી વિષયને ભણાવતા બાળકોને ઝડપથી યાદ રહી જાય છે અને ઝડપી શીખી શકે છે એ પણ સંપૂર્ણ રસ-રૂચી સાથે શ્રેષ્ઠ વર્ગોમાં વિદ્યાર્થીઓ પોતે જાતે શીખી રહ્યા છે અને વાસ્તવિક જીવન સાથે લાઇવ જોડાયને શિક્ષણ મેળવે છે.

ઇફેક્ટીવ ક્લાસરૂમ વાતાવરણ બાળકને શિક્ષણ મેળવવા પ્રેરણા આપે છે. શિખવાતા દરેક મુદ્ાની સમજ સાથે તેનો અર્થપૂર્ણ અભ્યાસ કરી શકે છે.

અસરકારક વર્ગ વ્યવહાર શિક્ષણ પ્રક્રિયાનો એક નાનો ભાગ છે પણ તેના ફાયદા શિક્ષક અને બાળકોને સૌથી વધુ મળે છે. વર્ગમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના પ્રત્યાયન એટલે જ શ્રેષ્ઠ શિક્ષણ અને તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. અમુક વર્ગખંડોમાં જૂથ પધ્ધતિમાં સબળા સાથે નબળાને ગોઠવીને શિક્ષક ધાર્યા પરિણામો મેળવીને સંશોધન કાર્ય કે ઇનોવેશન કરીને અન્યોને પ્રેરણા પણ આપે છે.

વર્ગ વ્યવહારના ઘટકોમાં શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી કે વિદ્યાર્થી-સામગ્રી વ્યવહારોની સાથે શિક્ષકના માર્ગદર્શન નીચે, પ્રારંભિક શિખતુ જૂથ કે જાતે શીખતું છાત્ર જૂથ આવે છે. જેમાં શિક્ષકે લાગણી સ્વીકાર, પ્રોત્સાહન, વિદ્યાર્થીીઓના વિચાર, સુચના આપવી જેવા ઘણા ગુણો-મુદાનો સમાવેશ થાય છે.

ખાસ તો શિક્ષકે તેની સજ્જતામાં વધારો કરીને અસરકારક વર્ગ વ્યવહાર, રસ-ધ્યાન, માનવિય સંબંધો તેની ભૂમિકા અને જવાબદારી સાથે હકારાત્મક વલણોથી તે વર્ગને સ્વર્ગ બનાવી શકે છે.

બાળકમાં તંદુરસ્ત માનવ સંબંધો સ્થાપવા અને આદર્શ નાગરિકના ઘડતર માટે વર્ગ વ્યવહાર ખૂબ જ જરૂરી છે. વર્ગ શિક્ષણ પ્રક્રિયા એ બે ધ્રુવિ પ્રક્રિયા છે. જેમાં એકબાજુ શિક્ષક અને બીજી બાજુ બાળક છે. બંને વચ્ચે 35 થી 40 મિનિટ તાસ દરમ્યાન શાબ્દિક-અશાબ્દિક વ્યવહારો જન્મતા હોય છે. વર્ગની આ બધી ઘટનાઓમાંથી વર્ગખંડનું હવામાન કે ક્લાસરૂમ ક્લાઇમેટ બંધાય છે જે ઓનલાઇન શિક્ષણમાં ક્યારેય થઇ ના શકે. જીવન અને શિક્ષણની સાચી સમજ શિક્ષક વર્ગખંડના વ્યવહારથી વિદ્યાર્થીઓને આપે છે.

શિક્ષક ઉત્સાહી હોય તો છાત્રોમાં આપોઆપ શિખવાનો ઉત્સાહ આવી જાય

રસને અંગ્રેજીમાં ઇન્ટ્રેસ્ટ કહેવાય છે જે મૂળ લેટીન શબ્દ છે. જેનો અર્થ છે બે અલગ-અલગ બાબતો વચ્ચે સંબંધ બાંધી આપવાનું કામ તે રસ. રસ એટલે ગમા-અણગમાનો ભાવ, ગમવું કે ના ગમવું. આમ રસ-રૂચીએ શિખવા-શિખવવાની પ્રક્રિયાનું સંચાલન કરનારી કેન્દ્રીય શક્તિ છે. શિક્ષકની ભૂમિકા બાળકોની રસ-વૃત્તિને પોષણ આપવાનું છે અને વાતાવરણ નિર્માણ કરવાનું છે. આ માટે શિક્ષક પોતે રસવાળો કે રસિક હોવો જોઇએ. રસનો સિધો સંબંધ આનંદ સાથે છે તેથી જ જે પ્રવૃત્તિથી બાળકોને આનંદ મળે તે તરફ વધુ રસ લે છે. વર્ગખંડનું વાતાવરણ આનંદમય શિક્ષક આપનારૂં હોવું જોઇએ નહીં કે ભારરૂપ. વર્ગખંડ જરૂરી કૌશલ્યો, વલણો અને સમજ પ્રત્યેના યોગ્ય વ્યવહારથી જ આપોઆપ બાળકોમાં શિક્ષણ પ્રત્યેની ઇચ્છા કે રસ ઉદ્ભવે છે, તેને કંટાળો નથી આવતો અને પ્રવૃત્તિ અને શિક્ષણમાં આનંદની પ્રાપ્તિ થાય છે. શિક્ષક જ ઉત્સાહી હોય તો બાળકો કે છાત્રોમાં આપોઆપ ઉત્સાહ આવી જાય છે. શિક્ષણની પ્રક્રિયામાં રસનો મુખ્ય આધાર શિક્ષક ઉપર રહે છે. વર્ગ વ્યવહારને અસરકારક બનાવતાં પરિબળો વિશે શિક્ષક સભાન હોવો જોઇએ અને શિક્ષકે વર્ગખંડમાં જતાં પહેલા પોતે સજ્જતા કેળવી લેવી પડે. વર્ગખંડના દરેક બાળકોને દરેક પ્રવૃત્તિમાં જોડી રાખે અને બધા છાત્રો પ્રત્યે સમાનતા અને વ્યક્તિગત ધ્યાન આપે તે જરૂરી છે. આ બધુ ઓનલાઇનમાં થઇ જ ના શકે.

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.