Abtak Media Google News

ફણગાવેલા કઠોળ હેલ્થ માટે ખૂબ જ સારા છે પરંતુ શું તમે જાણો છો કે કઠોળ ફણગાવવાની સાચી રીત શું છે? જો કઠોળ યોગ્ય રીતે ન ફણગાવવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. આથી કઠોળ ફણગાવવાની આ ઉપયોગી ટિપ્સ જરૂર જાણી લો.

Advertisement

કોઈપણ કઠોળને પલાળતા પહેલા તેને પાણીથી સ્વચ્છ ધોઈ લો. ઘણા લોકોને સીધા કઠોળ પલાળવાની આદત હોય છે. આ કારણે તેના પર રહેલો પાવડર જેવો કચરો બરાબર સાફ થતો નથી. આથી તેને ફણગાવતા પહેલા પાણીથી ચોક્કસ સાફ કરવા જોઈએ.

કઠોળ ફણગાવતી વખતે પાણીની માત્રા બરાબર ન જળવાય તો પણ કઠોળ વ્યવસ્થિત ફૂલતા નથી. આથી જો તમે અડધો કપ કઠોળ લો તો તેની સામે ચાર ગણુ પાણી ઉમેરો. આમ કરવાથી કઠોળ બરાબર પલળશે.

તમે ઈચ્છો કે કઠોળ યોગ્ય રીતે પલળે તો તેને કમસેકમ આઠથી દસ કલાક સુધી પલાળીને રાખવા જોઈએ.

કઠોળ ફણગાવવા હોય તો દાળને ચાળણીમાં કાઢો. પાણી નીતરી જાય એટલે તેના પર ભીનુ કપડુ ઢાંકીને ફણગાવી દો. અથવા તો કોટનનું કપડુ કરી તેમાં કઠોળ નાંખી પોટલી બાંધી દો. આમ કરવાથી પણ કઠોળ સારી રીતે ફણગાવી શકાશે.

કઠોળને ફણગાવવા માટે ઓછામાં ઓછો 24થી 36 કલાકનો સમય લાગે છે. આથી તેનાથી પહેલા કઠોળ ખોલવાની ઉતાવળ ન કરવી જોઈએ. કઠોળ એવી જગ્યાએ રાખવુ જ્યાં વધારે ગરમી કે ઠંડી ન હોય.

જો તમે ચાળણીમાં કઠોળ ફણગાવતા હોવ તો ચાળણી નીચે એક વાટકો રાખી દેવો. જેથી કઠોળને હવા મળતી રહે. કપડાને વચ્ચે વચ્ચે થોડુ પલાળતા રહો જેથી દાણા સારી રીતે ફણગાવી શકશો. પરંતુ કપડુ એટલુ ભીનુ ન હોવુ જોઈએ જેથી તેમાંથી પાણી ટપક્યા કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.