Abtak Media Google News
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠક પ્રથમ દિવસે મુંબઇની તાજ હોટેલમાં સંપન્ન
  • આજે બીજા દિવસે દિલ્હીમાં બેઠક

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠકના પ્રથમ દિવસે વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદી ગતિવિધિઓને આર્થિક રીતે રોકવા માટે પગલાં લેવાની માંગ ઉઠાવી હતી. સાથે કહ્યું હતું કે આર્થિક મદદ આપનાર દેશ પર પ્રતિબંધો લાદવા જોઈએ, આતંકવાદ પર આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે.  આતંકવાદી સાંઠગાંઠ, ડ્રગ્સ પરના જોડાણોને તોડવાની જરૂર છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠકનો આજે બીજો દિવસ છે.  બીજા દિવસની બેઠક આજે દિલ્હીમાં યોજાશે.  આ બેઠકમાં ત્રણ મુદ્દા પર આધારિત એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે.  જેમાં આતંકવાદી હુમલામાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ, ભંડોળ એકત્ર કરવા માટે નવી પેમેન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ અને ડ્રોન જેવા માનવરહિત હવાઈ ઉપકરણો સાથે કામ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.  આગલા દિવસે પ્રથમ દિવસની બેઠક મુંબઈમાં યોજાઈ હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ બેઠક દિલ્હીના તાજ પેલેસમાં સવારે 9.30 થી સાંજે 6.30 વાગ્યા સુધી યોજાશે.  બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ થશે.  આગલા દિવસે પણ મુંબઈની તાજ હોટલમાં એક બેઠક યોજાઈ હતી.  આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ 15 સભ્ય દેશોના રાજદૂતોએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી.  આજની બેઠકમાં ચીનના રાજદ્વારીઓ પણ ભાગ લેશે.

પ્રથમ દિવસે યોજાયેલી બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ સામે કડક વલણ દાખવ્યું હતું.  તેમણે ચીન અને પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, ’આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષા અને માનવતા માટે ગંભીર ખતરો છે.  પીડિતોને જે નુકસાન થયું છે તે અમાપ છે.  અમે આતંકવાદના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાનો પ્રયાસ કરતા રહીશું.  આતંકવાદી હુમલા અસ્વીકાર્ય છે.

26/11ના મુખ્ય આરોપી અને દોષિતો મુક્ત છે અને તેમને સુરક્ષા કવચ મળ્યું છે.  તે આતંક સામે સામાન્ય લક્ષ્યનો પ્રશ્ન ઉભો કરે છે.  વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ’હું પાંચ મુદ્દા પર ધ્યાન દોરવા માંગુ છું.’  આતંકવાદ સામે પાંચ સૂચનો આપતાં તેમણે કહ્યું કે આતંકવાદી ગતિવિધિઓને આર્થિક રીતે રોકવા માટે પગલાં લેવા જોઈએ, આર્થિક મદદ આપનાર દેશ પર પ્રતિબંધો લાદવા જોઈએ, આતંકવાદ પર આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે.  આતંકવાદી સાંઠગાંઠ, ડ્રગ્સ પરના જોડાણોને તોડવાની જરૂર છે, આતંકવાદી જૂથો નવી તકનીકનો ઉપયોગ કરે છે, જેને પકડવાની જરૂર છે.

આતંકવાદ સામે સાથે મળીને કામ કરીશું તો પરિણામ અસરકારક રહેશે: યુએસ વિદેશ મંત્રી

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને શુક્રવારે કહ્યું કે નવેમ્બર 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં છ અમેરિકી નાગરિકોનો સમાવેશ થાય છે.તેમણે કહ્યું, અમે ભારતના લોકો અને તે તમામ દેશોની સાથે ઉભા છીએ જેમના નાગરિકોએ તે દિવસે જીવ ગુમાવ્યો હતો.  બ્લિંકને કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સ સહિત સુરક્ષા પરિષદના ઘણા સભ્યોએ આ હુમલાઓ પાછળના આતંકવાદીઓ સામે પ્રતિબંધો લાદ્યા છે.”જ્યારે આપણે સાથે મળીને કામ કરીશું ત્યારે અમારા પ્રયાસો વધુ અસરકારક રહેશે.  એટલા માટે અમે સંયુક્ત રાષ્ટ્રની 1267 સમિતિ મારફત ઘણા આતંકવાદીઓને ઘોષિત કરવા માટે ભારત સાથે કામ કરી રહ્યા છીએ.  તમામ સંબંધિતોએ આ દરખાસ્તોને સમર્થન આપવું જોઈએ અને કોઈપણ રાષ્ટ્રએ તેમના માર્ગમાં ઊભા રહેવું જોઈએ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.