Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોરબીના બગથળા ગામે જળ સંચયના કામોનું નિરીક્ષણ કર્યુ

૧૦૪ સનદનું વિતરણ તથા દાતાઓનું સન્માનપાણી પુરવઠા યોજના, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અને સબ સ્ટેશનનું લોકાર્પણપુર સંરક્ષણ દિવાલનું ખાતમુહુર્ત

Img 8973મોરબીના બગથળા ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જળ સંચયના કામોનું નીરીક્ષણ તેમજ પાણી પુરવઠા યોજના આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને પુર સંરક્ષણ દિવાલનાં કામનું ખાતમુહુર્ત કર્યુ હતું આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં સુજલામસુફલામજળ અભિયાનમાં જનશક્તિનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો છે.

જ્ઞાતિ-જાતિ, ધર્મનો ભેદ ભૂલી જનશક્તિ જળાશયોની સંગ્રહશક્તિ વધારવા માટે આકરા ઉનાળામાં પરસેવો પાડી રહી છે. આગામી ચોમાસા દરમિયાન આ પરસેવો પારસમણી બની જળસ્વરૂપે એકત્ર થશે. આ પારસમણીથી સૌરાષ્ટ્રમાં દુષ્કાળ ભૂતકાળ બની જશે. જળ અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છે.

મોરબી જિલ્લાના બગથળા ગામ ખાતે સુજલામસુફલામ જળ અભિયાનમાં શ્રમદાન કર્યાબાદ યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રીશ્રીએ લોકોને સંબોધતા ઉપર મુજબ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના લોકો ભૂતકાળના દુષ્કાળના કારમા દિવસો યાદ છે. મહિલાઓને બે બેડા માટે બે ગાંઉ સુધી ભટકવું પડતું હતું. પણ, આ સરકારે પાણીની બાબતને અગ્રતા આપીને વિવિધ પ્રકારના કામો કર્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાના પાણી છેક કચ્છ સુધી પહોંચાડ્યા છે.

હવે, સૌની યોજનાથી સૌરાષ્ટ્રની ધરતી નંદનવન બનશે અને ૧૧૫ ડેમો મા નર્મદાના નિરથી ભરવામાં આવશે. રૂ. ૧૧ હજાર કરોડના કામો ચાલી રહ્યા છે. ત્યારે, ભવિષ્યની પેઢીને જળનો સમૃદ્ધ વારસો મળશે અને દુષ્કાળને દેશવટો મળશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં તા.૧ મેના રોજ જ્યારે સુજલામસુફલામજળ અભિયાનનો પ્રારંભ થયો ત્યારે ૫૨૭ સામે અત્યારે ૪૫૦૦ વધુ જેસીબી, ૨૦૦૦ સામે અત્યારે ૧૪૦૦૦ ટ્રેક્ટર ડમ્પર, ૫૨૫ સંસ્થાઓ સામે હાલે ૨૬૦૦ અને ૨૭૦૦૦ શ્રમિકો સામે અત્યારે સવા ત્રણલાખ શ્રમિકો કામ કરે છે.

આ ધરતી આપણી માતા છે અને નદી લોકમાતા છે. આપણે સૌ આ ધરતી અને નદીના સંતાનો છીએ. ત્યારે, આ ધરતીને પાણીથી તૃપ્ત કરવાની જવાબદારી સૌ કોઇની છે.

તે જવાબદેહી ગુજરાતની જનતાએ સુપેરે ઉઠાવી છે. નદીઓના ઓવારા સાફ કરવામાં આવી રહ્યા છે અને શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે. આ જળ અભિયાનથી ૧૧ હજાર લાખ ઘન ફૂટ સંગ્રહ શક્તિ વધશે. જળાશયો આસપાસના વિસ્તારોમાં ભૂતળમાં મીઠા પાણી આવશે, જળતળ વધશે. જેનાથી જીવમાત્રનું કલ્યાણ થશે.

રૂપાણીએ એમ પણ જણાવ્યું કે સુજલામસુફલામજળ અભિયાને મળેલા વ્યાપકપ્રતિસાદને પગલે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આગામી ત્રણ વર્ષ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે.

કલેક્ટર  આર. જે. માંકડિયાએ શાબ્દિક સ્વાગત કરી જળ અભિયાનની મોરબી જિલ્લાની સ્થિતિની વિગતો આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તદ્દઉપરાંત પુર સંરક્ષણદિવાલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે, રૂ. ૧૧.૨૫ કરોડની પાણી પુરવઠા યોજના, બે કરોડના ખર્ચથી બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૭.૬૮ કરોડના ખર્ચથી બનેલા ૬૬ કેવી બગથળા વીજ સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

સાંસદ  મોહનભાઇ કુંડારિયા અને પૂર્વ ધારાસભ્ય  કાંતિભાઇ અમૃતિયાએ પ્રત્યેકના રૂ. ૧.૫૧ લાખ તથા  રાઘવજીભાઇ ગડારાએ રૂ. ૧.૨૧ લાખ જળ અભિયાનમાં અનુદાન પેટે આપ્યા હતા. આ ઉપરાંત સિરામિક એસોસીએશન દ્વારા રૂ. ૧૧,૧૧,૧૧૧નો ચેક ક્ધયા કેળવણી નિધિમાં અર્પણ કર્યો હતો. અન્ય સંસ્થાઓએ પણ આ પ્રકારનો સહયોગ આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦૪ સનદનું વિતરણ તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.