Abtak Media Google News

નાગપુર પોલીસ કમિશ્નરે સીઆરપીસીની કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

જી-20 સમિટની બેઠક પહેલા મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  શહેર પોલીસ વડા અમિતેશ કુમારે આ અંગેના આદેશો જારી કર્યા છે. તેમણે સીઆરપીસી કલમ-144 હેઠળ બુધવારે (8 માર્ચ) એક સૂચના બહાર પાડી છે, જે વ્યક્તિઓ અથવા જૂથોને ભીખ માંગવા અથવા પસાર થતા લોકોને પૈસા ચૂકવવા દબાણ કરવા પર પ્રતિબંધ મૂકે છે.

આ નિયમ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. અમિતેશ કુમારે કહ્યું કે, આ નિર્ણય 19-20 માર્ચના રોજ થનારી જી-20 સમિટ અને બેઠકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.  પોલીસ વડાએ એ હકીકતને રેખાંકિત કરી હતી કે ઘણા ભિખારીઓ ’વાંધાજનક કૃત્યો’માં સામેલ હતા, લોકોને પૈસા ચૂકવવા દબાણ કરે છે. કુમારે કહ્યું કે ભિખારીઓ ટ્રાફિકને સરળ રીતે ચલાવવામાં અવરોધ ઉભો કરે છે.

નાગપુર પોલીસ વડાએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થળે ભીખ માંગતો જોવા મળે છે તો તેને એકથી છ મહિના સુધી જેલમાં મોકલી શકાય છે. તેમણે કહ્યું કે સંજોગોના આધારે કાયદાની અન્ય કલમો પણ લાગુ કરવામાં આવશે. અગાઉ અમિતેશ કુમારે ટ્રાન્સજેન્ડરોને ટ્રાફિક જંકશન, સાર્વજનિક સ્થળોએ ભીખ માંગવાથી રોકવા માટે સીઆરપીસીની કલમ 144 લાગુ કરી હતી અને તેમને લગ્ન અને આવા સ્થળોએ દાન માંગવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જોકે બાદમાં પોલીસ વડાએ નિયમો હળવા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો કોઈ તેમને (ટ્રાન્સજેન્ડર) આમંત્રણ આપે છે તો તેઓ આવી જગ્યાઓ પર જઈ શકે છે.

પોલીસ વડા અમિતેશ કુમારે બુધવારે જણાવ્યું હતું કે રસ્તાઓ પર ભિખારીઓની હાજરીથી શહેરનું નામ ખરાબ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાહનચાલકો પાસેથી ભીખ માંગવી એ એક ઉપદ્રવ બની ગયો હતો. રાહદારીઓને પણ ભિખારીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા. આ લોકો ટ્રાફિક લાઇટ, રોડ ડિવાઇડર અને ફૂટપાથ પર કબજો જમાવતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.