Abtak Media Google News

સ્વામિનારાયણ ભગવાને પોતાના હસ્તે પધરાવેલા ૬ મંદિરોમાં મુખ્ય સ્થાન ધરાવતા આસ્થાના કેન્દ્રસમા લક્ષ્મીનારાયણ દેવનું મુખ્ય મંદિર વડતાલ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજને શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. આ પ્રસંગે અમિતભાઈ શાહને આવકારવા સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ, દંડક પંકજભાઈ દેસાઈ, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સત્સંગી સેવક ચેતનભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમિતભાઈ શાહની સાથે ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ તથા ગુજરાત ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.અમિતભાઈએ દર્શન કરી સંતોના આશિર્વાદ મેળવ્યા હતા. ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજીએ તથા ટેમ્પલ બોર્ડના સ્વામી નૌતમ સ્વામી, સંત સ્વામી તથા મેમનગર ગુરુકુલના બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રસાદીનો હાર પહેરાવી શાલ ઓઢાડી આશિર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે અમિતભાઈ શાહે જણાવેલ કે વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મંદિર છે અહીં આવી મને શાંતિનો અનુભવ થાય છે.આ પ્રસંગે સ્વામીજીએ જણાવ્યું હતું કે આપ તથા ભવ્ય ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે કાર્ય કરી રહ્યા છે એ આનંદની અને ગૌરવની વાત છે. આપની સુવાસ પુરા દેશમાં ફેલાયેલી છે અને હજુ પણ વધુમાં વધુ ફેલાઈ એવા આશિર્વાદ છે.આ પ્રસંગે સૌ સંત મંડળે અમિતભાઈ શાહને સ્વામિનારાયણ ભગવાનનું વિજયનું પ્રતિક માણકી ઘોડીની પ્રતિમા આપી સ્વામિનારાયણ ભગવાને પુરા ગુજરાતમાં વિજય ડંકા વગાડેલ તેમ અમિતભાઈ આ માણકી ઘોડી સાથે રાખી વિજય પ્રાપ્ત કરે એવી શુભેચ્છા અને આશિર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે વડતાલ આસપાસના ગામોના મોટી સંખ્યામાં હરિભકતો ગ્રામજનો ઉપસ્થિત રહી અમિતભાઈ શાહનું અભિવાદન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.