Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબીયત સ્થિર હોવાનું ડોક્ટર્સે જણાવ્યું છે. અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સીએમનું મેડિકલ ચેકઅપ કરાયું છે. ગઇકાલે વોમિટિંગ અને તાવની તકલીફ થતાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જૂનાગઢના શિવરાત્રીના મેળાના પ્રવાસે જવાના કાર્યક્રમને પડતો મૂકીને પરત અમદાવાદ આવી ગયા હતા. મુખ્યમંત્રીને ગઇકાલે સવારથી જ રાજકોટ જવા નીકળ્યા ત્યારથી તાવની અસર વર્તાતી હતી. તેમને વોમિટ પણ થઈ હતી. છતાંય યોગી આદિત્યનાથ સાથેના કાર્યક્રમમાં હાજરી આપવા રાજકોટ રવાના થયા હતા. રાજકોટ પહોંચ્યા પછીય તેમની તબિયત સારી ન રહેતા તેમણે અમદાવાદ પરત ફરી જવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણીની નાદુરસ્ત તબિયતના કારણે આજે સવારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે રૂ.૪૯ કરોડના ખર્ચે નવનિર્મિત નગરી હોસ્પિટલ સહિતના વિભિન્ન પ્રોજેકટના લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું હતું. તંત્ર દ્વારા નવનિર્મિત નગરી હોસ્પિટલનું આજે સવારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ટાગોરહોલ ખાતે તેમના હસ્તે પ્રહ્લાદનગર અને સિંધુભવન ઉપરાંત રિવરફ્રન્ટના ફલાવર ગાર્ડન ખાતે એનઆઇડી પાછળ અને ગાંધીબ્રિજ-દધીચિબ્રિજની વચ્ચે શાહપુરની પાછળ બે સ્પોર્ટસ કોમ્પલેકસનું ભૂમિપૂજનની ઇ-તકતી મુકાઇ હતી.

આ ઉપરાંત શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે બીઆરટીએસ બસ સર્વિસમાં બે ઇલેક્ટ્રિક બસ દોડતી કરાઇ છે. નાગરિકોને ઘરેથી બીઆરટીએસ સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેશનથી ઘરે કે નોકરીના સ્થળે જવાની સુવિધા આપવા આજથી પચાસ ઇ-રિક્ષા શરૂ કરાઇ છે. આજે સવારે કચરાને ખાતરમાં ફેરવવાના પ્લાન્ટને પણ કાર્યરત કરાયો છે. ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા સ્લજને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની મદદથી ખાતરમાં ફેરવતો આ દેશનો સૌથી પહેલો પ્લાન્ટ છે. પીરાણા ખાતે આ પ્લાન્ટને રૂ.૩૦ કરોડના ખર્ચે ઊભો કરાયો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે આ પ્લાન્ટનું વિધિવત ઉદઘાટન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.