Abtak Media Google News

આજે 21 જુલાઈએ જુનાગઢમાં આવેલી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પદવીદાન સમરોહ યોજાયો હતો. વર્ષ 2015માં સ્થાપના થયેલ બીકેએનએમયુનો આ પ્રથમ પદવીદાન સમારોહ હતો. આ યુનિવર્સિટીમાં જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 162 કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના આ પ્રથમ પદવીદાન સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે યુનિવર્સિટીના 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત 30 હજાર વિદ્યાર્થીઓને વિવિધ ડીગ્રી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યુ કે, કોન્વોકેશન-પદવીદાન એતો ભારતીય ગુરૂકુળ પરંપરામાં સદીઓથી ચાલતી આવતી શિક્ષા-દિક્ષાની આગવી વિશેષતા છે. ભગવાનશ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણએ પણ ગુરૂવર્યોના આશ્રમમાં રહીને જ શિક્ષા-દિક્ષા મેળવી હતી. તેમણે પદવી પ્રાપ્ત વિધાર્થીઓને સ્પપણે જણાવ્યુ કે, હવે તમારે ઘેઘુર વડલાની વડવાઇઓની જેમ કારકિર્દી ઘડતર અને કેરીયરમાં વિશાળ સમાજ હિત વટવૃક્ષ જેવા બનવાનુ છે.

સંસ્કૃત યુનિવર્સિટી અને યોગ યુનિવર્સિટી જેવી ભારતીય પરંપરાગત શિક્ષણ પ્રાણાલીથી યુવાઓને સજ્જ  કરતી યુનિવર્સિટીઓ સાથો સાથ ગુજરાતે સમયાનુકુલ શિક્ષણ માટે સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ફોરેન્સીક સાયન્સ, પંડીત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, જેવી આધુનિક શિક્ષણ સુવિધાઓ યુવાઓને ઘર આંગણે પુરી પાડી છે. સમાજ હિત અને રાષ્ટ્ર હિતને જ સર્વોપરિ માનીને વ્યક્તિગત જીવન ઘડતર સાથે સમાજે આપણને અત્યાર સુધી જે આપ્યુ છે તે હવે આપણે સમાજને પરત આપવાની શરૂઆત થાય છે તેમ વિજયભાઇ રૂપાણીએ ડીગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીએ આ યુનિવર્સિટીનુ નામ જેની સાથે જોડાયેલુ છે તે ભક્ત કવિ નરસિંહ મહેતાનાભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહી એ જે પીડ પરાઇ જાણે રે…’નો વિશેષ ઉલ્લેખ કરતા યુવાનોને આહવાન કર્યુ કે, હવે તમારે વૈષ્ણવજન તરીકે સમાજના દુખી-પીડીત-જરૂરતમંદ લોકોની સંવેદના સમજીને તેમના કલ્યાણ માટે, સમાજ દાયિત્વ માટે કર્તવ્યરત રહેવાનુ છે.

તેમણે નવિન પંખ કે લીયે નવિન પ્રાણ ચાહીયેની વિભાવના આપતા જણાવ્યુ કે, પાઠ્યક્રમની શિક્ષા મેળવ્યા પછી હવે મા ભારતીને વિશ્વગુરૂ બનાવવા, નયા ભારતનુ નિર્માણ કરવા નવી ઉર્જા અને સામર્થ્યથી યુવાનોએ સજ્જ થવાનુ છે. મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ભારત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાત બનાવવામાં યુવા શક્તિ પોતાના જ્ઞાન-કૌશલ્ય અને સંપૂર્ણ સમર્પણ ભાવથી સંવાહક બને તેવુ આહવાન પણ કર્યુ હતુ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની જી.આઇ.પી.એલ.ના સહયોગથી બનાવવામાં આવેલ ડાયનેમિક નવિન વેબસાઇટનું પણ લોંચીંગ કર્યુ હતુ. તેમજ મુખ્યમંત્રીએ યુનિવર્સિટીની વેબસાઇટ બનાવવા માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સૂત્ર છે કે, ગુજરાત જોબ સીકર નહિ, જોબ ગીવર બને જેના ભાગરૂપે ગુજરાત એકમાત્ર રાજ્ય છે. જેને યુવાનો માટે ગુજરાત સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ પોલીસી શરૂ કરી છે. શિક્ષણમંત્રીએ વધુમાં પદવીધાકોને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે, આજ સુધીની પરીક્ષા સીલેબસ આધારીત હતી. હવે અનએક્સપેક્ટેડ હશે. તેમણે વિદ્યાર્થીઓને ટીપ્સ આપતા જણાવ્યુ હતુ કે, વિશ્વાસુ, જવાબદાર, ધાર્મિક, પ્રમાણિક, વિવેકી અને શીસ્ત જાળવવા સાથે વ્યવહારીક જીવનમાં રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા આહવાન કર્યુ હતુ.

આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જેમાં શ્રીરામ-વિશ્વામિત્ર, શ્રીકૃષ્ણ-સાંદીપની, સ્વામી વિવેકાનંદ અને નરસિંહ મહેતાને પણ યાદ કર્યા હતા. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આ પ્રથમ પદવીદાન સમારોહમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યના પ્રધાનો વિભાવરીબેન દવે અને જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યાં હતા તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કોરોના કાળના લઇને મર્યાદિત સંખ્યામાં પ્રથમ પદવી સમારોહમાં ઓનલાઇન જોડાવવા જણાવ્યું છે. પદવી સમારંભ બાદ વિજય રૂપાણી ઐતિહાસિક ધરોહર ઉપરકોટ ખાતેની મુલાકાત બપોરના લીધી હતી. રૂા.2.5 કરોડના ખર્ચે કાર્યરત રિનોવેશન કામગીરીનૂં નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ પદવી સમારોહમાં જુનાગઢના પ્રથમ નાગરીક ધીરૂભાઇ ગોહેલ, હિમાંશુ પંડયા, પુનિત શર્મા, રાકેશ ધુલેશીયા, કલેકટર સુમીત રાજા, ડીડીઓ મોહિત પરીખ, કમિશ્નર તન્ના, ડીએસપી રવિ તેજા વાસમ શેટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બપોર બાદ દ્વારકા જવા રવાના થઇ ગયા હતા મોતી બાગ રોડ, કાળવા ચોક, કોલેજ રોડ ઉપર કોટ રોડ, દીવાનચોક સહિતના રોડ પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.