Abtak Media Google News

કચ્છ, અમરેલી, ભાવનગર, રાજકોટ, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદ: આઠ જિલ્લામાં આજે રેડ એલર્ટ ભારેથી અતિભારે વરસાદની સંભાવના

બિપરજોય વાવાઝોડું આજે સાંજે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. તે પૂર્વ આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાવાનું શરૂ થઇ ગઇ છે. સવારથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે આઠ જિલ્લા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે પવન સાથે વરસાદ ત્રાટકશે. આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 115 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સવારથી અનેક સ્થળોએ ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

ગુજરાતમાં હજી ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી. પરંતુ બિપરજોય વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો હતો. કેશોદ, ધ્રોલ, ભૂજમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. લીલીયા, અંજારમાં સવા ઇંચ, ખાંભા, કલ્યાણપુર, જામકંડોરણા, માંગરોળમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વંથલી, કાલાવડ, બગસરા, ભેંસાણ, રાપર, ગીરગઢડા, મુંદ્રા, માંડવીમાં પોણો ઇંચ, કુતિયાણા, નખત્રાણા, ધોરાજી ઉમરાળા, સિંહોર, મેંદરડા, ઘોઘા, માળીયા મીયાણા, ગારિયાધાર, પાલીતાણા, અબડાસામાં અર્ધા ઇંચ વરસાદ વરસી ગયો હતો.

આજે સવારથી રાજ્યભરમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઇ ગઇ છે. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય રહ્યો છે. કચ્છના જખૌ પોર્ટ પર ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સવારથી અમરેલી, ભાવનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

આજે આઠ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બપોર બાદ વાવાઝોડા ત્રાટકશે. ત્યારે ભારે પવન સાથે અનરાધાર વરસાદ પડશે.

રાજકોટમાં પણ સવારથી વાતાવરણ પલટાયું છે. ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સલામતીના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ એસટી દ્વારા વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યું છે.

રાજકોટમાં મુખ્ય બજારો બંધ

બિપરજોય વાવાઝોડું આજે સાંજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકશે. સલામતી માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓને સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખવા અપિલ કરવામાં આવી હતી. જેના પગલે આજે રાજકોટમાં મુખ્ય બજારો બંધ રહી હતી. સોની બજાર, પેલેસ રોડ અને દાણાપીઠ સહિતની બજારોમાં આજે વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. દરમિયાન ગઇકાલથી માર્કેટીંગ યાર્ડ અને શાળા-કોલેજો બંધ છે.

Screenshot 3 28

રાજકોટ ડિવિઝનથી ઉપડતી 5 ટ્રેન આજથી બે દિવસ રદ: પાંચ ટ્રેનના રૂટ ટુંકાવી  દેવાયા

બિપર જોય વાવાઝોડાની અસરના કારણે રાજકોટ રેલવે ડિવીઝનની પાચ ટ્રેનો આજથી બે દિવસ રદ કરી દેવામાં જયારે અન્ય પાંચ  ટ્રેનોના રૂટ ટુંકાવી  દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચક્રવાત ’બિપરજોય’ને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને રદ/આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોના ટ્રેન મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. પ્રવર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે.  દિલ્હી સરાઈ રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસ આજે

રદ કરાય છે.   વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ, વેરાવળ-રાજકોટ સ્પેશિયલ ,  પોરબંદર – કાનાલુસ સ્પેશિયલ , પોરબંદર-રાજકોટ સ્પેશિયલ  આવતીકાલે રદ રહેશે. જયારે  આજે દાદર  પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ટૂંકી સમાપ્ત થશે. જબલપુર-વેરાવળ એક્સપ્રેસ રાજકોટ ખાતે ટૂંકી સમાપ્ત થશે. આવતીકાલે  વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વેરાવળ ની બદલે રાજકોટથી ઉપડશે. આજે પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પોરબંદર ના બદલે સુરેન્દ્રનગરથી ઉપડશે. ઓખા – ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખા ના બદલે હાપા થી ઉપડશે.

દ્વારકા, સોમનાથ અને પાવાગઢ મંદિર બંધ આજે વાવાઝોડુ ત્રાટકવાની ભીતિના  પગલે તકેદારીના પગલા

બિપરજોય વાવાઝોડાના કારણે આજે કોરોના બાદ  પ્રથમવાર  સૌરાષ્ટ્ર તથા  ગુજરાતના   ખ્યાતનામ   તિર્થધામ દ્વારકા,  સોમનાથ અને  પાવાગઢ મંદિર બંધ રહ્યા છે.

કુદરતી આફત બીપોરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની  આગાહીને ધ્યાને લેતા ભગવાન  શ્રી દ્વારકાધીશના ભકતો યાત્રીકોની સુરક્ષા અને   સલામતીને ધ્યાને લઈ શ્રી દ્વારકાધીશ મંદિર આજે  ગુરૂવારે   દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરમાં  શ્રીજીની સેવા  પુજાનો નિત્ય ક્રમ પરંપરા મુજ પુજારીઓ  દ્વારા ચાલુ  રહેશે.  શ્રીજીના નિત્ય દર્શન માટે સંસ્થાની  વેબસાઈટ તથા સંસ્થાના  અન્ય અધિકૃત  સોશિયલ મીડીયાના   માધ્યમથી  ઓનલાઈન દર્શન નિહાળી શકાશે.

વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ શ્રી સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ

બંધ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના તમામ ભવનોમાં અત્યારે રોકાયેલ યાત્રીઓને પરિસ્થિતિ થી અવગત કરી અનુસાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સોમનાથ મંદિર પરિસરની બહારના કલોક રૂમ, શું હાઉસ, ના બોર્ડ અને હોર્ડિંગ, સાઈનેજિસ ઉતારી લેવામાં આવ્યા છે, મંદિર પરિસરમાં બહારથી આંદર સુધી યાત્રીઓની સુવિધા માટે લગાવવામાં આવેલ પગોડા (ટેન્ટ), ભારે પવન ની શકયતાઓને કારણે અગાઉ જ ઉતારી લેવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં વરસાદના પાણીથી દર્શનાર્થી લપસે નહિ તેના માટે આર્ટિફિશ્યલ ગ્રાસ લગાવવામાં આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડાને કારણે તેમજ તેની આડ અસરો ને કારણે ભારે હવાઓ અને વરસાદ ની સ્થિતિમાં રેલ્વે વિભાગ દ્વારા સોમનાથ આવતી જતી ટ્રેન મોકૂફ રાખવામાં આવી છે. વરસાદને કારણે માર્ગો પર વિઝિબ્લીટીની સમસ્યા ને કારણે અનેક બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.