Abtak Media Google News

કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ અને કાયદો, જીતુભાઈ વાઘાણીને શિક્ષણ, ઋષિકેશ પટેલને આરોગ્ય અને તબીબી શિક્ષણ, પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન, રાઘવજી પટેલને કૃષિ અને પશુપાલન, કનુભાઈ દેસાઈને નાણામંત્રી, કિરીટસિંહ રાણાને પર્યાવરણ, નરેશ પટેલને આદિજાતી વિકાસ અને પુરવઠા, પ્રદિપ પરમારને સામાજીક ન્યાય અને અધિકારીતા જ્યારે અર્જૂનસિંહ ચૌહાણને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ વિભાગનો હવાલો: હર્ષ સંઘવી નવા ગૃહ રાજ્યમંત્રી, અરવિંદ રૈયાણીને વાહન-વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવાયા

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના 24 મંત્રીઓએ ગઈકાલે શપથ ગ્રહણ ર્ક્યા હતા. સાંજે યોજાયેલી પ્રથમ કેબિનેટમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા, આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો અને તમામ નિતીઓ તથા અન્ય કોઈ મંત્રીઓને ન ફાળવવામાં આવ્યા હોય તેવા તમામ વિભાગો પોતાની પાસે રાખ્યા છે. સરકારમાં 10 કેબીનેટ મંત્રી, સ્વતંત્ર હવાલો સંભાળતા 5 રાજ્યકક્ષાના મંત્રી અને 9 રાજ્યકક્ષાના મંત્રીની નિમણૂંક કરવામાં આવી છે.

કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ, આપતી વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે જીતુભાઈ વાઘાણીને શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ) ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉદ્યોગીક, ઋષિકેશ પટેલને આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ અને પાણી પુરવઠા મંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન, વાહન-વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, રાઘવજીભાઈ પટેલને કૃષિ, પશુ પાલન અને ગૌ સંવર્ધન, કનુભાઈ દેસાઈને નાણા, ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ, કિરીટસિંહ રાણાને વન,પર્યાવરણ, કલાઈમેટ ચેંજ, છાપકામ અને સ્ટેશનરી, નરેશભાઈ પટેલને આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો તથા ગ્રાહકોની સુરક્ષા, પ્રદિપસિંહ પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતા, અર્જૂનસિંહ ચૌહાણને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સંભાળી રહેલા પાંચ મંત્રીઓ પૈકી હર્ષ સંઘવીને રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન, જગદીશ વિશ્ર્વકર્મા કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી. બ્રિજેશ મેરજાને શ્રમ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, જીતુભાઈ ચૌધરીને કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો, મનીષાબેન વકીલને મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે.

નવા મંત્રી મંડળમાં 9 ધારાસભ્યોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં મુકેશભાઈ પટેલને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, નિમિષાબેન સુથારને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, અરવિંદભાઈ રૈયાણીને વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, કુબેરભાઈ ડીંડોરને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો, કિર્તીસિંહ વાઘેલાને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ગજેન્દ્રસિંહ પરમારને અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો, આર.સી.મકવાણાને સામાજીક ન્યાય અને અધિકારીતા, વિનોદભાઈ મોરડીયાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અને દેવાભાઈ માલમને પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.