Abtak Media Google News

રેલનગરમાં ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો: ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો

શહેરમાં જૂની કલેકટર ઓફિસ પાછળ આવેલા નરસંગપરામાં તમારા મકાનનું કામ ક્યાં પહોંચ્યું તેવું કહેતા દંપતી ઉપર પાડોશીએ મારા ઘરની પંચાયત કરવી નહીં તેમ કહી હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રેલનગરમાં રહેતા યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂની કલેક્ટર ઓફિસ પાછળ આવેલા નરસંગપરામાં રહેતા દિનેશભાઈ ભનુભાઈ નારોલા (ઉ.વ.50) અને તેમના પત્ની ભગવતીબેન દિનેશભાઈ નારોલા (ઉ.વ.45) સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા. ત્યારે પાડોશમાં રહેતા અજય અને નંદની સહિતના શખ્સો ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શખ્સોને મકાનનું કામકાજ ચાલુ હતું તેથી ભગવતીબેન અને દિનેશભાઈએ મકાનનું કામ ક્યાં પહોંચ્યું તેવું પૂછતા હુમલાખોર શખ્સોએ તમારે અમારા ઘરની પંચાયત નહીં કરવાની તેમ કહી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં રહેતા કમલેશ રાજેશભાઈ રાજપૂત નામના 38 વર્ષના યુવાન સાથે મધરાત્રે કિશોર, વિપુલ અને અનુ નામના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.