Abtak Media Google News

ચારમાંથી ત્રણ બેઠકો પર ભાજપનો વિજય: વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમીત શાહનું માર્ગદર્શન ને મુખ્યમંત્રી વિજયભાઈની આયોજનબદ્ધ મહેનતને આભારી: ભાજપ પ્રવકતા

રાજ્યસભાની ચૂંટણીમાં આંતરિક જુથબંધીને લીધે કોંગ્રેસ પક્ષ હાર્યો

હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી અંગે મહત્વનું નિવેદન આપતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની સંગઠન શક્તિ અને સંખ્યાબળનાં આધારે અગાઉથી જ જીત નિશ્ચિત હતી. રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ એ જ દિવસથી આગોતરી હાર ભાળી ગયેલી કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી રોકવા ખૂબ ધમપછાડા કર્યા, વિપક્ષના નેતા સુપ્રીમ કોર્ટ સુધી ગયા, મતદાન બાદ પણ પરિણામ રોકવા ચૂંટણીપંચ સમક્ષ ઉધામા કર્યાં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાનાં માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત સમગ્ર સંગઠનની મહેનતથી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે તથા કોંગ્રેસની કારમી હાર માત્ર રાજ્યસભામાં જ નહીં, સુપ્રિમ કોર્ટથી લઈ ચૂંટણીપંચમાં અને જનતાની નજરમાં પણ થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અભયભાઈ ભારદ્વાજ, નરહરિભાઈ અમીન અને રમીલાબેન બારાનો રાજ્યસભાની ચૂંટણીમાં વિજય થયો છે. ગુજરાતનાં આ ત્રણેય  સાંસદો રાજ્યસભામાં અન્ય સાંસદો સાથે આપણા રાજ્યનાં પ્રશ્નો, પ્રદેશની નાની-મોટી સમસ્યાઓની રજુઆત કરશે અને રાજ્યના સર્વાગી વિકાસમાં સહભાગી બનશે. ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજ્યોની ૧૯ બેઠકો પર થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ૮ બેઠકો જીતી ભાજપની ઉપલા ગૃહમાં સ્થિતિ અગાઉ કરતા વધુ મજબૂત થઈ છે.

રાજ્યસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનું સંખ્યાબળ ૯૦ હતું જે હવે વધીને ૧૦૧નું થયુ છે. જે સંખ્યાબળની દ્રષ્ટિએ  પણ દેશહિત નિર્ણયોમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે.

અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો ભાજપ જીતી શકી છે એ પાછળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સવિશેષ મહેનત રહેલી છે. રાજ્યસભાની આ ચૂંટણીમાં વિજયભાઈએ ભાજપની વિજયયાત્રા આગળ વધારીને વિજયધ્વજ ફરકાવ્યો છે. રાજ્યના મોટાભાગના લોકો સ્વીકારે છે કે, વિજયભાઈની કાર્યનિષ્ઠા, પ્રજાવત્સલતા, સજ્જનતા અને મક્કમ મનોબળ અને યોગ્ય દિશાના સમયબદ્ધ નિર્ણયો ને કારણે કોરોના સામેની લડાઈ  ગતિશીલતા- મજબૂતાઈ સાથે ગુજરાત લડી રહ્યું છે.  આ રાજ્યસભા ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જીત મેળવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, તમામ મંત્રીઓ, સર્વે ધારાસભ્યો, પક્ષનાં દરેક કાર્યકર્તાઓ-હોદ્દેદારો તેમજ વિજેતા  ઉમેદવારોને રાજુભાઈ ધ્રુવે હૃદયપૂર્વકની  શુભેચ્છાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.