Abtak Media Google News

રૂ.2 લાખના ખર્ચે અલીગઢના કારીગરે તૈયાર કર્યું વિશ્વનું સૌથી મોટું તાળું

હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું તાળું તૈયાર કર્યું છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે મંદિર ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ ’દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું’ તૈયાર કર્યું છે. આ માટે તેણે ઘણા મહિનાઓ સુધી સખત મહેનત કરવી પડી હતી.

અલીગઢના સત્યપ્રકાશ શર્મા આ વર્ષના અંતમાં રામ મંદિરના અધિકારીઓને 400 કિલો વજનનું તાળું સોંપવાની તૈયારી કરી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે મોટી સંખ્યામાં ભક્તો ભેટ આપી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે અમારે જોવું પડશે કે અમે આ તાળાનો ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ.

સત્ય પ્રકાશ શર્માએ જણાવ્યું કે તેમનો પરિવાર એક સદી કરતા પણ વધુ સમયથી હાથથી બનેલા તાળાઓ બનાવે છે, જ્યારે તેઓ અલીગઢમાં 45 વર્ષથી વધુ સમયથી તાળાઓ બનાવી રહ્યા છે. અલીગઢને ’તાલા નગરી’ અથવા તાળાઓની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સત્ય પ્રકાશે કહ્યું કે રામ મંદિરને ધ્યાનમાં રાખીને તેમણે ચાર ફૂટની ચાવી સાથે એક વિશાળ તાળું તૈયાર કર્યું છે. તે 10 ફૂટ ઊંચું, 4.5 ફૂટ પહોળું અને 9.5 ઈંચ જાડું છે. આ તાળાને આ વર્ષની શરૂઆતમાં દર વર્ષે યોજાતા અલીગઢ પ્રદર્શનમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે આ તાળું પરફેક્ટ હોય. આ મારા માટે ’પ્રેમનો શ્રમ’ છે. મારી પત્ની રૂકમણીએ પણ આ કામમાં મદદ કરી હતી. સત્ય પ્રકાશ શર્માની પત્ની રુકમણીએ કહ્યું, ’અગાઉ અમે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળું તાળું બનાવ્યું હતું, પરંતુ કેટલાક લોકોએ મોટું તાળું બનાવવાનું સૂચન કર્યું, તેથી અમે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. તાળાઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

સત્યપ્રકાશએ જણાવ્યું કે આ તાળું બનાવવા માટે લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. તેમણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટને વાસ્તવિકતામાં ફેરવવા માટે સ્વેચ્છાએ તેની બચત કરી છે. તેમણે કહ્યું કે હું દાયકાઓથી તાળા બનાવવાનો ધંધો કરી રહ્યો છું, તેથી મેં રામ મંદિર માટે એક વિશાળ તાળું તૈયાર કરવાનું વિચાર્યું હતું. તેમણે કહ્યું કે અલીગઢ શહેર તાળાઓ માટે જાણીતું છે. આવો તાળો આ પહેલા કોઈએ બનાવ્યો નથી. બીજી તરફ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શુક્રવારે કહ્યું કે મંદિર ટ્રસ્ટ આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કરશે, જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.